કર્ણાટક – 2

કર્ણાટક, પ્રવાસ, ભારત

સવારે ઉઠીને સૌથી પેહલા તો મારું ધ્યાન ગયું વાંસળીનાં સાઉન્ડ પર. સતત એક ધીમો અવાજૉ સંભળાઈ રહ્યો હતો. કોઈ કારણોસર મારે ફાર્મસી જવાની જરુર પડી એટલે ગૂગલ મેપ્સ પર એક ફાર્મસી શોધીને હું ડ્રાઈવર સાથે ચાલી. રુમથી કાર સુધી રસ્તામાં વાંસળીનો નાદ સતત સંભળાઈ રહ્યો હતો અને અવાજ વરાંડા તરફથી આવી રહ્યો હતો એટલે હું પહેલા તો સંગીતની દિશામાં ચાલી અને જોયું ત્યાં નીચે એક સ્ત્રી બહુ સુંદર વાંસળી વગાડી રહી હતી અને સરસ માહોલ જામી રહ્યો હતો. such a great way to start the day! વાદળછાયો દિવસ હતો અને સવારે નવેક વાગ્યા હશે પણ, બહુ ટ્રાફિક નહોતો. શહેરમાં લોકોનો દિવસ શરુ થતો જોવાનો એક અલગ આનંદ હતો. અમે જ્યાંથી પસાર થયા એ રસ્તો પણ પહોળો, સાફ અને બંને બાજુ વૃક્ષોથી છવાયેલો સુંદર હતો અને શહેરની ગતિ એકદમ ધીમી. અમારી ટૂરિસ્ટી ચહેલપહેલ શરુ થાય એ પહેલાની આ શાંતિ બહુ જ સુખદ હતી. અહીંનું લોકલ જીવન જોવા – જાણવાની આ નાની પણ સરસ તક મને બહુ ગમી.

આગલી રાતનાં અનુભવ પછી અમે નક્કી કર્યું હતું કે, હવે પછીની તમામ મીલ માટે અમે લોકલ રોસ્ટ્રોંઝ જ ટ્રાય કરશું એટલે તૈયાર થઈને અમે એક મિત્રનાં રેકમેન્ડેશનથી પહોંચ્યા ‘વિનાયક માયલારી’ – મૈસુરનાં પ્રખ્યાત માયલારી ડોસા ટ્રાય કરવા માટે. વિનાયકની ઓરીજીનલ દુકાન એટલી નાની છે કે, ત્યાં એકસાથે એક સમયે આઠ-દસ લોકોથી વધુ બેસી ન શકે પણ, તેમની પોપ્યુલારિટી ધ્યાનમાં રાખીને તેમણે બાજુમાં જ એક મોટી જગ્યામાં એકસ્પાંશન કર્યું છે. ઇચ્છા તો અમારી ઓરીજીનલ દુકાનમાં જ બેસવાની હતી પણ, સમયની કટોકટીનાં કારણે રાહ જોવાને બદલે નવી જગ્યામાં જ બેસી જવાનું અમને યોગ્ય લાગ્યું. તેમનું અતિ સરળ મેન્યુ મારું ફેવરિટ હતું – માયલારી ડોસા અથવા મસાલા માયલારી ડોસા. નિર્ણયો લેવાની કોઈ જ માથાકૂટ નહીં! આ નાની શોપ કેટલા જાત-જાતનાં લોકોને કેટર કરતી હતી એ જોવાની પણ મજા હતી. ત્યાં પંદર – વીસ મિનિટમાં મેં ટોટલ હિપસ્ટરથી માંડીને સાવ ગામઠી સુધીની આખી રેન્જ જોઈ.

મેં થોડું જલ્દી જમવાનું પતાવી દીધું હતું એટલે બાકીનો સમય ત્યાં બેસીને રાહ જોવાનાં બદલે મેં બહાર શેરીમાં ચાલીને આંટો મારવાનું પસંદ કર્યું. ત્યાંની નાની ગલીઓ અને તેની નાની દુકાનો મને બહુ જ ગમી. અહીં ચાલતા મને અહેસાસ થયો કે, ભારતનાં શહેરોમાં આ સરળતા ખૂટે છે. મોટાં શહેરો કે મેટ્રો સિટીઝમાં રહેતા, રોજબરોજનાં જીવનમાં સમજ નથી પડતી પણ મૈસુર જેવાં નાના શહેરો જોઈને સમજાય છે કે, જ્યાં રહેતા હોઈએ એ શહેરની બનાવટમાં એક વિઝ્યુઅલ સરળતા હોય તેનાથી પણ મનને કેટલી શાંતિ મળતી હોય છે. આપણાં શહેરોનાં દિવસે ને દિવસે વધતા જતા મહાકાય બિલ્ડિંગ્સ કદાચ આપણાં મનમાં પણ સતત એક અજંપાની ભાવના પેદા કરતા રહે છે. એ બિલ્ડિંગ્સની પહોંચી ન શકાય તેવી ઊંચાઈ જાણે આપણને આપણી આંબી ન શકાય તેવી મહત્ત્વાકાંક્ષાનું વિઝ્યુઅલ રિમાઇન્ડર સતત આપતી જ રહે છે અને મોટા ભાગનાં લોકો માટે મોટાં શહેરોમાં રહેવાની કોઈ વિકલ્પ પણ નથી. અહીં મૈસુરમાં એવું નહોતું. હાથ લંબાવીને છાપરું અડી શકો અને સીડી ચડીને આકાશ, શરત ફક્ત એટલી કે, રોજનું રહેવા-જમવાનું થઈ રહે તેટલા પૈસા અને સંતોષ હોવા જોઈએ અથવા શોખ સસ્તા હોવા જોઈએ.

થોડા દુકાનદારો સાથે મેં અમુક નાની-મોટી વસ્તુઓ લેવા માટે વાત કરવાનો પ્રયત્ન કર્યો અને જાણ્યું કે, ત્યાં મોટા ભાગનાં લોકોને સ્થાનિક ભાષા અને કન્નડ સિવાયની ભાષા કદાચ નથી આવડતી પણ, લોકો કામચલાઉ ઇંગ્લિશ અને જરૂર પૂરતું હિન્દી જરૂર બોલી લે છે અને તમે સવાલ પુછો તો મદદ કરવાનો પૂરો પ્રયત્ન કરે છે. અચાનક ફોનની રિંગ વાગી અને હું સહપ્રવાસીઓને મારું લોકેશન જણાવીને કારની દિશામાં પાછી ફરી. ત્યાંથી અમારું નેકસ્ટ સ્ટોપ હતું મિનિમલ કૉફી.

ફરી એ જ સુંદર રસ્તો, ખુશનુમા મોસમ. મિનિમલ કૉફીની નજીક જતા ગયા તેમ તેમ ઘર અને લેન્ડસ્કેપની સુંદરતા વધતી ચાલી. એક મિત્ર પાસેથી જાણ્યું હતું કે, ગોકુલમ નામનાં એ વિસ્તારમાં દેશ વિદેશથી લોકો આવીને વસે છે અને એ વિસ્તાર ‘યોગા કેપિટલ ઑફ ઇન્ડિયા’ તરીકે પણ ઓળખાય છે. ત્યાંનો માહોલ એકદમ કોસ્મોપોલિટન હતો પણ, મને અંગત રીતે બહુ દંભી પણ લાગ્યો. લોકો પોતાનાં રાગ, દ્વેષ સાથે લઈને ધ્યાન અને યોગ કરવા આવ્યા હોય તેવું લાગતું હતું. ત્યાં સૌથી ઝેન માણસ હતો ત્યાંનો બરિસ્ટા. આસપાસનું આખું સર્કસ અવગણીને એ માણસ જે ધ્યાનથી કૉફી બનાવતો હતો એ હું કલાકો બેસીને જોઈ શકું. તેને તેનાં કામ અને કૉફી પર મળતા ફીડબેક સિવાય દુનિયાની કોઈ વાતમાં રસ હોય તેવું લાગતું નહોતું. અમે પહોંચ્યા ત્યારે સારી એવી ભીડ હતી એટલે અમારી કૉફીઝ બનતા દસ-પંદર મિનિટ લાગે તેમ હતી તેટલાં સમયમાં અમે કૅફેની બરાબર બાજુમાં એક બેકરી જેવી સુંદર જગ્યામાં આંટો માર્યો. એ જગ્યાનું નામ તો હું હવે ભૂલી ગઈ છું પણ, એ હતી બહુ મસ્ત! ત્યાં એક સ્ટોર પણ હતો જ્યાંથી અમને અમુક ઝીણી-મોટી વસ્તુઓ પણ લેવાની ઇચ્છા થઈ ગઈ. કૉફી બની એટલે તે લઈને તરત શ્રીરંગપટ્ટના તરફ આગળ જવાનો પ્લાન હતો. મારું કૅફીન ટોલરન્સ બહુ ઓછું હોવાને કારણે મેં કંઈ જ ઓર્ડર નહોતું કર્યું પણ, એક સિપ ચાખીને જ મને એકદમ ફીલ આવી ગઈ! અત્યાર સુધીમાં પીધેલી બેસ્ટ કૉફીઝમાંની એક! છેલ્લી ઘડીએ લોકોને દસ મિનિટ રાહ જોવડાવી પડી તોયે મેં એક લાટે ઓર્ડર કરી અને એ લઈને જ અમે આગળ વધ્યા.

