ટીપુ સુલતાન નો મહેલ જોયા પછી શ્રીરંગપટ્ટનામાં અમારો કોઈ ખાસ પ્લાન નહોતો અને અમારે ત્યાંથી સીધું સોમનાથપુરા જવું હતું પણ, ડ્રાઇવરે રેકમેન્ડ કર્યું નિમિષંબા મંદિર જોવાનું. આ મંદિરનો રસ્તો ચિંધાડતું એક સાઇનબોર્ડ મેં શ્રીરંગસ્વામી મંદિર જતી વખતે પણ જોયું હતું અને ત્યારે મને એ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હતું. બાકી અમારો કોઈ ખાસ એજન્ડા હતો નહીં અને સમય પૂરતો હતો એટલે બધાએ સહમતિ આપી.
રસ્તામાં અમે નિમિષનો અર્થ ડિસ્કસ કરતા ચાલ્યા. નિમિષનો અર્થ છે ક્ષણભર – આંખ મીંચીને ખોલો તેટલો સમય. ત્રણસોથી ચારસો વર્ષ પહેલાં કોઈ વડિયાર રાજાની ઇચ્છા આ દેવીએ ક્ષણભરમાં પૂર્ણ કરી હોવાની માન્યતા હતી અને તેમણે જ આ મંદિર બનાવડાવ્યું હોવાનું મનાય છે. મંદિર એકદમ સાદું હતું, અંદર ખૂબ ભીડ દેખાઈ અને તેનું આર્કિટેક્ચર કંઈ ખાસ હતું નહીં એટલે મેં શૂઝ કાઢવા-પહેરવાની મહેનત કરવાનું માંડી વાળ્યું. સામે નદીનો કિનારો મને બોલાવી રહ્યો હતો એટલે દોડીને હું સીધી ત્યાં ગઈ.

કાવેરી નદીની એ પહેલી ઝલક હતી. જો અમે સોમનાથપુરા ન જવાનાં હોત તો કદાચ હું જ્યાં સુધી પરાણે અટકવું ન પડે ત્યાં સુધી હું નદીનાં કિનારે જ ચાલતી રહેત. ત્યાં નાની રેકડીઓ પણ સરસ હતી. એક રેકડીમાં કોઈ બહેન કંઇક ભજીયા જેવું બનાવી રહ્યા હતા, એક સોડા-શરબતની લારી હતી અને એવું બીજું ઘણું બધું. લોકો દર્શન કરીને આવ્યા એટલે તરત અમે પાર્કિંગ તરફ પાછા ફર્યા કારણ કે, અમને સોમનાથપુરામાં પૂરતો સમય જોઈતો હતો. બહાર નીકળતા મારું ધ્યાન બે બહેનો પર ગયું, જે મંદિરનાં પ્રવેશ પાસે એક નાની ટોપલીમાં જાત જાતનાં ફુલ વેંચી રહ્યા હતા. કેસરી રંગનાં ચંપાનાં બહુ સુંદર ફુલ હતાં અને તેમની પાસે છેલ્લા થોડાં જ વધ્યા હતાં. ત્રીસ રૂપિયાનું એક ફુલ સાંભળીને પહેલા તો મારી આંખ ચમકી અને મારું પહેલું રીએકશન ભાવ-તાલ કરાવવાનું હતું પણ, નસીબજોગે હું કોને, શું કહેવા જઈ રહી છું તેનાં પર મારું ધ્યાન હતું એટલે હું અટકી. મેં ત્રણ ફુલ માંગ્યા અને તેમણે સો રૂપિયા કહ્યા એ તરત તેમને આપ્યાં. તેમણે વધેલા આઠ-દસ ફુલમાંથી તાજામાં તાજાં ત્રણ શોધીને મને એક પ્લાસ્ટિકની થેલીમાં નાંખી આપ્યાં, જે મેં કારનાં ડેશબોર્ડ પર સજાવ્યાં. પાંચ મિનિટ હું બાકીનાં લોકોની રાહ જોતી, કાર પાસે બહાર ઊભી અને બધા આવ્યા પછી અંદર ગઈ તો સુગંધ જ સુગંધ!
