કર્ણાટક – 3

કર્ણાટક, પ્રવાસ, ભારત

ટીપુ સુલતાન નો મહેલ જોયા પછી શ્રીરંગપટ્ટનામાં અમારો કોઈ ખાસ પ્લાન નહોતો અને અમારે ત્યાંથી સીધું સોમનાથપુરા જવું હતું પણ, ડ્રાઇવરે રેકમેન્ડ કર્યું નિમિષંબા મંદિર જોવાનું. આ મંદિરનો રસ્તો ચિંધાડતું એક સાઇનબોર્ડ મેં શ્રીરંગસ્વામી મંદિર જતી વખતે પણ જોયું હતું અને ત્યારે મને એ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હતું. બાકી અમારો કોઈ ખાસ એજન્ડા હતો નહીં અને સમય પૂરતો હતો એટલે બધાએ સહમતિ આપી.

રસ્તામાં અમે નિમિષનો અર્થ ડિસ્કસ કરતા ચાલ્યા. નિમિષનો અર્થ છે ક્ષણભર – આંખ મીંચીને ખોલો તેટલો સમય. ત્રણસોથી ચારસો વર્ષ પહેલાં કોઈ વડિયાર રાજાની ઇચ્છા આ દેવીએ ક્ષણભરમાં પૂર્ણ કરી હોવાની માન્યતા હતી અને તેમણે જ આ મંદિર બનાવડાવ્યું હોવાનું મનાય છે. મંદિર એકદમ સાદું હતું, અંદર ખૂબ ભીડ દેખાઈ અને તેનું આર્કિટેક્ચર કંઈ ખાસ હતું નહીં એટલે મેં શૂઝ કાઢવા-પહેરવાની મહેનત કરવાનું માંડી વાળ્યું. સામે નદીનો કિનારો મને બોલાવી રહ્યો હતો એટલે દોડીને હું સીધી ત્યાં ગઈ.

કાવેરી નદીની એ પહેલી ઝલક હતી. જો અમે સોમનાથપુરા ન જવાનાં હોત તો કદાચ હું જ્યાં સુધી પરાણે અટકવું ન પડે ત્યાં સુધી હું નદીનાં કિનારે જ ચાલતી રહેત. ત્યાં નાની રેકડીઓ પણ સરસ હતી. એક રેકડીમાં કોઈ બહેન કંઇક ભજીયા જેવું બનાવી રહ્યા હતા, એક સોડા-શરબતની લારી હતી અને એવું બીજું ઘણું બધું. લોકો દર્શન કરીને આવ્યા એટલે તરત અમે પાર્કિંગ તરફ પાછા ફર્યા કારણ કે, અમને સોમનાથપુરામાં પૂરતો સમય જોઈતો હતો. બહાર નીકળતા મારું ધ્યાન બે બહેનો પર ગયું, જે મંદિરનાં પ્રવેશ પાસે એક નાની ટોપલીમાં જાત જાતનાં ફુલ વેંચી રહ્યા હતા. કેસરી રંગનાં ચંપાનાં બહુ સુંદર ફુલ હતાં અને તેમની પાસે છેલ્લા થોડાં જ વધ્યા હતાં. ત્રીસ રૂપિયાનું એક ફુલ સાંભળીને પહેલા તો મારી આંખ ચમકી અને મારું પહેલું રીએકશન ભાવ-તાલ કરાવવાનું હતું પણ, નસીબજોગે હું કોને, શું કહેવા જઈ રહી છું તેનાં પર મારું ધ્યાન હતું એટલે હું અટકી. મેં ત્રણ ફુલ માંગ્યા અને તેમણે સો રૂપિયા કહ્યા એ તરત તેમને આપ્યાં. તેમણે વધેલા આઠ-દસ ફુલમાંથી તાજામાં તાજાં ત્રણ શોધીને મને એક પ્લાસ્ટિકની થેલીમાં નાંખી આપ્યાં, જે મેં કારનાં ડેશબોર્ડ પર સજાવ્યાં. પાંચ મિનિટ હું બાકીનાં લોકોની રાહ જોતી, કાર પાસે બહાર ઊભી અને બધા આવ્યા પછી અંદર ગઈ તો સુગંધ જ સુગંધ!

સો રૂપિયાની આજનાં સમયમાં શું કિંમત રહી છે? એમનાં ગામડાંમાં પણ કદાચ સો રૂપિયામાં કદાચ બે વ્યકિતનાં એક ટંકનાં કરિયાણા સિવાય કંઈ નહીં આવતું હોય અને આ વાત તાર્કિક રીતે બરાબર સમજાતી હોવા છતાં મારું અને ઘણાં સમૃદ્ધ, ગોરાં પ્રવાસીઓનું પણ પહેલું રીએકશન ભાવ કરાવવાનું કેમ હોય છે?! કદાચ એટલા માટે કે, આપણને નાનપણથી સમજાવવામાં આવ્યું છે કે, વ્યાપારીઓથી ‘છેતરાવું’ નહીં અને કોઈ પણ વસ્તુ ઓછાંમાં ઓછી કિંમતે મળે તેવો પૂરો પ્રયત્ન કરવો? કે પછી એટલા માટે કે, આ ઓછામાં ઓછી કિંમતે કોઈ વસ્તુ ખરીદી લેવી એ આપણા માટે એક ગેઇમ બની ગઈ છે જે દરેક વખતે જીતવી જરુરી છે? અથવા આપણે માનીએ છીએ કે, પ્રવાસી તરીકે જો એ જ જગ્યાએ એ જ વસ્તુ માટે મારે એક લોકલ વ્યક્તિ કરતા વધારે પૈસા આપવા પડે તો એ અન્યાય છે, ભલે આપણી ખરીદશક્તિ લોકલ લોકો કરતા ઘણી વધારે હોય તો પણ?!