શ્રીરંગપટ્ટનામાં અમારો સૌથી પહેલો મુકામ હતો શ્રીરંગનાથસ્વામી મંદિર. દરેક મંદિરની હોય છે તેમ જ આ મંદિરની કથામાં પણ અમુક ચમત્કારિક તત્ત્વો ભળી ગયાં છે (કે ભેળવી દેવામાં આવ્યાં છે) પણ મારા માટે તો અહીં ની સૌથી મોટી અજાયબી હતી એ કે, આ મંદિરનાં ત્રણ અલગ અલગ ભાગ ત્રણ અલગ સદીમાં બનેલાં છે. સૌથી અંદરનો ગર્ભગૃહનો ભાગ નવમી સદીમાં, તેની બહારનો ભાગ બારમી સદીમાં અને સૌથી બહારનો પંદરમી સદીમાં! અંદરની મૂર્તિ તો નવમી સદી કરતા પણ જૂની છે! મારા માટે સૌથી પહેલી અજાયબી એ હતી કે, એક બિલ્ડિંગ હજાર વર્ષ ટકી શકે અને બીજી એ કે બસો – ત્રણસો વર્ષનાં અંતરે તેનું એક્સપાંશન થતું રહે અને છતાંયે આખું સ્ટ્રકચર કોઈ પણ રીતે વિચિત્ર નથી લાગતું!

આ મંદિરની બનાવટ બીજા પ્રખ્યાત મંદિરનાં પ્રમાણમાં સાદી કહી શકાય પણ, મને તેમાં બહુ જ કેરેક્ટર દેખાયું. રંગનાથસ્વામીની શેષનાગ પર સૂતેલી મૂર્તિ એટલી લાંબી છે કે, ગર્ભગૃહનાં વિશાળ દરવાજા સામે ફક્ત ઊભા રહીને આખી મૂર્તિ જોઈ ન શકાય. તમારે દરવાજાની ડાબે – જમણે ચાલીને ત્રણ ભાગમાં આખી મૂર્તિ જોવી પડે. એ મૂર્તિ શાલિગ્રામ પત્થરની બનેલી છે, જે મેં પહેલા કદાચ જોયો પણ હોય તોયે તેનાં પર મેં પહેલા ક્યારેય ધ્યાન નહોતું આપ્યું. Jet black and enigmatically shiny! No wonder people felt inspired to worship it! મારા માટે છેલ્લી નવી વાત એ હતી કે, અહીં વિષ્ણુ સાથે કાવેરી નદીની મૂર્તિ સ્વરૂપે પૂજા થાય છે. શિવ અને ગંગાનો પરફેક્ટ વૈષ્ણવ એન્ટિડોટ. દક્ષિણમાં કાવેરીનું મહત્ત્વ ધ્યાનમાં રાખતા કોઈ જ નવાઈ નહોતી કે, અહીં કાવેરીની પૂજા થતી જ હોય પણ ત્યારે બે સેકન્ડ માટે મને નવાઈ લાગી હતી. વિચિત્ર રીતે, ગમ્યું પણ ખરું. તેમાં ગમવા જેવું શું હતું તેનો ત્યારે મારી પાસે કોઈ જવાબ નહોતો પણ, એ મને પછીનાં દિવસોમાં અનાયાસે જ કુર્ગ અને હમ્પીમાં મળ્યો.

મંદિરથી નીકળતા સમયે પૂજા નિમિત્તે કોઈ દાન કરવામાં મને રસ નહોતો પણ એ બિલ્ડિંગનાં કન્ઝર્વેશમાં મને રસ હતો એટલે મેં ગાઇડને પૂછ્યું મારે ખાસ એ બાબત માટે ફાળો આપવો હોય તો એ શક્ય છે? સરપ્રાઇઝિંગલી, એવું શક્ય હતું! તેમણે મને ત્યાં એક સરકારી ઑફિસ દેખાડી. મંદિરનાં એન્ટ્રન્સ પાસે જ જમણી બાજુ આવેલી એ ઑફિસ પર મારું ધ્યાન જ નહોતું ગયું. કર્ણાટક સરકારનું કોઈ ડિપાર્ટમેન્ટ આ મંદિરનાં બિલ્ડિંગની જાળવણીનું કામ કરે છે અને ત્યાં હું આ નિમિત્તે દાન કરી શકી તેનો મને હજુ પણ બહુ આનંદ છે.

મંદિર સામે બહાર સુંદર નાનું બજાર છે, નીકળીને અમે નાળિયેર પીવા રોકાયા અને પછી આગળ વધ્યા ‘દરિયા દૌલત બાગ’ તરફ જ્યાં ટીપુ સુલતાનનો સમર પેલેસ આવેલો છે. એ મહેલ પણ મને ગજબ લાગ્યો. તેનું કદ આપણે જોવા ટેવાયેલા હોઈએ તેવાં મહેલોનાં પ્રમાણમાં ઘણું નાનું છે પણ, તેમાં કરેલી કારીગરી અદ્ભુત છે! મુઘલ શૈલીની પેટર્ન પણ દક્ષિણનાં બ્રાઇટ કલર્સ! ક્યાંયે કંઈ જ પેસ્ટલ નહીં! આ કોમ્બિનેશન મેં પહેલા ક્યાંય નથી જોયેલું પણ, એ બિલકુલ અનેક્સ્પેક્ટેડ પણ નહોતું. આ જોવા મળશે તેવું ધારીને હું અહીં નહોતી આવી પણ, જોઈને લાગ્યું કે, આ જ હોવું જોઈએ. દક્ષિણ ભારતમાં મુઘલ શાસક પોતાનો મહેલ બનાવે તો તેમાં મુસ્લિમ અને દક્ષિણ ભારતની શૈલીનો સમન્વય ન હોય તો બીજે ક્યાં હોય!

ત્યાં અમુક મંત્રીઓ અને બીજા ઘણાં લોકોનાં પેન્સિલ સ્કેચ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે એ મને બહુ ગમ્યા અને ત્યાં ફરવું પણ. ત્યાં ભીડ ન હોત અને હું એકલી આવી હોત તો કદાચ વધારે ગમ્યું હોત.

કર્ણાટક – 1

કર્ણાટક, પ્રવાસ, ભારત

મુર્શિદાબાદ ટ્રિપનાં થોડાં સમય પછી અમે નીકળ્યા કર્ણાટક તરફ. મારી સાન ફ્રાન્સિસ્કોની રિટર્ન ફલાઇટ બેંગલોરથી હતી એટલે નક્કી કર્યું બેંગલોરની આસપાસની જગ્યાઓ એક્સપ્લોર કરવાનું. બેંગલોર એરપોર્ટ લેન્ડ થતાં જ અમારો સૌથી પહેલો મુકામ હતો મૈસુર અને પછી ફૂર્ગ.

