કર્ણાટક – 16

કર્ણાટક, પ્રવાસ, ભારત

જેમ તેમ મેં બે ત્રણ દિવસ કાઢ્યાં બૅન્ગલોરમાં અને ફાઈનલી શનિવારે સવારે અમે નીકળ્યાં ચિક્કમગલૂર જવા માટે. બૅંગલોરથી નીકળીને અમારું પહેલું સ્ટૉપ હતું ‘હોટેલ ધ્રુવતારે’. અહીં અમે લેટ બ્રેકફસ્ટ / અર્લી લંચ માટે રોકાયાં. અમે પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ જ નહોતું. ફક્ત હોટેલ સ્ટાફ અને અમે ચાર કસ્ટમર્સ. તેમનું લોકેશન મને બહુ ગમ્યું – લાંબું ખેતર જ્યાં હાઇવેને અડે ત્યાં કાંઠે તેમણે આ રેસ્ટ્રોં બનાવ્યું હતું. તેમણે પાછળની તરફ ઑલમોસ્ટ ફ્લોર ટુ સીલિંગ પારદર્શક કાચની બારીઓ લગાવી હતી એટલે ત્યાંથી પાછળ જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી હરિયાળી જ હરિયાળી દેખાતી હતી! તેમનું ફૂડ પણ ખૂબ સારું હતું. ફક્ત સર્વિસ થોડી ધીમી હતી પણ એ સેટિંગમાં સર્વિસ ધીમી હોવી એ કોઈ પ્રૉબ્લેમ નહોતો. અમે જે કોન્ક્રીટનાં જંગલમાંથી આવ્યાં હતાં એટલે તેની સામે તો આ બહુ મોટું અપગ્રેડ હતું! જમવાનું બને એટલી વારમાં મેં રેસ્ટ્રોં ફરતે એક ચક્કર લગાવ્યું – ખેતરમાં જઈ શકાય છે કે નહીં એ જોવા માટે. ખેતર સુધી જવાનો કોઈ રસ્તો તો નહોતો પણ એ સેટિંગને શાંતિથી જોવાની પણ એક મજા હતી!

આ રેસ્ટ્રોં અમારું હાફ-વે સ્ટૉપ હતું. અમારું પહેલું ડેસ્ટિનેશન ત્યાંથી બે કલાકનાં ડ્રાઇવિંગ ડિસ્ટન્સ પર હતું. એ આખી ડ્રાઈવ અદ્ભુત હતી! રસ્તામાં ઠેક ઠેકાણે લીલાં નાળિયેરની રેકડીઓ હતી અને રસ્તો લગભગ સાવ ખાલી હતો. અમારો રસ્તો કર્ણાટકનાં અંતરિયાળ વિસ્તારમાંથી પસાર થતો હતો પણ આખા રસ્તે રોડ-કન્ડિશન સુપર્બ હતી અને ગાડી જાણે પાણીની જેમ વહેતી હતી! અમે ચાર કલાક કારમાં શું વાત કરી હશે એ કંઈ જ મને યાદ નથી. ફક્ત એટલું યાદ છે કે, હું એ કન્વર્ઝેશનમાં ક્યાંયે ફિટ નહોતી થતી. ત્રણ લોકોની એક ચોક્કસ પ્રકારની વિચારસરણીવાળી એક ‘echo chamber’ હતી જેની સાથે દર દસ મિનિટે મારી અસહમતિ જાહેર કરવાનાં બદલે મેં ‘હમ્મ’ અને ‘હા’નાં ટૂંકા જવાબ અને મૌન પસંદ કર્યાં હતાં. એક કારણ એ પણ હતું કે, એ લૅન્ડસ્કેપની સુંદરતા અને વિશાળતાનાં મૌન સાંગીતમાં વાતોનો ઘોંઘાટ મને ખલેલ પાડતો જણાતો હતો. લગભગ અડધો રસ્તો તો મેં મિત્રોની કારનાં સન-રૂફ પર ઊભા રહીને પસાર કર્યો હતો.