સામે બીજું સત્ય એ પણ છે કે, ફુલવાળા બહેન સાથે ભાવ કરવા બાબતે મને જેટલું અજુગતું લાગ્યું હતું તેટલી તકલીફ મને શ્રીરંગસ્વામી મંદિર સામે સ્ટ્રીટ માર્કેટમાં ખરીદી કરતી વખતે નહોતી થઈ. ત્યાં મને શણનું એક સુંદર પર્સ ગમ્યું હતું. એ વેપારીએ પહેલો ભાવ સાડા નવસો કહ્યો હતો અને અંતે અમે ત્યાંથી સાડા નવસોનાં બે પર્સ અમે લઈ ગયા હતા. હું વિચારતી રહી આવું કેમ? કદાચ એટલા માટે કે, ફુલની કિંમત નજીવી હતી અને પર્સની નહોતી? એવી કઈ રકમ છે જેનાંથી નીચેની કિંમતની વસ્તુ માટે લપ ન કરવી પણ તેની ઉપરની કિંમત પર સારામાં સારો ભાવ મેળવવાનો પ્રયત્ન કરવો વ્યાજબી કહી શકાય? આ સવાલોનાં કદાચ કોઈ જવાબ નથી.

નિમિષંબા મંદિરથી મૈસુર તરફ જતો રસ્તો નાનાં સુંદર ગામડાંઓમાંથી પસાર થતો હતો. રસ્તામાં અમે બહુ ક્યૂટ રંગબેરંગી ઘર જોયાં, તેમનાં આંગણામાં જાત-જાતનાં શાક અને ફળનાં ઝાડ જોયાં અને મને ત્યાં જ વસી જવાનું મન થઇ ગયું. અમુક ઘર જોઈને તો મને એકદમ ‘માલગુડી ડેઝ’ ટીવી શો યાદ આવી ગયો! થોડી વારમાં અમે ફરીથી મૈસુર શહેરની હદમાં એન્ટર થયા અને તેનાં આઉટસ્કર્ટમાંથી જ સોમનાથપુરાનો રસ્તો પકડ્યો. સોમનાથપુરા પણ એક ગામડું જ છે અને એ પણ શ્રીરંગપટના પાસેનાં ગામડાં જેટલું જ ક્યૂટ છે. ત્યાંનું ચેન્નકેશવા મંદિર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે.

અમે ગયા ત્યારે ત્યાં બહુ ભીડ નહોતી અને માહોલ એકદમ શાંત હતો. સહપ્રવાસીઓ વાતોમાં મશગુલ હતા એટલે તેમને આગળ જવા દઈને હું પાછળ ધીમે ચાલતી આવી. મંદિર સામે એક નાનું ગાર્ડન બનાવવામાં આવ્યું હતું અને તેનું મેઇન્ટેનન્સ પણ સરસ થતું હોય તેવું લાગતું હતું. અંદર દાખલ થતા મારું જ ધ્યાન ગયું, નાના છોડ નીચે એક કૂતરું શાંતિથી ઊંઘતું હતું.

બગીચાનાં અંતે બરાબર સામે પત્થરનો વિશાળ દરવાજો હતો. તેમાંથી પસાર થતા જ હું જાણે એક અલગ દુનિયામાં પહોંચી ગઈ! ત્યાંથી પગથિયાં ઊતરીને એક નાનું પ્રાંગણ અને ફરી થોડાં પગથિયાં ચડીને બરાબર સામે મંદિરનું ગર્ભગૃહ. પ્રાંગણની ડાબી અને જમણી બાજુ હરોળબંધ એકસરખાં નાનાં નાનાં રુમ અને દરવાજા હતાં. પહેલી નજરે લાગ્યું કે, અહીં પ્રવાસીઓ માટે ધર્મશાળા બની હોવી જોઈએ.

ત્યાં પગથિયાં પાસે જ અમને એક ગાઈડ પણ મળી ગયા. ફક્ત એક તકલીફ હતી કે, એ બહેનને ફક્ત કન્નડ અથવા ઇંગ્લિશ જ આવડતું હતું અને અમારા અમુક સાથીઓની ઇંગ્લિશ પર બહુ પકડ નહોતી એટલે તેમનાં માટે અમે હિન્દીભાષી ગાઇડ શોધવાનો પ્રયત્ન કર્યો. તેમણે મંદિર તરફ ઈશારો કરીને કહ્યું કે, અહીં હું અને પેલા ભાઈ બે જ ગાઈડ છીએ અને તેમને પણ હિન્દી નથી આવડતું. અંતે અમે તેમની જ સર્વિસ હાયર કરી અને તેમણે મંદિરનાં નામ અને ગામનાં નામથી અમને માહિતી આપવાનું શરુ કર્યું.