બેંગલોર એરપોર્ટ પર અમને અમારી રેન્ટલ કારનાં ડ્રાઈવર લેવા આવી ગયા. અહીં પણ અમે છ લોકો સાથે ટ્રાવેલ કરી રહ્યા હતા પણ, ઘણાં વિચાર વિમર્શ પછી બે કારને બદલે આ વખતે અમે એક સેવન સીટર કારની વ્યવસ્થા કરી હતી. કાર પર એક કેરીયર લગાવવામાં આવ્યું હતું જેનાં પર અમારો સામાન ગોઠવાઈ જશે તેની ધરપત અમને આપવામાં આવી હતી. છ લોકો વચ્ચે અમારી પાસે ટોટલ દસ બેગ હતી – છ ફુલ સાઈઝની ચેક-ઇન સૂટકેસ અને ચાર કેબિન બેગ તથા એક લેપટોપ બેગ. આમાંથી મોટા ભાગનો સામાન કેરિયર પર ચડાવીને દોરીથી બાંધતા ડ્રાઈવર ભાઈને લગભગ ચાલીસ મિનિટ લાગી હશે. સવારે આઠ વાગ્યાની ફ્લાઇટ લઈને અમે નીકળ્યા હતા એટલે એરપોર્ટથી નીકળતાની સાથે જ બધાંને સૌથી પહેલા કંઇક ખાવાની ઇચ્છા હતી. અમને આસપાસ કોઈ જગ્યા ખબર નહોતી પણ, ડ્રાઈવરે કોન્ફિડન્સ સાથે અડ્યાર આનંદ ભવન (એ ટુ બી) નામની એક ચેઇન પર કાર ઊભી રાખી. આ ‘એ ટુ બી’ની એક બ્રાન્ચનો લાભ અમે એક વખત લઈ ચૂક્યા હતા અને મને આમ પણ ચેઇન રેસ્ટોરાં પર ભરોસો ઓછો હોય છે એટલે મારી અપેક્ષા એકદમ તળિયે હતી પણ, ભૂખ એટલી લાગી હતી કે, વિચાર્યું અહીં એવરેજ ફૂડ હશે તો પણ ચાલશે. નસીબજોગે જમવાનું અને કૉફી બંને મારી અપેક્ષા કરતા ઘણાં સારા નીકળ્યાં!

જમીને અમે મૈસુર તરફ આગળ વધ્યા. રસ્તામાં ડ્રાઈવરે પેટ્રોલ પંપ પર ગાડી રોકી. ફ્યુલ ભરાવીને પેમેન્ટ કરવાની વાત આવી ત્યારે તેમણે અમારી પાસેથી પૈસા માંગ્યા. અમે ત્યારે તો પેમેન્ટ કરી દીધું પણ, આ ઘટના મારા માટે થોડી નવી હતી. ડ્રાઇવર સાથે કરેલાં કાર રેન્ટલમાં ક્યારેય ડ્રાઈવરે ફ્યુલનાં પૈસા અમારી પાસે માંગ્યાનું મને યાદ નથી એટલે અમારા જે સાથીએ કાર રેન્ટલ એજન્સી સાથે ડીલ કરી હતી તેમને અમે આ બાબતનું કન્ફર્મેશન લેવા માટે કહ્યું. બેંગલોર-મૈસુર એક્સપ્રેસવે જેટલો સરસ રસ્તો મેં ભારતમાં તો આજ સુધી કદાચ જોયો જ નથી! એટલો સપાટ અને સરળ રસ્તો કે, કારમાં જરા પણ થાક ન લાગે. રસ્તામાં એક ભાગ એવો આવ્યો જ્યાં ઘણાં બધાં મોટાં પત્થરોની ટેકરીઓ અને ખીણ હતી. ડ્રાઈવરે અમને જણાવ્યું એ વિસ્તાર હતો રામનગર – જ્યાં શોલે ફિલ્મ શૂટ થઈ હતી! અમારા અમુક સાથીઓને આ વાત ખબર હતી પણ, મારા માટે આ જાણકારી એકદમ નવી અને થોડી સરપ્રાઇઝિંગ હતી કારણ કે, મારાં મનમાં એવી ધારણા હતી કે, શોલે મધ્યપ્રદેશમાં ક્યાંક શૂટ થઈ છે.

રસ્તામાં અમારું સૌથી પહેલું ડેસ્ટીનેશન હતું ચેન્નપટના નામનું એક નાનકડું ગામ. આ ગામ પ્રખ્યાત છે ત્યાંનાં રમકડાંનાં ઉદ્યોગ માટે. અમને અહીં નાની-મોટી હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ જોવા માટે ખાસ ભલામણ કરવામાં આવી હતી. અમે ફક્ત એક દુકાનમાં ગયા અને બહુ બધી સુંદર રંગબેરંગી લાકડાંની ઝીણી – મોટી વસ્તુઓ લઈને બહાર નીકળ્યા. ભમરડા, રશિયન બાબુષ્કા ડોલ્સ (મોટી ઢીંગલીની અંદર નાની ઢીંગલી એમ પાંચનો સેટ) અને ઘણું બધું! ત્યાંથી અમને લાકડાંનું પણ બહુ સુંદર કામ દેખાવાનું શરુ થયું અને ‘હું અહીં રહેતી હોત તો કેટલી મજા આવત’ એવું પણ ફીલ થવું શરુ થયું. અહીંથી ફટાફટ અમે મૈસુર તરફ ભાગ્યા કારણ કે, મૈસુર પેલેસ સાડા પાંચ વાગ્યે બંધ થતો હતો અને લોકોને પેલેસ એ જ દિવસે જોઈ લેવાની લાલચ હતી.

અમે લગભગ પોણા પાંચ આસપાસ પેલેસનાં પાર્કિંગ લોટ પહોંચ્યા અને મને સામાનનો થોડો ડર હતો અને એ પણ ડર હતો કે આટલા ઓછા સમયમાં પેલેસ કદાચ જોઈ તો લેશું પણ કંઈ ફીલ નહીં કરી શકીએ. પ્રવેશ પાસે જ અમને એક ગાઇડ મળી ગયા જેમની સર્વિસ અમે હાયર કરી. ત્યાર સુધી મેં મૈસુર ફક્ત ટીપુ સુલતાન સાથે જ સંકળાયેલું જાણ્યું હતું. ત્યાંની વાડિયાર ડાઇનેસ્ટી વિશે હું લગભગ અજાણ હતી જેમણે આ મહેલ બનાવેલો છે. મને સ્વાભાવિક રીતે જ સવાલ થયો કે, રાજાઓ ભારત સ્વતંત્ર બન્યું ત્યાં સુધી મૈસુરનાં રાજા રહ્યા તો આપણાં પુસ્તકોમાં ટીપુ સુલતાન મૈસુરનો કેમ કહેવાયો?! તેનો જવાબ ગાઇડ પાસેથી અમને શરૂઆતમાં જ મળી ગયો કે, અઢારમી સદીમાં વાડિયાર રાજાઓનું શાસન નામમાત્ર રહ્યું હતું અને મૈસુર લગભગ તમામપણે તેમનાં સેનાપતિ હૈદર અલી તથા તેમનાં દીકરા ટીપુ સુલતાનનાં હાથમાં હતું. ઉપરાંત, વાડિયાર પરિવારે અંગ્રેજો સાથે બહુ આરામથી સંધિ કરી લીધી હતી જ્યારે ટીપુ સુલતાને તેમને લાંબી અને અઘરી લડત આપી હતી જે કારણે તેમને બ્રિટિશરોનાં લખેલા ભારતનાં ઇતિહાસમાં પણ વધારે તવજ્જો મળી હોવી જોઈએ અને એ જ વાત આપણાં પુસ્તકો સુધી પણ આવી. ફક્ત આ મહેલ નહીં, તેનાં પછી પણ ઘણી બધી જગ્યાઓ જોઈને મને સતત એમ જ લાગતું રહ્યું કે, દક્ષિણ ભારત વિશે અમને કંઈ ભણાવવામાં જ નથી આવ્યું! જે કંઈ થોડું ઘણું જાણ્યું છે એ ફક્ત શ્યામ બેનેગલનું ‘ભારત એક ખોજ’ જોઈને જાણ્યું છે. સાથે સાથે દેવદત્ત પટ્ટનાયકની એક કૉમેન્ટ પણ યાદ આવી – ‘ઉત્તર ભારતીયો દક્ષિણ ભારતનો ઇતહાસ જાણતા જ નથી’. આ વાત મને પોતાનાં માટે તો બિલકુલ સાચી લાગી.