અમારું પહેલું ડેસ્ટિનેશન હતું હસ્સન જિલ્લાનું હાલેબિડુ ગામ જ્યાં બારમી સદીમાં બનેલું હોયસાલેશ્વર મંદિર આવેલું છે. દસ દિવસ પહેલા મૈસુર પાસે સોમનાથપુરામાં અમે જે ઐતિહાસિક ચેન્નકેશવા મંદિર જોવા ગયાં હતાં એ જ હોયસાલા રાજવંશનાં સમયમાં આ મંદિર પણ બનેલું હતું. યુનેસ્કોનાં ‘હેરિટેજ’ લિસ્ટમાં આ વંશનાં જે ત્રણ મંદિરોનો સમાવેશ થાય છે તેમાંનું અમે જોયેલું આ બીજું મંદિર હતું. સોમનાથપુરાનાં મંદિરની જેમ આ મંદિર પણ ખંડિત હતું એટલે ત્યાં કોઈ મૂર્તિની પૂજા નહોતી થતી, પરિણામે એ બંને હવે ‘મંદિર’ નહોતાં! મારાં માટે તો આવાં અભૂતપૂર્વ સ્ટ્રક્ચર્સનું મૂલ્ય તેમાંની બે કે ત્રણ ‘મુખ્ય’ મૂર્તિઓ કરતા અનેકગણું ચડિયાતું છે. મૂર્તિ હોય કે ન હોય, આ સ્થાપત્યોની કળા અને કારીગરી પોતે પોતાનામાં જ એક ભગવાન સમાન છે!

ત્યાં અમે કોઈ ઓફિશિયલ ગાઇડની સેવા ન લઇ શક્યા પણ વિકિપીડિયા પર આ મંદિર વિષે વાંચ્યું જરૂર…

હાલેબિડુ ગામ એ સમયે હોયસાલા વંશની રાજધાની હતું અને એ સમયે એ ‘દોરસમુદ્ર’ તરીકે ઓળખાતું હતું. હાલેબિડુ નામ પાછળથી પડ્યું, જેનો અર્થ થાય છે ‘જૂનું પાટનગર’ અથવા ‘ધ્વસ્ત શહેર’. શક્ય છે કે, ચૌદમી સદીમાં અલાઉદ્દીન ખિલજીની દિલ્હી સલ્તનતે આ શહેરનો વિનાશ કર્યા પછી ત્યાંનાં લોકો તેને આ નવાં નામે સંબોધવા લાગ્યાં હોય અને આગળ જતાં એ જ નામ લોકજીભે ચડી ગયું હોય. હાલેબિડુમાં હોયસાલા સમયનાં ઘણાં સ્મારકો અને ખંડેરો આજે પણ હયાત છે, જેમાંથી ફક્ત એક – આ હોયસાલેશ્વર મંદિર જ યુનેસ્કો-માન્ય ઐતિહાસિક સ્મારક છે. બદનસીબે ટ્રાવેલ પ્લાનિંગ કર્યું ત્યારે અમને બાકીનાં સ્મારકો વિષે ખબર નહોતી એટલે અમે ત્યાં પૂરતો સમય લઈને નહોતાં ગયાં અને ફક્ત આ એક જ મંદિર જોઈ શક્યાં.

આ તો થયો એ સ્થળ અને સમયનો ઇતિહાસ. હવે વાત કરીએ આ મંદિરની, તો બારમી સદીમાં બનેલાં આ શિવ-મંદિરનું બાંધકામ કેટલાં સમયમાં થયું અને એ કોણે બનાવડાવ્યું તેનાં વિષે ચોક્કસ માહિતિ ઉપલબ્ધ નથી. સામાન્ય રીતે આ મંદિરોમાં મુખ્ય ફાઇનાન્સિયર અને આર્કિટેક્ટનાં નામની તકતી લાગેલી હોય છે પણ આ મંદિરની કોઈ ચોક્કસ તકતી હજુ સુધી મળી શકી નથી. ત્યાંથી થોડે દૂર કોઈક ખંડેરોમાં એકાદ તકતી મળી છે પણ એ આ મંદિરની જ છે કે કેમ તેની કોઈ પાક્કી ખબર નથી. આ મંદિર ટ્વિંન ટેમ્પલ્સ તરીકે પણ ઓળખાય છે કારણ કે, અહીં એકસરખાં દેખાતાં બે મુખ્ય મંડપ આવેલાં છે જેમાં બંનેમાં એક એક શિવલિંગની પૂજા થતી હતી. એ સમયનાં રાજા અને રાણી શાંતલાદેવીનાં નામ પરથી એ બંને શિવલિંગનાં નામ હોયસાલેશ્વર અને શાન્તાલેશ્વર રાખવામાં આવ્યાં હતાં. જો બંને એકદમ સમાન દેખાતાં હોય તો ખબર કઈ રીતે પડે કે રાજાનું મંદિર કયું અને રાણીનું કયું? બંનેની સામે અલગ અલગ કદની નંદિની મૂર્તિ ગોઠવવામાં આવી છે – મોટાં કદનો નંદિ રાજાનો અને નાનો રાણીનો!