હોયસાલા વંશનાં રાજા નરસિંહ ત્રીજાનાં દંડનાયક સોમનાથે આ મંદિર બનાવડાવ્યું હતું અને સન ૧૨૫૮માં તેનું બાંધકામ પૂરું થયું હતું. આ દંડનાયકનાં નામ પરથી જ આ ગામનું નામ સોમનાથપુરા પડ્યું. બીજી એક આશ્ચર્યની વાત એ હતી કે, સોમનાથ નામની વ્યક્તિએ એક વૈષ્ણવ મંદિર બનાવડાવ્યું! એ પણ આટલું સુંદર અને ભવ્ય! જેઓ દક્ષિણ ભારતની વિવિધ પરંપરાઓ સાથે પરિચિત છે તેમને ખ્યાલ હશે કે, દક્ષિણમાં શૈવ અને વૈષ્ણવ પરંપરાઓ વચ્ચે સારું એવું અંતર છે – એટલું અંતર કે રૂઢિચુસ્ત શૈવ કે વૈષ્ણવ બ્રાહ્મણો એકબીજાનાં પક્ષ સાથે જોડાયેલાં નામ પણ નથી રાખતા હોતા, તો એકબીજાનાં ભગવાનોનાં મંદિર બનાવવા તો બહુ દૂરની વાત છે. આ કારણે ઘણાં લોકો ગામનું નામ સાંભળીને પણ આ મંદિર શૈવ હોવાની ધારણા બાંધી લેતા હોય છે પણ, આ મંદિર સંપૂર્ણપણે વૈષ્ણવ છે.

અંદર એક નહીં, ત્રણ ગર્ભ ગૃહ છે અને ત્રણેમાં વિષ્ણુનાં અલગ અલગ અવતારોની મૂર્તિઓ રાખવામાં આવી છે. બરાબર વચ્ચે કેશવ – જેનાં નામથી મંદિરનું નામ પડ્યું ચેન્નાકેશવા (ચેન્ના એટલે સુંદર), ડાબી બાજુ જનાર્દન અને જમણી બાજુ વેણુગોપાલ. ત્રણે મૂર્તિઓ ખંડિત છે અને આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ તેનાં ઘણાં ખરાં ભાગ જોડીને તેને રિસ્ટોર કરી છે, છતાં એ અદ્ભુત સુંદર છે! વેણુગોપાલની મૂર્તિમાં સૌથી ઓછું ડેમેજ છે અને તેમાં ફક્ત વાંસળીનો એક નાનો ભાગ અને એક પગનો અંગુઠો જ તૂટેલાં છે અને તેમાં મગજ કામ ન કરે તેટલું ઝીણું ડીટેઇલિંગ છે. ફોર ધેટ મેટર, આખાં મંદિરમાં અંદર અને બહાર ઝીણું ઝીણું એટલું સુંદર કોતરણી કામ છે કે, બધી ડીટેઈલ ધ્યાનથી જુઓ તો મહિનાઓ લાગી જાય!

મંદિરમાં અંદર જતા જ છત પર નવ (કે દસ) ચોકઠાં બનેલાં છે અને દરેકમાં કમળની કળીથી માંડીને પૂરાં ખીલેલાં કમળ સુધીનાં અલગ અલગ સ્ટેજ દર્શાવતી સુપર્બ કોતરણી કરવામાં આવી છે. બધી ડીટેઇલ્સ વર્ણવવી તો અશક્ય છે અને ત્યાં ઊભા રહીને ફક્ત એ અનુભવ પર ધ્યાન આપવાની મારી ઈચ્છા એટલી સ્ટ્રોંગ હતી કે, મેં ત્યાં બહુ ફોટોઝ પણ નથી પાડ્યાં. આ આખી ટ્રિપમાં લગભગ બધે એવું જ રહ્યું. વર્ષનાં બસો દિવસ સ્ક્રીન પર નાછૂટકે સતત સમય વિતાવ્યાનું આ પરિણામ હતું કદાચ.

આ મંદિરનો મારો ફેવરિટ ભાગ જો કે, અંદર નહીં, બહાર હતો. મંદિરમાં ત્રણ ગર્ભ-ગૃહો હોવાનાં કારણે સ્વાભાવિક રીતે જ ત્રણ શિખર પણ છે. ત્રણે પરફેક્ટ ત્રિકોણમાં ગોઠવાયેલાં છે અને મંદિરનું પ્લૅટફૉર્મ અને બધી જ દીવાલો એકદમ સિમેટ્રીકલ સ્ટાર શેઇપમાં બનાવવામાં આવી છે. હવે આ સ્ટાર શેઇપ પણ એવો છે કે, ત્રણે શિખરોને પોતપોતાનાં અલગ સ્ટાર મળે. તળિયેથી શિખર સુધી આ શેઇપ મેઇન્ટેન કરવો તો અઘરો છે જ પણ, આખાં સ્ટ્રકચર પર તળિયેથી છત સુધી નાનામાં નાના ભાગમાં પણ મગજ કામ ન કરે તેટલી સુંદર કોતરણી પણ છે! નીચે ફોટોઝ જોઈને કદાચ વધુ સમજાશે.