વાડિયાર રાજાઓ કદાચ યુદ્ધક્ષેત્રે બહુ શક્તિશાળી નહીં રહ્યા હોય પણ, સંસ્કૃતિ અને ડિપ્લોમસી ક્ષેત્રે તેમનું કામ બહુ ઉત્તમ રહ્યું છે, ખાસ કૃષ્ણરાજ વાડિયારનું. ગાઈડે જણાવ્યું કે, ભારતમાં હાલનાં ફોર્મેટમાં ચાલતું ગણતંત્ર લાવવવાળા સૌથી પહેલા તેઓ હતા. અહીંનાં રાજ્યનાં તમામ મંત્રીઓની ચુંટણી લોકશાહી પદ્ધતિથી થતી હતી અને એ જ કારણે મતદાન કર્યાં પછી આપણી આંગળી પર લગાવાતી શાહી આજે પણ મૈસુરમાં બને છે! મને ખબર નથી પેલી ચુંટણીવાળી વાત કેટલી સાચી છે પણ, છતાં હું માની શકું છું એ સાચી હોઈ શકે કારણ કે, કૃષ્ણરાજ ચોથાનાં સામાજિક પ્રદાનનું વિકીપીડિયા પર બહુ લાંબું, પ્રશંસનીય લિસ્ટ છે.

મહેલની ઘણી બધી નાની-મોટી ડીટેલ અમને ગાઇડે બહુ સરસ રીતે બતાવી પણ, સમયનો અભાવ અમને નડ્યો જ. અમે લગભગ મધ્ય ભાગ સુધી પહોંચ્યા હોઈશું ત્યાં એક પછી એક સિક્યોરિટી ગાર્ડ્સ મહેલનાં દરવાજા બંધ કરીને લોકોને આગળ મોકલી રહ્યા હતા. મહેલની ફેમસ રંગીન કમાનો (arches) પાસે પહોંચ્યા ત્યારે તો એટલું અંધારું થઈ ગયું હતું કે, તેનાં રંગ તો લગભગ જોઈ જ ન શકાયાં. વિચાર્યું કે, આવતાં બે દિવસમાં અહીં ફરી આવીશું અને ત્યાંથી સીધા હોટેલ જવા નીકળ્યા. મહેલથી હોટેલનો રસ્તો એક બજારમાંથી પસાર થતો હતો, જે કદાચ ત્યાંની મુખ્ય બજાર હોય તેવું લાગ્યું. પહોળાં રસ્તા અને રસ્તાની બંને બાજુ લગભગ બધી જ દુકાનોનાં કદ અને આકાર એકસરખાં અને બે માળથી ઊંચી કોઈ ઈમારત નહીં. બસ, અહીંથી જ પ્રેમ થવો શરુ થયો હતો જે પછીનાં બે દિવસ સતત થોડો થોડો વધતો જ રહ્યો.

લાંબી મુસાફરી પછી એક વખત હોટેલ પહોંચો પછી બહાર નીકળવાનું તો બને જ નહીં એટલે ડિનર ત્યાંનાં રેસ્ટ્રોમાં જ કરવાનું રાખ્યું. હોટેલ રુમમાં મારા માટે સૌથી મોટી હાઇલાઇટ હતાં – રોજનું છાપું અને ત્રણ મેગેઝિન! મને યાદ નથી મેં કોઈ પણ હોટેલ રુમમાં ક્યારેય આ વસ્તુ જોઈ હોય. હોટેલનું સેટિંગ અને રુમ્સ જેટલાં સુંદર અને ચાર્મિંગ હતાં, એટલું જ અમને ત્યાંનું ફૂડ નિરાશાજનક લાગ્યું. સ્વાદ બદલવા માટે અમે એક મિત્રએ રેકમેન્ડ કરેલી મીઠાઈની દુકાન જવાનું નક્કી કર્યું. રાતનાં સાડા નવ વાગ્યા હતા અને ચાલતા લગભગ પંદર મિનિટનાં અંતરે જ એ દુકાન હતી એટલે અમે પાંચ લોકોએ નક્કી કર્યું કે, ચાલીને જઈએ અને ત્યાંથી પાછા ફરતા જેને ચાલવું ન હોય તે રિક્ષા પકડી લેશે.

રાતનાં અંધકારમાં શહેર એકદમ શાંત લાગ્યું. એક અજાણ્યા શહેરની એક સુમસામ ગલીમાં પહેલી વખત ચાલતા લાગે તેવો સામાન્ય ડર લાગ્યો, પણ મજા આવી. અંતે અમે એક મોટા ચબૂતરા જેવી જગ્યાએ આવી પહોંચ્યા જ્યાં ઘણાં બધાં શાકભાજી અને ફળ-ફૂલ વેંચવાવાળા પોતાનો સામાન સંકેલી રહ્યા હતા અને કોઈ કોઈ દુકાનોમાં સફાઈ કે પછીનાં દિવસની તૈયારી ચાલી રહી હતી. ગૂગલ મેપ્સ ની મદદથી જોઈતી દુકાન શોધી અને ત્યાંથી લીધો મૈસૂરનો ફેમસ મૈસુરપાક! મેં ધાર્યું હતું કે, સૌરાષ્ટ્રમાં મેં ‘મેસુબ’નાં નામથી પ્રચલિત એક મિઠાઈ જે મેં નાનપણમાં ચાખી છે તે જ કદાચ મૈસુરપાક હોવી જોઈએ પણ, સદ્નસીબે એ ધારણા ખોટી નીકળી! મૈસુરપાક મને એટલો ભાવ્યો કે, કર્ણાટકમાં મને જ્યારે પણ મિઠાઈ ખાવાનું મન થયું ત્યારે મેં મૈસુરપાક જ ખાધો.

મિઠાઈ લઈને અમે ત્રણ જણ ચાલીને અને બે જણ રિક્ષાથી ફરી હોટેલ પહોંચ્યા અને પછીનાં દિવસનું થોડું પ્લાનિંગ કર્યું.

મુર્શિદાબાદ – ૪

પ્રવાસ, બંગાળ, ભારત

સવારે ફરીથી એ જ હુગલી નદી કિનારે અમારા માટે બ્રેફસ્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આગલી સાંજે કલ્ચરલ શો પહેલા મીતા નામની એક સ્ટાફ મેમ્બર સાથે થોડી વાતચીત અને દોસ્તી થઈ ગઈ હતી. બે દિવસમાં પહેલી વખત મેં મીતાને નેકલેસ પહેરીને તૈયાર થયેલી જોઈ. આટલા દિવસમાં પહેલી મીલ એવી હતી જ્યાં અમને સર્વિસ થોડી ધીમી લાગી. થોડી વાર રહીને આ બંને વાતોનું કનેક્શન સમજાયું. એક લાંબી, સુંદર બોટ તરતી આવી અને હવેલીનાં કિનારે આવીને ઊભી રહી. તેમાંથી લગભગ પંદર-વીસ ગોરા પેસેન્જર ઉતર્યા અને હવેલી તરફ ગયા. અમને પછી ખબર પડી કે, એ લોકો કલકત્તાથી હુગલી નદીની ક્રૂઝ પર નીકળ્યા હતા.

નેચરલી, મને પહેલો વિચાર એ આવ્યો કે, આ બધો તામજામ એ લોકો ગોરા હતા એટલે હતો? પછી થયું કદાચ એ લોકોની પ્રોપર્ટીનું ટાર્ગેટ ઓડિયન્સ કદાચ એ લોકો જ હશે કારણ કે, મોટા ભાગનાં ભારતીયો કદાચ બંગાળનાં આવા રિમોટ લોકેશન પર વેકેશન માટે નહીં આવતા હોય એટલે એ લોકો તેમને સારામાં સારો એક્સપીરિયન્સ આપવાનો પ્રયત્ન કરી રહ્યા હશે.

એ દિવસે અમારે કલકત્તા તરફ કદાચ વહેલું નીકળી જવું જોઈતું હતું પણ, મને ત્યાંનાં ઐતિહાસિક જૈન મંદિરો જોવાનું બહુ મન હતું. ખાસ એટલા માટે પણ કે, એક દેરાસર મને અમારાં રુમમાં આવતા-જતા સતત દેખાઈ રહ્યું હતું. એ દેરાસરોમાં રાખવામાં આવેલી કસોટી પથ્થરની પ્રતિમાઓ વિશે પણ મેં બહુ વાંચ્યું હતું જેનાં વિશે મને બહુ જિજ્ઞાસા હતી.