સોમનાથપુરાનાં મંદિરની જેમ આ મંદિર પણ ‘સોપસ્ટોન'(soapstone)નું જ બનેલું છે અને બંને બાંધકામની સ્ટાયલ એકદમ મળતી આવે છે. જેણે એક મંદિર જોયું હોય તે બીજું જોઈને તરત કહી શકે કે, આ બંને ઇમારતો કોઈ ને કોઈ રીતે રિલેટેડ હોવી જોઈએ! મંદિરનાં આર્કિટેક્ચર અને કોતરણીનું ડીટેઇલિંગ અદ્ભુત છે! મંદિર ફરતે પ્રદક્ષિણા કરીને અમે તેની બધી કોતરણી જોઈ રહ્યાં હતાં ત્યારે અમારું ધ્યાન બે પાઇપલાઇન જેવાં દેખાતાં સ્ટ્રક્ચર પર ગયું. ત્યારે ખબર પડી કે, અભિષેકનું પાણી બહાર વહી જાય એ માટે આર્કિટેક્ટે બરાબર વ્યવસ્થા કરી હતી! બંને ગર્ભગૃહ સાથે એક-એક પાઈપલાઈન એ રીતે જોડેલી છે કે, ગર્ભગૃહની અંદર જોતાં નરી આંખે દેખાય જ નહીં! તેની કોતરણીની ડીટેલ્સની વાત કરવી શરુ કરીયે તો પાનાંનાં પાનાં ભરાય! મહાભારત અને પુરાણોનાં આખાં ઍપિસોડ્સ ઝીણાંમાં ઝીણી ડીટેઈલ્સ સાથે એ દીવાલો પર કોતરેલાં છે. એ મંદિરોની દરેક ડીટેલ જોતાં જ ફક્ત મહિનાઓ લાગે અને તેનાં દરેક આર્કિટેચરલ ફીચરને સમજતાં કદાચ વર્ષો થાય. આ મંદિરો મલ્ટી-જનરેશનલ પ્રોજેક્ટ્સ હતાં – દાદાનાં સમયમાં શરુ થયાં હોય, અને પૌત્રએ પ્રાણપ્રતિષ્ઠા કરી હોય. “એક આયુષ્ય ઓછું પડે” વાળી કહેવત કદાચ આવાં પ્રોજેક્ટસ પરથી જ પડી હશે!

મંદિરનું આખું પરિસર એક વિશાળ વિસ્તારમાં પથરાયેલું હતું. અમને એ પરિસરની હદ જોવાની જિજ્ઞાસા થઇ એટલે અમે જ્યાં સુધી ચાલી શકાય ત્યાં સુધી ચાલતાં રહ્યાં. મુખ્ય ઇમારતોથી ચાલીને લગભગ દસેક મિનિટનાં અંતરે પુરાતત્ત્વ વિભાગે ખોદકામ કરીને કાઢેલાં ઇમારાતોનાં નાનાં-મોટાં વિભાગ અને મૂર્તિઓ હરોળબંધ રાખવામાં આવ્યાં હતાં. ત્યાં કદાચ એવું લખેલું જોયું હતું (અથવા અમારું અનુમાન હતું. હવે પાક્કું યાદ નથી) કે, એ વિભાગો કઈ ઇમારતનાં છે એ ચોક્કસપણે હજુ જાણી નથી શકાયું એટલે ત્યાં છૂટાં છવાયાં પડેલાં હતાં. ત્યાં પાછળથી એક નદી પણ વહેતી હતી.

ત્યાંથી આગળ વધી શકાય તેમ નહોતું એટલે અમે પાછાં ફયાઁ અને એ દિવસનાં અમારાં ફાઇનલ ડેસ્ટિનેશન – ચિક્કમગલુર તરફ ગાડી દોડાવી.