મંદિરનો ફ્લોર પ્લાન

આ મંદિર પર થયેલી કોતરણી એટલી ઝીણી છે અને હજુ પણ એટલી ક્લીયરલી જોઈ શકાય છે કે, સ્વાભાવિક રીતે જ મનમાં સવાલ થાય કે, પત્થર પર આટલું ઝીણું કામ કરતાં તો કેટલાં વર્ષો લાગે અને આ આખું મંદિર તો ફક્ત એક વ્યકિતનાં જીવનકાળમાં જ બની ગયું હતું તો આ બન્યું કઈ રીતે હશે? અમારા ગાઈડે પૂછ્યા પહેલા જ તેનો જવાબ આપી દીધો – સેન્ડસ્ટોન! સેન્ડ સ્ટોન એક એવો પત્થર છે જે પાણીમાં પલળેલો રહે ત્યાં સુધી એકદમ નરમ રહે એટલે આસાનીથી તેનાં પર કોતરણી થઈ શકે પણ, જેવો હવાનાં સંપર્કમાં આવે તેમ આ પત્થર સખત થતો જાય! કુદરત પણ કમાલ છે ને?! બાય ધ વે, તેમણે અમને જણાવ્યું આ પ્રોજક્ટનાં આર્કિટેક્ટ્સનું નામ પણ ત્યાં અમુક મૂર્તિઓ નીચે જૂની કન્નડ લિપિમાં કોતરવામાં આવ્યું છે!

ગાઇડને અમે પૂછ્યું કે, મંદિરની બંને બાજુ જે લાઈનસર બંધ દરવાજા છે એ બધાં રુમ પહેલા ધર્મશાળા તરીકે વપરાતા કે કેમ? અમે જાણ્યું અમારી એક ધારણા ખોટી હતી. એ ધર્મશાળાનાં રુમ નહીં પણ નાના-નાના મંદિરો હતાં. એ દરેકમાં એક મૂર્તિ રાખવામાં આવી હતી અને એ બધી મૂર્તિઓ પણ મંદિર (અને ગામ) પર આક્રમણ થયું ત્યારે તોડી નાંખવામાં આવી હતી કે પછી ચોરી લેવાઈ હતી. બન્યા પછી આ મંદિર સાઠ વર્ષથી પણ ઓછો સમય એક્ટિવ રહી શક્યું હતું કારણ કે, તેરમી સદી નાં અંતમાં જ તેનાં પર આક્રમણ થઈને બધી મૂર્તિઓ ખંડિત થઈ ગઈ હતી અને હિન્દુ ધર્મનાં નિયમ પ્રમાણે ખંડિત મૂર્તિની પૂજા ન થઈ શકે. આ મંદિરની લગભગ બધી જ મૂર્તિઓ પૂજા ન થઈ શકે એ માટે તોડવામાં આવી હતી અને તેમને કદરૂપી બનાવવા માટે તેમનાં નાક તોડવામાં આવ્યાં હતાં.

મારાં એક સાથીએ કૉમેન્ટ કરી કે, ઘણાં વામપંથી (લેફ્ટિસ્ટ) ઇતિહાસકારો એવો દાવો કરતા આવ્યા છે કે, મંદિરો પર આક્રમણ ફક્ત તેની સમૃદ્ધિ લુંટવા માટે થયાં હતાં અને તેને ઇસ્લામિક ધર્મ-ઝનૂન સાથે કોઈ જ લેવા-દેવા નહોતા પણ, આ મંદિરોની તોડવામાં આવેલી મૂર્તિઓ તો કોઈ અલગ જ વાત કહે છે. વામપંથીઓ સાથે લોકોને આ જ તકલીફ છે. જે સત્ય સામે ચોખ્ખું દેખાઈ રહ્યું છે તેનાં વિશે ખોટું બોલીને પરાણે મુસ્લિમ-અપીઝમેન્ટ કરવાનો શું મતલબ છે? આ મંદિરોની કહાનીઓ જે સાંભળશે તેમને દક્ષિણપંથીઓ(રાઈટ વિંગ)નો ઇસ્લામ પ્રત્યેનો ધિક્કાર કદાચ યોગ્ય જ લાગશે.

તેની વાત બિલકુલ સાચી હતી પણ, મને અધૂરી લાગી. એવું પણ હોઈ શકે ને કે, વામપંથી ઇતિહાસકારો કદાચ એટલા માટે અર્ધ-સત્ય કહેવાનું પસંદ કરે છે કે, તેમને ડર છે કે પોતે પૂર્ણ સત્ય કહેશે તો કદાચ ઝનૂની નોન-મુસ્લિમ લોકો ઐતિહાસિક અન્યાયનાં નામે મુસ્લિમો પર હિંસા કરવા માટે પોરસાશે, પછી એ હિંસાને ઐતિહાસિક કારણ તરીકે વાપરીને સામેનો પક્ષ હિંસક થશે અને આમ હિંસાનું એક ચક્ર સતત ચાલતું જ રહેશે? ઉપરાંત, આવાં કેટલાંયે મંદિરો અને બીજાં કેટલાંયે બિલ્ડિંગ કુદરતનાં કોપથી પણ ધરાશાયી થયાં છે. આપણને બધાને ખબર છે કે, જેની શરુઆત છે તે દરેકે દરેક વસ્તુનો અંત છે – એ મનુષ્ય કરે કે કુદરત! તો પછી અમુક ધર્મ-ઝનૂની લોકોએ ધર્મનાં નામે પાંચસો વર્ષ પહેલાં કરેલાં વિનાશ બાબતે લોકોને હજુ પણ એક આખી કોમ પર આટલો ગુસ્સો કેમ છે? એટલા માટે કે, કુદરત વિનાશ કરે ત્યારે આપણે લડી નથી શકતા? કે, એટલા માટે કે, આપણાં જીવનમાં એટલાં બધાં અભાવો છે જેનાં માટે આપણે કોઈ પર ગુસ્સો નથી કરી શકતા એટલે આપણે ક્રોધ અને ધિક્કારને જ્યાં પણ જસ્ટિફાય કરી શકીયે ત્યાં કરી લઈએ છીએ? કે પછી આપણને અમુક લોકોને ધિક્કરવાનું શીખવવામાં આવ્યું છે અને આપણે ફક્ત આંખ બંધ કરીને એક સ્ક્રિપ્ટ ફોલો કરી રહ્યા છીએ?