રિસેપ્શન સ્ટાફ અમારા માટે ટોટોની વ્યવસ્થા કરે તેટલી વારમાં એ લોકોએ અમને હવેલીની ટૂર કરાવી. અમને સૌથી પહેલા લઈ જવામાં આવ્યા રોજ જ્યાં કલ્ચરલ શો જ્યાં થતો હતો તેની પાછળનાં ભાગમાં અને તેમણે કહ્યું – “એ સમયે આ હવેલીનું મેઇન એન્ટ્રન્સ આ હતું”. જે ધર્મગુરુએ આ હવેલી રિસ્ટોર કરવાની પ્રેરણા આપી હતી તેમણે જ બીજી પણ એક આજ્ઞા આપી હતી કે, આ હવેલીમાં વાસ્તુ દોષ છે કારણ કે, મુખ્ય દરવાજો સાઉથ ફેસિંગ છે. મેં મનમાં એટલું જોરથી કપાળ કુટ્યું કે, વાત જવા દો! હવેલીનો આખો પ્લાન એ દરવાજા સાથે સંગત હતો! એ દરવાજો જે રસ્તા પર પડતો હતો એ રસ્તો એકદમ વ્યવસ્થિત, પહોળો, એ હવેલીને શોભે તેવો સરસ હતો. અમે પેલા દિવસે જે પાતળી ગલીમાંથી મહા-મહેનતે ત્યાં પહોંચ્યા હતા તેનાં કરતા તો ઓછામાં ઓછો ત્રણ ગણો પહોળો! અંદર પહોંચતા સાથે જ સૌથી પહેલા સામે પહોળો સુંદર ચોક, તેની ઉપર ઝરૂખો, લિવિંગ રૂમ વગેરે અને તેની પાછળ બધાં બેડરુમ! આખી પ્રોપર્ટીનો લે આઉટ મને અંતે બે દિવસ પછી સેન્સિબલ લાગ્યો! તેમણે જે પાછળનાં દરવાજાને હાલ મુખ્ય દરવાજો બનાવેલો છે, તેનાંથી આખો લે-આઉટ એકદમ અજીબ લાગે છે અને એ વાત જ્યાં સુધી અમે ઓરીજીનલ દરવાજો જોયો નહોતો ત્યાં મને સુધી મહેસૂસ થઈ રહી હતી પણ સમજાતી નહોતી. કોઈએ એક પ્લાન મગજમાં રાખીને એક ઘર બનાવ્યું હોય, એક દિવસ ઊઠીને તેનો દરવાજો બદલી નાંખે તો શું થાય? એ જ અહીં થયું હતું.

હવેલીનો એક ભાગ જે મને બહુ ગજબ લાગ્યો એ હતો તેમનો તિજોરી રુમ. તેની પાંચ દીવાલો મજબુત લોખંડની બનેલી હતી, ફક્ત જમીન પર બાકીનાં ઘરની જેમ આરસ લગાવેલો હતો અને એ જ એમની કમજોરી સાબિત થયો. ડાકુઓ ત્યાંથી ગાબડું બનાવીને અંદર આવ્યા હતા અને ઘણી અમૂલ્ય વસ્તુઓ ચોરી ગયા હતા. મેં અંગત રીતે ક્યારેય આવી લોખંડની, એક આખા રુમનાં કદની તિજોરી પહેલા ક્યારેય નથી જોઈ એટલે એ મારા માટે મોટી અજાયબી હતી.

ટોટો આવી પહોંચી એટલે તરત અમે અમારા એજન્ડા પ્રમાણે દેરાસરો તરફ પ્રયાણ કર્યું. ત્યાં મુખ્ય દેરાસર એક ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર હતું પણ, તેય આવાં વાસ્તુનાં કારણોસર એ રેનોવેટ કરવામાં આવી રહ્યું હતું અને ત્યાંની પ્રતિમાઓ તેટલો સમય એક નેમિનાથ દેરાસરોમાં રાખવામાં આવી હતી. ઐતિહાસિક ઇમારતો ‘રેનોવેટ’ કરવાનો વિચાર લોકોને વ્યાજબી કઈ રીતે લાગતો હશે એ મને કદાચ ક્યારેય નહીં સમજાય. એની વે, એ નેમિનાથ દેરાસર પણ અદ્ભુત હતું! ત્યાં સુધી પહોંચવાની એક સાંકડી ગલી પણ મને બહુ ક્યૂટ લાગી.

આસપાસ બીજું એકાદ દેરાસર કદાચ અમે જોઈ શક્યા હોત પણ, મારે લોકોનો વધુ સમય નહોતો લેવો અને ત્યાંથી નીકળતા પહેલા અમારાં એજન્ડા માં એક ‘ટેરાકોટા ટેમ્પલ’ ઉમેરાયું હતું. અહીંથી અમે સીધા ત્યાં પહોંચ્યા અને અંદર પ્રવેશતા જ હું એકદમ અભિભૂત થઈ ગઈ! ટેરકોટા ઈંટો પર આટલી અદ્ભુત ઝીણી કોતરણી મેં પહેલા ક્યારેય નથી જોઈ.

અઢારમી સદીનાં ઉત્તરાર્ધમાં રાણી ભબાની નામની એક જમીનદારે આ મંદિર બનાવડાવ્યું હતું. કહેવાય છે કે, તેઓ આ વિસ્તારને બીજું કાશી બનાવવા ઇચ્છતા હતા અને એટલે તેમણે અહીં ટેરકોટાનાં ૧૦૮ શિવ મંદિરો બનાવડાવ્યા હતાં. કમનસીબે અહીં ગંગાનાં સતત બદલાતા પ્રવાહમાં મોટા ભાગનાં મંદિરોનો નાશ થઈ ગયો અને બહુ થોડાં જ બચ્યા છે જેમાંનું એક આ ‘ચાર બંગલા’ છે. અહીં સામે-સામે એકસરખા કદ અને આકારનાં ચાર મંદિરો બનાવવામાં આવ્યાં છે, જેમાં દરેકમાં આસપાસ બે નાના અને વચ્ચે એક મુખ્ય એવાં ત્રણ (ચારે મંદિરનાં મળીને કુલ બાર) શિવલિંગ છે અને દરેક શિવલિંગનું મોં ઉત્તર દિશામાં રાખવામાં આવ્યું છે, કૈલાશ તરફ. એક રીતે વિચારો તો એમ પણ કહી શકાય કે, મંદિરમાં અંદર ગયા વિના તમે વચ્ચે ચોકમાં ઊભા રહીને જ ચારે બાજુ નજર કરો તો શિવલિંગની ચારે બાજુ જોઈ શકો! એ સિવાય મંદિરની એક ખાસીયત એ છે કે, ચારે મંદિરનાં આકાર અને નકશી હિન્દુ, મુસ્લિમ, સિખ અને ઈસાઈ ચારે ધર્મોથી ઇન્સ્પાયાર્ડ છે.

સામાન્ય રીતે મને સુંદર સ્થળોએ પોતાનો ફોટો લઈને જગ્યાની સુંદરતા બગાડવાનું મન નથી થતું હોતું પણ, એ જગ્યાએ મને શિવની એક બહુ જ સુંદર પ્રતિમા સાથે નટરાજનાં પોઝમાં ફોટો લેવાનું મન થઇ ગયું. હજુ પોઝ બને ત્યાં સુધીમાં તો ત્યાં એક સિક્યોરિટી ગાર્ડે અમને ખિજાવાનું શરુ કર્યું કે, અહીં રીલ બનાવવાની પરમિશન નથી. અમે કહ્યું ફોટો લઈએ છીએ તો કહ્યું ડાન્સ કરતા ફોટો લેવાની પણ છૂટ નથી. અમારી સાથે હોટેલથી એક સાથી આવ્યા હતા તેમણે બંગાળીમાં તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, હું કંઈ અભદ્ર નથી કરી રહી પણ, તેમને કશું ગળે ઉતરે તેમ નહોતું. અંતે હું જ ત્યાંથી દૂર ચાલી ગઈ. પછી ત્યાં જે થોડો સમય અમે ત્યાં રહ્યા, ત્યાંનાં બે ગાર્ડ અમને જ જોતા રહ્યા.

આ મંદિરની મુલાકાત સાથે જ અમારી મુર્શિદાબાદ મુલાકાતનો અંત આવ્યો. સામાન ગાડીમાં લોડ થઈ ગયો હતો અને અમે સારાં રસ્તાની આશામાં, આવ્યા હતા તેનાં કરતા અલગ હાઇવે પકડીને કલકત્તા તરફ રવાના થયા. રસ્તો તો સારો ન જ મળ્યો પણ, રસ્તામાં બંગાળનાં ગામડાં અને ખેતરોનો જે નજારો મેં માણ્યો એ હું કદાચ ક્યારેય નહીં ભૂલી શકું.