સો રૂપિયાની આજનાં સમયમાં શું કિંમત રહી છે? એમનાં ગામડાંમાં પણ કદાચ સો રૂપિયામાં કદાચ બે વ્યકિતનાં એક ટંકનાં કરિયાણા સિવાય કંઈ નહીં આવતું હોય અને આ વાત તાર્કિક રીતે બરાબર સમજાતી હોવા છતાં મારું અને ઘણાં સમૃદ્ધ, ગોરાં પ્રવાસીઓનું પણ પહેલું રીએકશન ભાવ કરાવવાનું કેમ હોય છે?! કદાચ એટલા માટે કે, આપણને નાનપણથી સમજાવવામાં આવ્યું છે કે, વ્યાપારીઓથી ‘છેતરાવું’ નહીં અને કોઈ પણ વસ્તુ ઓછાંમાં ઓછી કિંમતે મળે તેવો પૂરો પ્રયત્ન કરવો? કે પછી એટલા માટે કે, આ ઓછામાં ઓછી કિંમતે કોઈ વસ્તુ ખરીદી લેવી એ આપણા માટે એક ગેઇમ બની ગઈ છે જે દરેક વખતે જીતવી જરુરી છે? અથવા આપણે માનીએ છીએ કે, પ્રવાસી તરીકે જો એ જ જગ્યાએ એ જ વસ્તુ માટે મારે એક લોકલ વ્યક્તિ કરતા વધારે પૈસા આપવા પડે તો એ અન્યાય છે, ભલે આપણી ખરીદશક્તિ લોકલ લોકો કરતા ઘણી વધારે હોય તો પણ?!
સામે બીજું સત્ય એ પણ છે કે, ફુલવાળા બહેન સાથે ભાવ કરવા બાબતે મને જેટલું અજુગતું લાગ્યું હતું તેટલી તકલીફ મને શ્રીરંગસ્વામી મંદિર સામે સ્ટ્રીટ માર્કેટમાં ખરીદી કરતી વખતે નહોતી થઈ. ત્યાં મને શણનું એક સુંદર પર્સ ગમ્યું હતું. એ વેપારીએ પહેલો ભાવ સાડા નવસો કહ્યો હતો અને અંતે અમે ત્યાંથી સાડા નવસોનાં બે પર્સ અમે લઈ ગયા હતા. હું વિચારતી રહી આવું કેમ? કદાચ એટલા માટે કે, ફુલની કિંમત નજીવી હતી અને પર્સની નહોતી? એવી કઈ રકમ છે જેનાંથી નીચેની કિંમતની વસ્તુ માટે લપ ન કરવી પણ તેની ઉપરની કિંમત પર સારામાં સારો ભાવ મેળવવાનો પ્રયત્ન કરવો વ્યાજબી કહી શકાય? આ સવાલોનાં કદાચ કોઈ જવાબ નથી.
નિમિષંબા મંદિરથી મૈસુર તરફ જતો રસ્તો નાનાં સુંદર ગામડાંઓમાંથી પસાર થતો હતો. રસ્તામાં અમે બહુ ક્યૂટ રંગબેરંગી ઘર જોયાં, તેમનાં આંગણામાં જાત-જાતનાં શાક અને ફળનાં ઝાડ જોયાં અને મને ત્યાં જ વસી જવાનું મન થઇ ગયું. અમુક ઘર જોઈને તો મને એકદમ ‘માલગુડી ડેઝ’ ટીવી શો યાદ આવી ગયો! થોડી વારમાં અમે ફરીથી મૈસુર શહેરની હદમાં એન્ટર થયા અને તેનાં આઉટસ્કર્ટમાંથી જ સોમનાથપુરાનો રસ્તો પકડ્યો. સોમનાથપુરા પણ એક ગામડું જ છે અને એ પણ શ્રીરંગપટના પાસેનાં ગામડાં જેટલું જ ક્યૂટ છે. ત્યાંનું ચેન્નકેશવા મંદિર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે.