મંદિરની બહાર નીકળતા મારું ધ્યાન એક બીજા ઈતિહાસ પર ગયું જેની વાત કરવાવાળું ત્યાં કોઈ જ નહોતું. વિશાળ વૃક્ષો! ત્યાં બગીચામાં બે – ત્રણ વૃક્ષો એટલાં ઘટાદાર હતાં કે, લગભગ પાંચસોથી હજાર લોકો તેની નીચે છાયો લઈ શકે! આ વૃક્ષોની ઘટા અને તેમનાં થડની જાડાઈ જોઈને લાગતું હતું કે આ વૃક્ષો પણ સદીઓ જૂનાં હશે. તેમનો ઈતિહાસ જણાવવાવાળું પણ ત્યાં કોઈ હોત તો કેટલી મજા આવત! આ વૃક્ષો પોતે માનવ-ભાષા બોલી શકતાં હોત તો તો તેનાંથીયે વધુ મજા આવત કારણ કે તેમણે કદાચ આ મંદિરનું સર્જન અને વિનાશ બંને જોયાં હશે! કલ્પવૃક્ષ કદાચ આવું જ દેખાતું હશે! કદાચ આ કારણે જ જ્યોર્જ આર આર માર્ટિને ગેમ ઑફ થ્રોન્સનાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય – ત્રણે જોઈ શકતા કેરેક્ટરને નામ આપ્યું ‘ગ્રીન સીયર’, જે ઝાડનો અને જંગલનો એક ભાગ છે :)

નારા

જાપાન, નારા

ઓસાકા પહોંચીને રાત્રે હિરોશિમા જવાનો ગ્રાન્ડ પ્લાન બનાવ્યા પછી સવારે ઊઠીને સૅમે ઓસાકાથી હીરોશિમાનું અંતર જોયું અને તેને પોતાને જ આળસ આવી ગઈ. મારું મન હતું ઓસાકા માર્કેટ ફરવાનું પણ, તેને માર્કેટ નહોતું ફરવું અને બીજું કૈંક કરવું ‘તું. ‘બીજું કૈંક’ શું એ તેને પોતાનેય ખબર નહોતી. હું નાહીને તૈયાર થઇ તેટલી વારમાં તેને ‘બીજું કૈંક’ મળી ગયું હતું. ફરીથી તેને એક એરબીએનબી એક્સપીરિયન્સ મળ્યો પણ, આ એક્સપીરિયન્સ ઓસકાથી એક કલાક દૂર નારા નામનાં એક ગામમાં હતો. મેં શરૂઆત તો ના પાડવાથી કરી કારણ કે, મને ડર હતો કે, સૅમ ફરીથી કોઈ અતિવ્યસ્ત દિવસનો પ્લાન બનાવી લેશે અને મને મજા નહીં આવે. કલાકની સફર કરીને નવાં શહેરમાં જવાની પણ મારી ઈચ્છા નહોતી. પણ, સૅમે ખાતરી આપી કે એ એક્સપીરિયન્સ આરામદાયક અને મજાનો હશે. હું પૂરી સહમત નહોતી પણ, બે કલાકે હિરોશિમા જવા કરતાં તો આ ઓપ્શન સારો જ હતો અને મને ટૂંકું કરવામાં રસ હતો એટલે મેં હા પાડી દીધી. એક્સપીરિયન્સ એક વાગ્યે શરુ થતો હતો અને અમે એકથી થોડા મોડા પડીએ તેવી શક્યતા હતી. છતાં અમે હોસ્ટને મેસેજ કર્યો અને અમારા નસીબજોગે તેણે તરત જવાબ આપીને કહ્યું કે, અમે દોઢ વાગ્યે પહોંચીએ તો ચાલશે. એટલે અમે તરત જ નારા જવા નીકળ્યા.