મુર્શિદાબાદ – ૩

પ્રવાસ, બંગાળ, ભારત

બ્રેકફસ્ટ પતાવીને હોટેલનાં મેઇન ગેટ સુધી પહોંચ્યા તો જાણ્યું કે અમારા માટે બે રિક્ષાઓ રાહ જોઈ રહી છે. મને ફક્ત એટલી ખબર હતી કે, અમારી હોટેલ ઝીયાગંજમાં છે અને ત્યાંથી અમારે અઝીમગંજ જવાનું છે. પ્લાન અમારા સહપ્રવાસી ઓ એ સમજી લીધેલો હતો એટલે મેં ફક્ત મુસાફરી માણવાનું કામ કર્યું. અમે જે રિક્ષામાં બેઠા હતા તેને ત્યાંનાં લોકો ‘ટોટો’ તરીકે ઓળખે છે. ગુજરાતમાં જોવા મળતી રિક્ષાઓથી લગભગ અડધી પહોળાઈની એ રિક્ષામાં એક તરફ બે અને બીજી તરફ બે એમ ગણીને ચાર મધ્યમ કદનાં લોકો બેસી શકે અને તેમાં બેસીને જે ગલીઓમાંથી અમે એ દિવસે પસાર થયા, ત્યાંથી ફક્ત આ રિક્ષાઓ જ પસાર થઈ શકે! એક બે ગલીઓમાં તો એમ થયું કે, બસ હમણાં દીવાલને અડી જશે. લગભગ દસ મિનિટ પછી અમે નદીનાં કિનારે એક મોટાં તરાપા પાસે પહોંચ્યા અને અમને ઉતરીને તરાપા પર જવાનું સૂચન કરવામાં આવ્યું.

એ તરાપા પર માણસો, સ્કૂટર, પશુ, રિક્ષા, નાની કાર બધાં જ એકસાથે ઊભા રહીને રોજ નદી પાર કરે છે! 😁

સામેનાં કાંઠે ઉતરીને અમે ફરી એ જ ટોટોમાં બેસીને આગળ વધ્યા. વેલકમ ટુ અઝીમગંજ! થોડી વારમાં ટોટો ડ્રાઈવરે કહ્યું – આ જુઓ અરિજીત સિંઘનું ઘર. મને બિલકુલ ખબર નહોતી અરિજીત સિંઘ અઝીમગંજ નામનાં આ નાના ગામનો છે. પણ, આ ગામનું કદ અને ત્યાંનાં સાદા માણસો જુઓ અને સામે અરિજીત સિંઘનો હાલનો મુકામ જુઓ તો જાણે પ્રગતિ શબ્દનો અર્થ સમજાય. આપણાં ગોંડલ કરતાં પણ કદાચ થોડું નાનું, પ્રમાણમાં કંગાળ અને અંતરિયાળ આ ગામનાં એ યુવાનની સફર કેટલી લાંબી અને અઘરી રહી હશે! એક વિચાર એ પણ આવ્યો, જે જમીન સાથે સદીઓથી બાઉલ સંગીતની આટલી મોટી પરંપરા જોડાયેલી છે ત્યાંથી દેશને એક સારો સંગીતકાર મળે તેમાં નવાઈ શું? :) એ ઘર કોઈ પ્રકારનાં તામજામ વિનાનું, એક મધ્યમ વર્ગીય પરિવારનું હોય તેવું એકદમ સામાન્ય ઘર છે. ડ્રાઈવરે કહ્યું તેમનો પરિવાર હજુ પણ ત્યાં રહે છે અને તેઓ અઝીમગંજ અને આસપાસનાં ગામડાંનાં બાળકો માટે એક ફ્રી એજ્યુકેશન સેન્ટર પણ ચલાવે છે. આવાં લોકોની આવી કહાનીઓ પર જ દેશ અને દુનિયા માટેની મારી આશા ટકેલી છે.

રિક્ષા અને વિચારોમાં બ્રેક લાગી અને ખબર પડી અમે આવી પહોંચ્યા છીએ અમારાં પહેલા ડેસ્ટિનેશન, કાઠગોલા પેલેસ. એન્ટ્રી ગેટ પાસે જ અમને એક ગાઈડ મળી ગયા – અંબિકાપ્રસાદ. તેમનાં હિન્દીમાં બંગાળી ભાષાની એક્સંટ એટલી ગાઢ હતી કે, તેમની વાત હું થોડી જ સમજી શકી. જગત શેઠ પરિવારનો હાથ પકડીને ઘણાં ઓસવાલ જૈન વ્યાપારીઓ મુર્શિદાબાદ આવ્યા, તેમાંનાં એક – દુગ્ગળ પરિવારનાં વડવાઓએ અઢારમી સદીનામાં આ હવેલીનું નિર્માણ કરાવ્યું અને કહેવાય છે કે પ્લાસી યુદ્ધનાં ૩ દિવસ પછી અંગ્રેજો મીર જાફરને મળવા માટે અહીં આવ્યા હતા. હવેલીનો મોટો ભાગ હવે મ્યુઝિયમમાં તબદીલ થઇ ગયો છે પણ, હવેલી પાછળ બનાવાયેલાં આદિનાથ દેરાસરની મુલાકાત લેવા આવતાં દુગ્ગળ પરિવારનાં સભ્યો માટે આજે પણ ત્યાં રહેવાની પૂરતી વ્યવસ્થા છે. એ હવેલીનાં પરિસરમાં એક બંગાળી આર્ટિસ્ટે બનાવેલી એક વિશાળ યુરોપીયન શૈલીની મૂર્તિ છે. વિચારો કોની હશે? માઈકલ એન્જેલોની! ત્યાં આવતાં લોકો માટે આ મૂર્તિ બહુ મોટી જોવા જેવી વસ્તુ છે પણ, મને એ બહુ રેન્ડમ અને પોઇન્ટલેસ લાગી. ઇન ફેકટ, મને અહીંનું આર્કિટેક્ચર અને હવેલીઓની સજાવટ એ વાતની ચાળી ખાતું હોય તેવું લાગ્યું કે, જાણે અહીં સમૃદ્ધિ બહુ થોડા સમય માટે અચાનક આવી અને જલ્દી જતી પણ રહી. દુનિયામાં જેટલાં શકિતશાળી સામ્રાજ્યોનાં બાંધકામ આજે હયાત છે એ દરેકમાં એક થીમ, એક વિઝન દેખાય છે. એક એક વસ્તુ, નાનામાં નાની ડિટેલ એટલી વિચારપૂર્વક રીતે બનાવાયેલી હોય છે કે, તેમની ઈમારતોનો એક પણ ભાગ બહુ જ અલગ કે, થીમ થી સાવ હટી જતો હોય એવું ન લાગે. મુર્શિદાબાદમાં મને ઘણી વખત એવું લાગ્યું કે, આ હવેલીઓ ભવ્ય તો છે પણ, આર્ટિસ્ટ કે આર્કિટેક્ટનું વિઝન ક્યાં?

ત્યાર પછી અમે આગળ વધ્યા હઝારદ્વારી પેલેસ તરફ. એ મહેલ જતા રસ્તામાં પણ ઘણી બધી ઐતિહાસિક જગ્યાઓ આવી પણ, કમનસીબે અમારી પાસે સમય ખૂબ ઓછો હોવાનાં કારણે અમે બહુ બધે રોકાઈ ન શક્યા. મને બહુ કંઈ ગુમાવ્યાનો અફસોસ તો નથી પણ, હા મીર જાફરની હવેલી (‘નમકહરામ દેઓડી’) બહારથી મને બહુ ઇન્ટ્રેસ્ટિંગ લાગી હતી. ટોટોમાંથી લીધેલો એ હવેલીનો એક રફ શોટ

આગળ અઝિમુન્નીસા બેગમનો મકબરો આવ્યો જ્યાં રોકવાનો કોઈ પ્લાન નહોતો પણ તોયે અમે પાંચ મિનિટ માટે રોકાયા કારણ કે, બહારથી એ પણ બહુ સુંદર લાગતી હતો. અમે બે જણ દોડીને ફટાફટ એ જગ્યા જોઈ આવ્યા. બહુ પ્રખ્યાત ન હોય તેવાં ભીડ-ભાડ વિનાનાં ઐતિહાસિક સ્મારકો એકલા, શાંતિથી માણવાની મજા જ અલગ છે! ફક્ત પાંચ મિનિટ માટે પણ એ માહોલમાં મને જાણે ટાઇમ ટ્રાવેલ કરવાનો મોકો મળી જાય છે. સાથે સાથે જીવન, મૃત્યુ, યુદ્ધ, રાજકારણ, અમરત્વ, સુંદરતા જેવાં કેટલાંયે વિષયો પર કેટલાં બધાં વિચારો મનમાં દોડવા લાગે છે…