અમે ગયા ત્યારે ત્યાં બહુ ભીડ નહોતી અને માહોલ એકદમ શાંત હતો. સહપ્રવાસીઓ વાતોમાં મશગુલ હતા એટલે તેમને આગળ જવા દઈને હું પાછળ ધીમે ચાલતી આવી. મંદિર સામે એક નાનું ગાર્ડન બનાવવામાં આવ્યું હતું અને તેનું મેઇન્ટેનન્સ પણ સરસ થતું હોય તેવું લાગતું હતું. અંદર દાખલ થતા મારું જ ધ્યાન ગયું, નાના છોડ નીચે એક કૂતરું શાંતિથી ઊંઘતું હતું.

બગીચાનાં અંતે બરાબર સામે પત્થરનો વિશાળ દરવાજો હતો. તેમાંથી પસાર થતા જ હું જાણે એક અલગ દુનિયામાં પહોંચી ગઈ! ત્યાંથી પગથિયાં ઊતરીને એક નાનું પ્રાંગણ અને ફરી થોડાં પગથિયાં ચડીને બરાબર સામે મંદિરનું ગર્ભગૃહ. પ્રાંગણની ડાબી અને જમણી બાજુ હરોળબંધ એકસરખાં નાનાં નાનાં રુમ અને દરવાજા હતાં. પહેલી નજરે લાગ્યું કે, અહીં પ્રવાસીઓ માટે ધર્મશાળા બની હોવી જોઈએ.

ત્યાં પગથિયાં પાસે જ અમને એક ગાઈડ પણ મળી ગયા. ફક્ત એક તકલીફ હતી કે, એ બહેનને ફક્ત કન્નડ અથવા ઇંગ્લિશ જ આવડતું હતું અને અમારા અમુક સાથીઓની ઇંગ્લિશ પર બહુ પકડ નહોતી એટલે તેમનાં માટે અમે હિન્દીભાષી ગાઇડ શોધવાનો પ્રયત્ન કર્યો. તેમણે મંદિર તરફ ઈશારો કરીને કહ્યું કે, અહીં હું અને પેલા ભાઈ બે જ ગાઈડ છીએ અને તેમને પણ હિન્દી નથી આવડતું. અંતે અમે તેમની જ સર્વિસ હાયર કરી અને તેમણે મંદિરનાં નામ અને ગામનાં નામથી અમને માહિતી આપવાનું શરુ કર્યું.
હોયસાલા વંશનાં રાજા નરસિંહ ત્રીજાનાં દંડનાયક સોમનાથે આ મંદિર બનાવડાવ્યું હતું અને સન ૧૨૫૮માં તેનું બાંધકામ પૂરું થયું હતું. આ દંડનાયકનાં નામ પરથી જ આ ગામનું નામ સોમનાથપુરા પડ્યું. બીજી એક આશ્ચર્યની વાત એ હતી કે, સોમનાથ નામની વ્યક્તિએ એક વૈષ્ણવ મંદિર બનાવડાવ્યું! એ પણ આટલું સુંદર અને ભવ્ય! જેઓ દક્ષિણ ભારતની વિવિધ પરંપરાઓ સાથે પરિચિત છે તેમને ખ્યાલ હશે કે, દક્ષિણમાં શૈવ અને વૈષ્ણવ પરંપરાઓ વચ્ચે સારું એવું અંતર છે – એટલું અંતર કે રૂઢિચુસ્ત શૈવ કે વૈષ્ણવ બ્રાહ્મણો એકબીજાનાં પક્ષ સાથે જોડાયેલાં નામ પણ નથી રાખતા હોતા, તો એકબીજાનાં ભગવાનોનાં મંદિર બનાવવા તો બહુ દૂરની વાત છે. આ કારણે ઘણાં લોકો ગામનું નામ સાંભળીને પણ આ મંદિર શૈવ હોવાની ધારણા બાંધી લેતા હોય છે પણ, આ મંદિર સંપૂર્ણપણે વૈષ્ણવ છે.