ટ્રેનથી જ અમે આરામથી નારા પહોંચી ગયા. અમારે હોસ્ટને નારા સ્ટેશન પર જ મળવાનું હતું. તેણે અમને એક ચોક્કસ સ્થળે મળવાનું કહ્યું હતું જે અમે શોધી કાઢ્યું. એ અમારા પહેલા જ ત્યાં પહોંચી ગયો હતો અને અમારા પહોંચતા જ એ અમને ઓળખી પણ ગયો. તેનું નામ હતું – હિરો. હિરો સૌથી પહેલા અમને સ્ટેશન પાસે આવેલી એક સાઇકલની દુકાન પર લઇ ગયો. સ્વાભાવિક રીતે જ, એ દુકાન-માલિકને ઓળખતો હતો. એ હિરોનાં દરેક ગ્રાહક માટે તેમનાં કદ અનુસાર સાઇકલો કાઢી આપતો. અમને પણ યોગ્ય સાઇકલો કાઢી આપવામાં આવી. મેં વિચાર્યું હતું કે, અમે તરત જ ત્યાંથી ફરવા નીકળી જઈશું. પણ, હિરોનો પ્લાન અલગ હતો. અમે પાછા નારા સ્ટેશન ગયા અને તેણે બહાર અમને દસેક મિનિટ રાહ જોવાનું કહ્યું. હાઈસ્કૂલ પછી હું પહેલી વખત સાઇકલ પર બેઠી હતી અને મેં ધાર્યા કરતા સાઇકલ પર વધુ મજા આવી રહી હતી. કદાચ એ સાઇકલ ગિયર વિનાની હતી એટલે મને વધુ પસંદ હતી. કૉલેજમાં એકાદ વખત ગિયરવાળી સાઇકલ ચલાવી હતી પણ, તેમાં મને બિલકુલ મજા નહોતી આવી. કદાચ એટલા માટે, કે સાઇકલ મારા માટે ફિટનેસનું સાધન ઓછું, અને સાદગીનું પ્રતિક વધારે છે અને ગિયરવાળી અટપટી સાઇકલો સાદગીનાં રોમૅન્સને મારી નાંખે છે.

હિરો આવ્યો ત્યાં સુધી સૅમ અને હું સાઇકલ-કથાઓ વાગોળતા રહ્યા અને હું ત્યાં જ ચોગાનમાં ગોળ-ગોળ ચક્કર મારતી રહી. હિરો અમારા માટે પાણીની બૉટ્લ્સ અને બે ‘ઓનિગિરી‘ લાવ્યો. તેને હતું કે, અમને ઓનિગિરી વિષે નહીં ખબર હોય અને એ અમને નવો સ્વાદ ચખાડશે. અમારા માટે એ નવું ખાદ્ય તો નહોતું પણ, હતું એટલું જ સરસ જેટલું પહેલી વખત માણ્યું ત્યારે લાગ્યું હતું. ઓનિગિરી ખાઈને સૌથી પહેલા અમને નારા શહેરની સાહો નદીનાં કિનારે ચક્કર મારવા માટે લઇ જવામાં આવ્યા. અમારું સૌથી પહેલું આરામ-સ્થળ નદી પર બંધાયેલાં એક નાના પુલ પર, એક સ્કૂલ પાસે હતું.

અમે પહોંચ્યા પછી બે – ત્રણ મિનિટમાં જ અમારી બરાબર સામે આવેલી સ્કૂલની બારી પર વિદ્યાર્થીનીઓનું એક ટોળું એકઠું થવા લાગ્યું. એ લોકો છઠ્ઠા-સાતમા ધોરણમાં હોવા જોઈએ. પહેલા એ અમને જોતા રહ્યા. પછી અમુક જતા રહ્યા અને બાકીનાંમાંની એક છોકરી અમારી સાથે વાત કરવા લાગી. અમે થોડી સાથે તેમની સાથે વાત કરી. અમુક છોકરીઓનાં હાથમાં ત્યારે વાજીંત્રો હતાં. એકનાં હાથમાં બ્યુગલ હતું તેણે અમને પૂછ્યું, “હું તમારા માટે વગાડું?” અમે હા પાડી એટલે તેણે બારીની બહાર કાઢીને એ વગાડ્યું. કરી પણ પછી હિરોએ તેમને પાછા જતા રહેવા કહ્યું એટલે એ બધા જતા રહ્યા. તેણે અમને કહ્યું, “આ બાળકોનાં ટીચરને નહીં ખબર હોય કે એ આવી રીતે અહીં ઊભા છે. એટલે મેં કહ્યું કે, અંદર જતા રહો.”

એ અનુભવ અમારા માટે ત્યારથી જ એકદમ વિશિષ્ટ બનવા લાગ્યો હતો. આટલા દિવસોમાં કદાચ એ મારા માટે પહેલો એવો દિવસ હતો કે, જ્યારે હું જાપાનમાં ટૂરિસ્ટ જેવું નહોતી અનુભવી રહી. ત્યાંનાં નાના ગામમાં, લોકલ, સામાન્ય માણસો સાથે વાત કરવા મળી હતી. બહુ નહીં તો પણ થોડું તો એ લોકોનાં સામાન્ય જીવનમાં ડોકું કાઢવાની તક મળી હતી. ટોક્યો અને ક્યોતો (અને થોડે ઘણે અંશે ઓસાકા પણ) ટૂરિસ્ટસ થી એટલાં ભરાયેલાં છે કે, ત્યાં તમે હંમેશા પ્રવાસી જેવું જ મહેસૂસ કરતા રહો. નારા તેની સરખામણીએ એકદમ સામાન્ય હતું – સામાન્ય લોકો, સામાન્ય જીવન. એકદમ લો-પ્રોફાઈલ!