અહીં બહુ નાના વિરામ પછી અમે સીધા હઝારદ્વારી પેલેસ પહોંચ્યા. આ મહેલ કદાચ મુર્શિદાબાદનું સૌથી મોટું ટૂરિસ્ટ અટ્રેક્શન છે એટલે સ્વાભાવિક રીતે જ દુનિયાભરની ભીડ અહીં હોવાની. મહેલની અંદર ફોટોઝ કે વીડિયોઝ લેવાની મનાઈ છે એટલે અંદરનાં કોઈ જ ફોટો મેં નથી લીધા અને બહાર મને ફોટો લેવા જેવું ખાસ કંઈ લાગ્યું નહોતું. મારા માટે આ મહેલમાં બે ઈન્ટરેસ્ટિંગ બાબતો હતી. એક તો એ કે, આ મહેલ સિરાજ ઉદ-દૌલાનો નથી! ઇન ફેકટ, સિરાજ ઉદ દૌલાનો કોઈ મહેલ હયાત જ નથી. તેનો મહેલ સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવ્યો હતો. આ મહેલ બંગાળનાં નવાબ નઝીમ હુમાયુ જાહ માટે એક બ્રિટિશ આર્કિટેક્ટે બનાવ્યો હતો. કહેવાની જરૂર ખરી કે, સિરાજની હાર પછી આ નવાબને અંગ્રેજોએ ‘ઇન્સ્ટોલ’ કર્યો હતો? એટલે જ આ નવાબ કે, તેમનાં કોઈ પણ વંશજોના નામ માત્ર પણ આપણાં ઇતિહાસમાં કોઈ ખાસ મહત્ત્વ નથી ધરાવતાં. આ મહેલ પણ મને અંગત રીતે બહુ ખાસ ન લાગ્યો સિવાય એક કલેક્શન. મારાં માટે આ મહેલની બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી તેમનું હથિયારોનું કલેક્શન. મહેલનાં ગ્રાઉન્ડ ફ્લોર (મેઇન પેલેસની નીચે લગભગ ભોંયતળિયામાં) પર હથિયારોનું બહુ સુંદર અને વિશાળ કલેક્શન છે જે મને બહુ જ ગમ્યું. હથિયાર ગમ્યાં એવું બોલવું કે સાંભળવું થોડું વિચિત્ર લાગે પણ, મને એવું લાગે છે કે, સારાં હથિયારોનું પણ એક એસ્થેટિક હોય છે. તેમાં વપરાયેલાં મટીરિયલ, તેનાં આકાર, તેનાં પર થતી નકશીઓ, આ બધું મને બહુ જ ચાર્મિંગ લાગે છે. અત્યાર સુધી મેં જેટલી થોડી દુનિયા જોઈ છે તેનાં પરથી મને એવું પણ સમજાયું છે કે, દુનિયાનો કોઈ પણ વિષય હોય, તેની શ્રેષ્ઠતમ વસ્તુ કે, વ્યક્તિનાં કામમાં એક inherent beauty અને aesthetic હોય છે. તેનું વર્ણન કરવું મુશ્કેલ છે પણ મેં ઘણી વાર જોયું છે. એ aesthic અને wit મને આ હથિયારોમાં પણ દેખાયાં.

મહેલનાં મુખ્ય પ્રવેશદ્વારની બરાબર સામે આ નવાબે એક વિશાળ ઈમામબારાનું નિર્માણ કરાવેલું છે જે કદાચ દુનિયામાં સૌથી મોટો છે! હા, લખનઉનાં પ્રસિદ્ધ ‘બડા ઈમામબારા’ કરતા તો મોટો ખરો જ. તે વર્ષમાં ફક્ત મોહરમનાં દસ દિવસ માટે ખૂલે છે. એ સિવાય કોઈ જ તેની મુલાકાત નથી લઈ શકતું. દૂરથી એ પણ બહુ સુંદર દેખાતો હતો.

મહેલ જોઈને બહાર નીકળતા અમને લગભગ દોઢેક કલાક લાગી. ત્યાર પછી બધાંને મન હતું તાંતીપાડા (ત્યાંનો વણકરવાસ) જવાનું અને ત્યાં હેન્ડલૂમ જોવા/લેવાનું પણ, અમને બે જણને બહુ ઈચ્છા હતી જગત સેઠની હવેલી જોવાની એટલે ફક્ત અમારા માટે જગત સેઠની હવેલી પર એક સ્ટોપ કરવામાં આવ્યો. બે દિવસથી રોજ દિવસમાં ઓછામાં ઓછી બે વખત જેનું નામ સાંભળતા હતા તેનાં વિશે જાણવાની ઈચ્છા કોને ન થાય! અમારી જેમ તમને પણ કદાચ વિચાર આવ્યો હશો કે, તેમની સમૃદ્ધિનાં ચર્ચા ધ્યાનમાં રાખતા તેમની હવેલી તો કદાચ મુર્શિદાબાદનું સૌથી મોટું અટ્રેક્શન હોવી જોઈએ ને?! પણ, એવું એટલા માટે નથી કે, તેમની ઓરીજીનલ હવેલી અને તેમનો ઘણો ખરો સામાન એક વખત કોઈ પૂરમાં તણાઈ ગયાં હતાં. ઉપરાંત, તેમનાં પરિવારમાં ખાસ કોઈ વંશજો પણ બચ્યા નહોતા એટલે કદાચ તેમની નવી હવેલી એટલી સારી રીતે જળવાઈ નથી શકી જેટલી દુગ્ગળ કે દુધોરિયાની રહી છે. છતાં અમને તો જગત સેઠની હવેલી જોવાની મજા જ આવી. આ આખાં વિસ્તારને જેણે નામના અપાવી અને દુનિયામાં નામ કર્યું એ લોકોની લેગસી ન જોઈ હોત તો મુર્શિદાબાદની સફર કદાચ અધૂરી જ રહી જાત.

ત્યાંથી આગળ અમે પ્લાન પ્રમાણે તાંતીપાડા ગયા તો ખરા પણ, કમનસીબે અમને ત્યાં કંઈ જ ન ગમ્યું. અમે એટલા થાકી પણ ગયા હતા અને ભૂખ પણ એટલી લાગી હતી કે, પછી આગળ દુકાનો શોધવાની મહેનત કરવાને બદલે અમે સીધા હોટેલ જ પાછા ફર્યા.

જમીને થોડી વાર અમે એક ‘પોટરી એકસ્પીરિયન્સ’ નો આનંદ માણ્યો અને એક કુંભારનાં ચાકડા પર માટીનાં વાસણો ઘડવાનો પ્રયત્ન કર્યો. વાસણ કદાચ સારાં બને પણ ખરા તોયે તેનું કંઈ થવાનું નહોતું. નજર સામે એ ફરીથી માટીનાં લોંદામાં જ પાછા જવાનાં હતાં એટલે વધુ મહેનત કરવાનું કોઈ મોટીવેશન મને હતું નહીં. બાળકોને માટીમાં રમવાની મજા આવે એવી મજા જ કરી મેં. મારાં સાથીઓ જ્યારે ચાકડા પર હતાં ત્યારે હું ત્યાં ફરીને દુધોરિયા પરિવારનાં જુના ફોટોઝ જોઈ રહી હતી અને મારું ધ્યાન ગયું એક સ્ટિકર પર

મગનલાલ હરજીવનદાસ ભાવનગરી ફોટોગ્રાફર! કઈ પેઢી હશે આ? અને આ પરિવાર તેમનાં સુધી કઈ રીતે પહોંચ્યો હશે?! એ લોકો ટ્રાવેલિંગ ફોટોગ્રાફર હશે અને તેમને જે લોકો કમિશન કરે તેમની હવેલીઓ અને મહેલોમાં ફોટોગ્રફી કરવા માટે આટલે દૂર સુધી પ્રવાસ કરતા હશે?! how fascinating! ઉત્તર બંગાળનાં આ મારવાડી વિસ્તારનું ગુજરાત કનેક્શન તો બહુ સોલિડ લાગતું હતું પણ, અમુક કહાનીઓ કદાચ અમારે ત્યાં છોડીને જ આગળ વધવાનું હતું.