અંદર એક નહીં, ત્રણ ગર્ભ ગૃહ છે અને ત્રણેમાં વિષ્ણુનાં અલગ અલગ અવતારોની મૂર્તિઓ રાખવામાં આવી છે. બરાબર વચ્ચે કેશવ – જેનાં નામથી મંદિરનું નામ પડ્યું ચેન્નાકેશવા (ચેન્ના એટલે સુંદર), ડાબી બાજુ જનાર્દન અને જમણી બાજુ વેણુગોપાલ. ત્રણે મૂર્તિઓ ખંડિત છે અને આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ તેનાં ઘણાં ખરાં ભાગ જોડીને તેને રિસ્ટોર કરી છે, છતાં એ અદ્ભુત સુંદર છે! વેણુગોપાલની મૂર્તિમાં સૌથી ઓછું ડેમેજ છે અને તેમાં ફક્ત વાંસળીનો એક નાનો ભાગ અને એક પગનો અંગુઠો જ તૂટેલાં છે અને તેમાં મગજ કામ ન કરે તેટલું ઝીણું ડીટેઇલિંગ છે. ફોર ધેટ મેટર, આખાં મંદિરમાં અંદર અને બહાર ઝીણું ઝીણું એટલું સુંદર કોતરણી કામ છે કે, બધી ડીટેઈલ ધ્યાનથી જુઓ તો મહિનાઓ લાગી જાય!

મંદિરમાં અંદર જતા જ છત પર નવ (કે દસ) ચોકઠાં બનેલાં છે અને દરેકમાં કમળની કળીથી માંડીને પૂરાં ખીલેલાં કમળ સુધીનાં અલગ અલગ સ્ટેજ દર્શાવતી સુપર્બ કોતરણી કરવામાં આવી છે. બધી ડીટેઇલ્સ વર્ણવવી તો અશક્ય છે અને ત્યાં ઊભા રહીને ફક્ત એ અનુભવ પર ધ્યાન આપવાની મારી ઈચ્છા એટલી સ્ટ્રોંગ હતી કે, મેં ત્યાં બહુ ફોટોઝ પણ નથી પાડ્યાં. આ આખી ટ્રિપમાં લગભગ બધે એવું જ રહ્યું. વર્ષનાં બસો દિવસ સ્ક્રીન પર નાછૂટકે સતત સમય વિતાવ્યાનું આ પરિણામ હતું કદાચ.

આ મંદિરનો મારો ફેવરિટ ભાગ જો કે, અંદર નહીં, બહાર હતો. મંદિરમાં ત્રણ ગર્ભ-ગૃહો હોવાનાં કારણે સ્વાભાવિક રીતે જ ત્રણ શિખર પણ છે. ત્રણે પરફેક્ટ ત્રિકોણમાં ગોઠવાયેલાં છે અને મંદિરનું પ્લૅટફૉર્મ અને બધી જ દીવાલો એકદમ સિમેટ્રીકલ સ્ટાર શેઇપમાં બનાવવામાં આવી છે. હવે આ સ્ટાર શેઇપ પણ એવો છે કે, ત્રણે શિખરોને પોતપોતાનાં અલગ સ્ટાર મળે. તળિયેથી શિખર સુધી આ શેઇપ મેઇન્ટેન કરવો તો અઘરો છે જ પણ, આખાં સ્ટ્રકચર પર તળિયેથી છત સુધી નાનામાં નાના ભાગમાં પણ મગજ કામ ન કરે તેટલી સુંદર કોતરણી પણ છે! નીચે ફોટોઝ જોઈને કદાચ વધુ સમજાશે.