આ જ કારણથી હિરો નારા રહેવા લાગ્યો હતો. તેણે અમને પોતાનાં વિશે જણાવતા કહ્યું હતું કે, એ યુવાનીનાં શરૂઆતનાં વર્ષોમાં ટોક્યો રહેતો અને ત્યાંની કોઈ કંપનીમાં માર્કેટિંગ વિભાગમાં કામ કરતો. પણ, જ્યારે સ્થાયી થવાનું વિચાર્યું ત્યારે એ નારા આવી ગયો હતો કારણ કે, બાળકો અને પરિવાર માટે તેને નારાનું શાંત વાતાવરણ વધુ યોગ્ય લાગ્યું હતું. ત્યાંથી નીકળીને સીધા અમે નારાનાં સૌથી પ્રખ્યાત ‘તોદાઈ-જી’ બૌદ્ધ મંદિર અને નારા ડીયર પાર્ક પહોંચ્યા.

પહેલા અમે મંદિર તરફ ગયા. મંદિર હિરોએ આ ટૂઅરનાં પ્રતાપે ઘણી વખત જોઈ લીધું હતું એટલે એ બહાર બેસીને પોતાનું સંગીત સાંભળવા લાગ્યો અને અમને અંદર જઈને જોવાનું કહ્યું. એ દિવસે ત્યાં બેથી ત્રણ સ્કૂલની ટ્રિપ આવી હતી એટલે સારી એવી ભીડ લાગતી હતી.

એ મંદિરનાં સૌથી મોટા વિસ્તારમાં બુદ્ધની પચાસ ફુટ લાંબી વિશાળકાય પ્રતિમા છે! એ પ્રતિમાનાં ગમે તેટલા ફોટો લેવાનો પ્રયત્ન કરો તો પણ તેનું કદ અને એ કદ પાસે કીડી જેવા લાગતા આપડે – આ જ્યારે અનુભવો ત્યારે જ સમજાય.

દુનિયાની લગભગ દરેક વિશિષ્ટ વસ્તુ/વ્યક્તિ/સ્થળ માટે કદાચ આ નિયમ લાગુ પડે છે. એ વિશેષતાનું વર્ણન કોઈ પણ માધ્યમમાં કરવું લગભગ અશક્ય છે. આ અનુભવે મને મારાં બે આગલાં પ્રવાસ યાદ કરાવી દીધાં! આવી જ લાગણી આ પહેલા કુંભલગઢનાં કિલ્લામાં અને ગ્રાન્ડ કેન્યનમાં આવી ચૂકી છે.

ત્યાં થોડી વાર ફર્યા પછી અમે બહાર આવ્યા ત્યારે હિરો પાસે બે હરણાં ઊભાં હતાં. તેણે અમને બંનેને હરણને ખવડાવવાનાં બિસ્કિટનું એક-એક પૅક આપ્યું હતું. અમે તેને પૂછ્યું અમે તેની પાસે ઊભેલાં હરણને બિસ્કિટ ખવડાવી શકીએ કે કેમ, તો તેણે અમને ના પાડી અને કહ્યું કે, “આપણે હરણનાં બગીચામાં જઈએ ત્યારે ખવડાવવું વધુ હિતાવહ છે.” તેણે ચાલતા ચાલતા અમને નારાનાં હરણો વિશે માહિતી આપી. તેનાં કહેવા મુજબ, હરણ સામાન્ય રીતે માણસોને જોઈને ભાગી જતા હોય છે. પણ, નારાનાં હરણ એટલી સદીઓથી એ વિસ્તારમાં માણસોની હાજરીમાં રહેતાં આવ્યાં છે કે, એ હવે માણસોથી ટેવાઈ ગયાં છે. આ હરણ હવે કદાચ જંગલમાં એકલાં રહી પણ ન શકે! ઉપરાંત આ હરણ બિલકુલ ડરપોક નથી. અહીં આવતા/રહેતા માણસો વર્ષોથી તેમને ખવડાવતા આવ્યા છે. પણ, છેલ્લાં ઘણાં વર્ષોમાં પ્રવાસીઓનું પ્રમાણ વધ્યું હોવાથી અહીં આવતા લગભગ દરેક લોકો આ હરણોને કૈંક ને કૈંક ખવડાવતા રહે છે એટલે આ હરણ એટલી હદે તેનાં આદિ થઇ ગયાં છે કે, અમુક હરણોને થોડાં બિસ્કિટ આપ્યા પછી એ તમારાં હાથમાં વધુ બિસ્કિટ જુએ તો એ તરાપ મારીને ખાવાનો પ્રયત્ન કરતાં હોય છે. આ જ કારણોસર તેણે અમને મંદિર પાસે હરણોને ખાવાનું આપવાની ના પાડી હતી. કારણ કે, જો અમે ત્યાં તેમને બિસ્કિટ આપત તો એ અમને ડરાવીને આખું પૅક ત્યાંનાં ત્યાં ખાઈ જાત અને ડરાવત નહીં તો પણ પીછો તો કર્યા જ કરત!