એ સાંજે પણ કલ્ચરલ પ્રોગ્રામ – એક બીજા ગ્રૂપનો બાઉલ શો જોઈને અમે સાંજનું જમવાનું પતાવ્યું અને કોઠીનાં બહુ જ સુંદર ગિફ્ટ સ્ટોરમાં આંટો મારીને નાની મોટી ખરીદી કરીને પછીનાં દિવસે ચેક-આઉટ કરવાની તૈયારી કરી.

મુર્શિદાબાદ – ૨

પ્રવાસ, બંગાળ, ભારત

અમારી પહેલી મીલ ધાર્યા કરતાં વધુ સ્વાદિષ્ટ અને યુનીક રહી. સેહેરવાલી રેસિપીઝમાં મારવાડી અને બંગાળી સ્વાદનું મિશ્રણ ખરેખર ચાખી શકાય છે! મારા માટે સૌથી મોટી હાઇલાઇટ રહ્યું ચણિયા બોરનું અથાણું. તેનો સ્વાદ હજુ પણ મારાં મોંમાં તાજો છે. કમનસીબી એ છે કે, જોવા/માણવાની જગ્યાઓ નું લિસ્ટ બહુ લાંબું છે અને જીવન બહુ ટૂંકું એટલે પ્રવાસની જગ્યાઓ રિપીટ નથી થઈ શકતી અને ખબર નથી એ અથાણું ફરીથી ક્યારેય ખાવા મળશે કે કેમ.

અમને પછીથી ખબર પડી કે, હોટેલનું તમામ જમવાનું ત્યાંનો લોકલ સ્ટાફે જ બનાવે છે. તેમણે બહારથી કોઈ શેફ હાયર કરેલા નથી! ઇન ફેક્ટ, અભિરૂપ સિવાય તેમનો કોઈ જ સ્ટાફ હોટેલ મેનેજમેન્ટ કે હોસ્પિટાલિટી ભણેલો પણ નથી. એ લોકો ત્યાં આસપાસનાં ગામોમાં જ રહે છે અને ત્યાંથી રોજ કામ કરવા માટે આવે છે. અભિરૂપ અને તેમનાં સાથીઓએ તેમને અમુક હદ સુધી ટ્રેનીંગ આપેલી છે પણ, અભિરૂપ તેમને કોઈને સર્વર કે સર્વન્ટ તરીકે ક્યારેય નથી ઓળખાવતા. તેઓ બધાંને હેલ્પર તરીકે ઓળખાવે છે અને પ્રોપર્ટીનાં મહેમાનોને કહે પણ છે કે, આ બધો સ્ટાફ મહેમાનોને મદદ કરવા માટે હંમેશા હાજર છે પણ એ મહેમાનોનાં નોકર નથી. તેમનો સ્ટાફ પ્રત્યેનો આ અપ્રોચ અને એટિટ્યુડ અમને ગમ્યો.

જમીને આખા દિવસની મુસાફરીનો થાક અચાનક એકસાથે લાગ્યો એટલે આરામ કરવા સિવાય કોઈ ઉપાય રહ્યો નહીં. લગભગ એકાદ કલાક થઈ હશે ત્યાં અમને સંગીત સંભળાયું અને ચમકારો થયો – કલ્ચરલ પ્રોગ્રામ! અમે ફટાફટ અવાજની દિશામાં ભાગ્યા અને એક મોટી ઓસરીમાં પહોંચ્યા. એક ગાયક અને બે સંગીતકાર – એક ઢોલક પર અને એક બાઉલ ડ્રમ પર બરાબર માહોલ જમાવી રહ્યા હતાં. અમને તાળીઓનો અવાજ પણ સંભળાયો પણ, કોઈ દેખાયું નહીં. ઉપર જોયું તો ખબર પડી કે, મહેમાનો માટે બેસવાની વ્યવસ્થા ખરેખર તો ઝરૂખામાં છે પણ, અમે નીચે પહોંચી ગયા હતાં અને સંગીતકાર પણ નીચે જ હતાં એટલે ઉપર જવાનું મન ન થયું અને અમે ત્યાં ઓટલા પર જ બેસી રહ્યા. હોટેલ સ્ટાફને અમારી ચિંતા થઈ ગઈ એટલે એ લોકો ખુરશીઓ, શેતરંજી અને તેવું ઘણું બધું લાવવા માંડ્યા અને અમને ઓફર કરવા માંડ્યા પણ થોડો સમય પછી એ પણ સમજી ગયા કે, અમે બેસવાનાં તો ઓટલા પર જ. એ સંગીતકારો અદ્ભુત હતાં – ખાસ તેમનાં ગાયક! એ લોકો પારંપારિક બાઉલ ગીતો ગાઈ રહ્યા હતાં. બાઉલ સંગીત વિશે આખી એક બ્લૉગ પોસ્ટ લખી શકાય તેટલી સમૃદ્ધ બંગાળની આ પરંપરા છે. બાઉલને આપણે ત્યાંની સંતવાણી પણ કહી શકીએ. કબીર પરંપરા અને સૂફી ભક્તિ જેવી જ આ પરંપરા છે- નિર્ગુણ ભક્તિ, હિન્દુ અને મુસ્લિમ ધારાઓ નો સમન્વય અને ધર્માંધતાનો અસ્વિકાર. તેમનાં સંગીત વિશે વધુ કહી શકવા જેટલી પાત્રતા હું નથી ધરાવતી, તમે પોતે જ જોઈ લો.

આ શો લગભગ એક કલાકનો હતો પણ, આખી સાંજ અમે તેની અસરમાં રહ્યાં. શો પત્યા પછી અમે પ્રોપર્ટીનાં કોમન એરિયા એક્સપ્લોર કર્યાં અને તેમનો પુસ્તકોનો કબાટ ફેન્દયો અને અમને ફરીથી એક સરપ્રાઇઝ મળ્યું – ઘણું બધું જૈન ધાર્મિક સાહિત્ય લગભગ બધું જ ગુજરાતીમાં! જામનગરનાં નાના પબ્લિશરથી માંડીને મુંબઈનાં મોટાં પબ્લિશર સુધીનું ઘણું બધું! એક મિત્રને આ પુસ્તકોનાં ફોટોઝ મોકલ્યાં ત્યારે તેની પાસેથી જાણવા મળ્યું કે, મારવાડી જૈન વડીલોને ગુજરાતી લિપિ લખતાં વાંચતાં આવડવી એ બહુ સામાન્ય વાત છે! મનમાં થયું આપણી ભાષા પાસે પોતાની લિપિ હોવી એ કદાચ બહુ મોટાં સૌભાગ્યની વાત છે!

અહીં અડધી પોણી કલાક બેઠાં ત્યાં તો ફરીથી જમવાનું તૈયાર! આટલું જલ્દી આટલું ભારે જમવાની તાકાત કોઈમાં નહોતી પણ નવી વાનગીઓ ચાખવાની આતુરતા અતિશય એટલે થોડો સમય ઠેલીને અમે ફરીથી જમવા બેઠાં. આ વખતે પણ એટલું જ સરસ અને યુનીક! ત્યાંનો સ્ટાફ ફક્ત અમારાં માટે રોકાયેલો હતો. અમે જમ્યા પછી એ લોકો પોતપોતાનાં ઘરે ગયા અને અમે બીજા દિવસની તૈયારી કરતા અમારાં રુમ પર.

સવારે ઊઠીને પણ મને પેટ એટલું ભરેલું અને ભારે લાગતું હતું કે, બ્રેફસ્ટ કરવા જેટલી હિંમત તો મારામાં બિલકુલ નહોતી એટલે મેં થોડી એક્સ્ટ્રા ઊંઘ કરી. હું તૈયાર થઈ ત્યાં સુધી કોઈનો ફોન કે મેસેજ નહીં એટલે હું રિસેપ્શન પર પુછીને બ્રેકફસ્ટની જગ્યાએ પહોંચી. નદી કિનારે બ્રેફસ્ટ માટે બહુ જ સુંદર સેટિંગ હતું. હુગલી નદીનું એ સ્વરુપ જોઈને ખ્યાલ આવતો હતો કે, કલકત્તામાં ઇન્ડસ્ટ્રીઝનાં ગંદા પાણી ઠલવાતા પહેલા આ નદીનો કેવો ઠાઠ રહ્યો હશે!

મને ત્યારે ખબર નહોતી કે, અમારો નેક્સ્ટ પ્લાન નદી પાર કરીને સામેનાં કાંઠે જવાનો જ છે!