આ મંદિર પર થયેલી કોતરણી એટલી ઝીણી છે અને હજુ પણ એટલી ક્લીયરલી જોઈ શકાય છે કે, સ્વાભાવિક રીતે જ મનમાં સવાલ થાય કે, પત્થર પર આટલું ઝીણું કામ કરતાં તો કેટલાં વર્ષો લાગે અને આ આખું મંદિર તો ફક્ત એક વ્યકિતનાં જીવનકાળમાં જ બની ગયું હતું તો આ બન્યું કઈ રીતે હશે? અમારા ગાઈડે પૂછ્યા પહેલા જ તેનો જવાબ આપી દીધો – સેન્ડસ્ટોન! સેન્ડ સ્ટોન એક એવો પત્થર છે જે પાણીમાં પલળેલો રહે ત્યાં સુધી એકદમ નરમ રહે એટલે આસાનીથી તેનાં પર કોતરણી થઈ શકે પણ, જેવો હવાનાં સંપર્કમાં આવે તેમ આ પત્થર સખત થતો જાય! કુદરત પણ કમાલ છે ને?! બાય ધ વે, તેમણે અમને જણાવ્યું આ પ્રોજક્ટનાં આર્કિટેક્ટ્સનું નામ પણ ત્યાં અમુક મૂર્તિઓ નીચે જૂની કન્નડ લિપિમાં કોતરવામાં આવ્યું છે!
ગાઇડને અમે પૂછ્યું કે, મંદિરની બંને બાજુ જે લાઈનસર બંધ દરવાજા છે એ બધાં રુમ પહેલા ધર્મશાળા તરીકે વપરાતા કે કેમ? અમે જાણ્યું અમારી એક ધારણા ખોટી હતી. એ ધર્મશાળાનાં રુમ નહીં પણ નાના-નાના મંદિરો હતાં. એ દરેકમાં એક મૂર્તિ રાખવામાં આવી હતી અને એ બધી મૂર્તિઓ પણ મંદિર (અને ગામ) પર આક્રમણ થયું ત્યારે તોડી નાંખવામાં આવી હતી કે પછી ચોરી લેવાઈ હતી. બન્યા પછી આ મંદિર સાઠ વર્ષથી પણ ઓછો સમય એક્ટિવ રહી શક્યું હતું કારણ કે, તેરમી સદી નાં અંતમાં જ તેનાં પર આક્રમણ થઈને બધી મૂર્તિઓ ખંડિત થઈ ગઈ હતી અને હિન્દુ ધર્મનાં નિયમ પ્રમાણે ખંડિત મૂર્તિની પૂજા ન થઈ શકે. આ મંદિરની લગભગ બધી જ મૂર્તિઓ પૂજા ન થઈ શકે એ માટે તોડવામાં આવી હતી અને તેમને કદરૂપી બનાવવા માટે તેમનાં નાક તોડવામાં આવ્યાં હતાં.
મારાં એક સાથીએ કૉમેન્ટ કરી કે, ઘણાં વામપંથી (લેફ્ટિસ્ટ) ઇતિહાસકારો એવો દાવો કરતા આવ્યા છે કે, મંદિરો પર આક્રમણ ફક્ત તેની સમૃદ્ધિ લુંટવા માટે થયાં હતાં અને તેને ઇસ્લામિક ધર્મ-ઝનૂન સાથે કોઈ જ લેવા-દેવા નહોતા પણ, આ મંદિરોની તોડવામાં આવેલી મૂર્તિઓ તો કોઈ અલગ જ વાત કહે છે. વામપંથીઓ સાથે લોકોને આ જ તકલીફ છે. જે સત્ય સામે ચોખ્ખું દેખાઈ રહ્યું છે તેનાં વિશે ખોટું બોલીને પરાણે મુસ્લિમ-અપીઝમેન્ટ કરવાનો શું મતલબ છે? આ મંદિરોની કહાનીઓ જે સાંભળશે તેમને દક્ષિણપંથીઓ(રાઈટ વિંગ)નો ઇસ્લામ પ્રત્યેનો ધિક્કાર કદાચ યોગ્ય જ લાગશે.