હરણનો કાર્યક્રમ પતાવ્યા પછી અમે એ જ પરિસરનાં પાછળનાં ભાગમાં ઊંચાઈ પર એક નાનકડું મંદિર આવેલું છે એ તરફ ગયા. ત્યાંથી નારાની ક્ષિતિજ આરામથી જોઈ શકાતી હતી. એ મંદિર જો કે, એટલું દૂર હતું કે, તમે માની જ ન શકો કે, એ આખો એવડો મોટો વિસ્તાર નારા પાર્કનો જ છે!

ત્યાંથી આગળ અમે જે મંદિર તરફ જઈ રહ્યા હતા એ રસ્તો લાલ,પીળાં, લીલાં વિશાળ વૃક્ષોથી આચ્છાદિત હતો! ક્યોતોનાં પેલા મંદિરોનાં ફોટોઝ જેવો, બસ એટલો ફર્ક કે, આ વૃક્ષોનાં કદ ક્યોતોનાં મંદિરોમાં આવેલાં વૃક્ષો કરતા વિશાળકાય હતાં! અત્યાર સુધીમાં જાપાનનાં મંદિરોનાં ફોટોઝ જોઈને અને વર્ણન વાંચીને એ તો સમજી જ ગયા હશો કે, જાપાનનાં દરેક મંદિર સુંદર જ છે. સુંદર તેમનાં માટે લઘુતમ સાધારણ અવયવ છે! એવું જ આ પણ એક સુંદરતમ મંદિર હતું. આ મંદિરની વિશેષતા એ હતી કે, તેનાં ગર્ભગૃહ સુધી પહોંચવાનાં પગથિયાં પર હરોળબંધ સુંદર ફાનસ લગાવેલાં હતાં.

આ મંદિરમાં અમે દસેક મિનિટ માટે ભૂલા પડી ગયા અને હિરોથી અલગ થઇ ગયા પણ, દસેક મિનિટમાં ટેકનોલજીનાં પ્રતાપે ફરી મળી પણ ગયા. ત્યાંથી આગળનો રસ્તો અદ્ભુત હતો! અમે સાઇકલ ચલાવતા ટેકરી ઊતરી રહ્યા હતા અને ડાબી બાજુ અલપ-ઝલપ વૃક્ષો પાછળથી સૂર્યાસ્ત દેખાતો રહેતો અને આકાશનાં ગુલાબી, પીળાં, કેસરી, ભૂરાં રંગ પણ! ટેકરી ઉતરીને મેદાનમાં આવ્યા પછી તો સૂર્યાસ્તનો નજારો એકદમ સાફ થઇ ગયો અને બરાબર સામે એક તળાવ હતું જેમાં આકાશનાં વિવિધ રંગોનો પડછાયો દેખાતો રહ્યો. હિરો અમને દોઢ કલાક ફેરવવાનો હતો તેને બદલે અઢી કલાક તો તેણે આરામથી અમારી સાથે ગાળી લીધાં હતાં અને ત્યાર પછી પણ એ અમને એ દિવસનાં અમારાં છેલ્લાં મુકામ પર લઇ જઈ રહ્યો હતો!

એ આખો બપોર અમે હિરો સાથે જાત-જાતની વાતો કરતા ગાળ્યો હતો. તેમાં વચ્ચે ક્યાંક જાપાનનાં સાંસ્કૃતિક શરાબની વાત નીકળી હતી અને અમે તેમની પાસેથી રેકમેન્ડેશન માંગ્યા હતા. પણ, એ બપોરે અમને એકબીજાનો સાથ એટલો ગમી ગયો હતો કે, હનુમાન જેમ સંજીવની જડીબુટીને બદલે આખો પર્વત લઇ આવ્યા હતા તેમ હિરો અમને તેની ફેવરિટ બ્રુઅરી લઇ જઈ રહ્યો હતો. ત્યાં અમે વિવિધ પ્રકારનાં સાકેનું ટેસ્ટિંગ કર્યું, એ શીખ્યા કે, ‘સાકે’ શબ્દનો સીધો અર્થ ‘શરાબ’ થાય છે. સાકે એ કોઈ શરાબનો પ્રકાર (દા.ત. વિસ્કી, વાઈન વગેરે) નથી. જાપાનમાં ક્યાંય જઈને એમ કહેશો કે, ‘સાકે આપો’ તો સામેવાળી વ્યક્તિ મૂંઝાઈ જશે! ટેઇસ્ટિંગ દરમિયાન પસંદ આવેલી બે ‘નિગોરી’ની બૉટ્લ્સ અમે ખરીદવાનું નક્કી કર્યું. હિરોએ ટેઈસ્ટિંગનું અમારું બંનેનું બિલ પોતે ચૂકવ્યું. એ આખા અનુભવથી અમે એટલા ખુશ હતા અને તેમાંયે હિરોએ નિર્ધારિત સમય કરતા ક્યાંય વધુ સમય અમારા માટે ફાળવ્યો હતો એ નિમિત્તે અમે તેને તેની ફેવરિટ સાકેની એક બૉટલ ભેટમાં આપી.

એ સાંજે નારાથી નીકળવાનું મન નહોતું થતું પણ, આગળ તો વધવાનું જ હતું. રાત્રે સાડા સાત આસપાસ અમે ઓસાકા પહોંચ્યા અને પછીનાં દિવસે ચેક-આઉટ કરીને ટોક્યો પાછા ફરવાની તૈયારી કરી.