તેની વાત બિલકુલ સાચી હતી પણ, મને અધૂરી લાગી. એવું પણ હોઈ શકે ને કે, વામપંથી ઇતિહાસકારો કદાચ એટલા માટે અર્ધ-સત્ય કહેવાનું પસંદ કરે છે કે, તેમને ડર છે કે પોતે પૂર્ણ સત્ય કહેશે તો કદાચ ઝનૂની નોન-મુસ્લિમ લોકો ઐતિહાસિક અન્યાયનાં નામે મુસ્લિમો પર હિંસા કરવા માટે પોરસાશે, પછી એ હિંસાને ઐતિહાસિક કારણ તરીકે વાપરીને સામેનો પક્ષ હિંસક થશે અને આમ હિંસાનું એક ચક્ર સતત ચાલતું જ રહેશે? ઉપરાંત, આવાં કેટલાંયે મંદિરો અને બીજાં કેટલાંયે બિલ્ડિંગ કુદરતનાં કોપથી પણ ધરાશાયી થયાં છે. આપણને બધાને ખબર છે કે, જેની શરુઆત છે તે દરેકે દરેક વસ્તુનો અંત છે – એ મનુષ્ય કરે કે કુદરત! તો પછી અમુક ધર્મ-ઝનૂની લોકોએ ધર્મનાં નામે પાંચસો વર્ષ પહેલાં કરેલાં વિનાશ બાબતે લોકોને હજુ પણ એક આખી કોમ પર આટલો ગુસ્સો કેમ છે? એટલા માટે કે, કુદરત વિનાશ કરે ત્યારે આપણે લડી નથી શકતા? કે, એટલા માટે કે, આપણાં જીવનમાં એટલાં બધાં અભાવો છે જેનાં માટે આપણે કોઈ પર ગુસ્સો નથી કરી શકતા એટલે આપણે ક્રોધ અને ધિક્કારને જ્યાં પણ જસ્ટિફાય કરી શકીયે ત્યાં કરી લઈએ છીએ? કે પછી આપણને અમુક લોકોને ધિક્કરવાનું શીખવવામાં આવ્યું છે અને આપણે ફક્ત આંખ બંધ કરીને એક સ્ક્રિપ્ટ ફોલો કરી રહ્યા છીએ?
મંદિરની બહાર નીકળતા મારું ધ્યાન એક બીજા ઈતિહાસ પર ગયું જેની વાત કરવાવાળું ત્યાં કોઈ જ નહોતું. વિશાળ વૃક્ષો! ત્યાં બગીચામાં બે – ત્રણ વૃક્ષો એટલાં ઘટાદાર હતાં કે, લગભગ પાંચસોથી હજાર લોકો તેની નીચે છાયો લઈ શકે! આ વૃક્ષોની ઘટા અને તેમનાં થડની જાડાઈ જોઈને લાગતું હતું કે આ વૃક્ષો પણ સદીઓ જૂનાં હશે. તેમનો ઈતિહાસ જણાવવાવાળું પણ ત્યાં કોઈ હોત તો કેટલી મજા આવત! આ વૃક્ષો પોતે માનવ-ભાષા બોલી શકતાં હોત તો તો તેનાંથીયે વધુ મજા આવત કારણ કે તેમણે કદાચ આ મંદિરનું સર્જન અને વિનાશ બંને જોયાં હશે! કલ્પવૃક્ષ કદાચ આવું જ દેખાતું હશે! કદાચ આ કારણે જ જ્યોર્જ આર આર માર્ટિને ગેમ ઑફ થ્રોન્સનાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય – ત્રણે જોઈ શકતા કેરેક્ટરને નામ આપ્યું ‘ગ્રીન સીયર’, જે ઝાડનો અને જંગલનો એક ભાગ છે :)



















