કર્ણાટક – 3

કર્ણાટક, પ્રવાસ, ભારત

ટીપુ સુલતાન નો મહેલ જોયા પછી શ્રીરંગપટ્ટનામાં અમારો કોઈ ખાસ પ્લાન નહોતો અને અમારે ત્યાંથી સીધું સોમનાથપુરા જવું હતું પણ, ડ્રાઇવરે રેકમેન્ડ કર્યું નિમિષંબા મંદિર જોવાનું. આ મંદિરનો રસ્તો ચિંધાડતું એક સાઇનબોર્ડ મેં શ્રીરંગસ્વામી મંદિર જતી વખતે પણ જોયું હતું અને ત્યારે મને એ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હતું. બાકી અમારો કોઈ ખાસ એજન્ડા હતો નહીં અને સમય પૂરતો હતો એટલે બધાએ સહમતિ આપી.

રસ્તામાં અમે નિમિષનો અર્થ ડિસ્કસ કરતા ચાલ્યા. નિમિષનો અર્થ છે ક્ષણભર – આંખ મીંચીને ખોલો તેટલો સમય. ત્રણસોથી ચારસો વર્ષ પહેલાં કોઈ વડિયાર રાજાની ઇચ્છા આ દેવીએ ક્ષણભરમાં પૂર્ણ કરી હોવાની માન્યતા હતી અને તેમણે જ આ મંદિર બનાવડાવ્યું હોવાનું મનાય છે. મંદિર એકદમ સાદું હતું, અંદર ખૂબ ભીડ દેખાઈ અને તેનું આર્કિટેક્ચર કંઈ ખાસ હતું નહીં એટલે મેં શૂઝ કાઢવા-પહેરવાની મહેનત કરવાનું માંડી વાળ્યું. સામે નદીનો કિનારો મને બોલાવી રહ્યો હતો એટલે દોડીને હું સીધી ત્યાં ગઈ.

કાવેરી નદીની એ પહેલી ઝલક હતી. જો અમે સોમનાથપુરા ન જવાનાં હોત તો કદાચ હું જ્યાં સુધી પરાણે અટકવું ન પડે ત્યાં સુધી હું નદીનાં કિનારે જ ચાલતી રહેત. ત્યાં નાની રેકડીઓ પણ સરસ હતી. એક રેકડીમાં કોઈ બહેન કંઇક ભજીયા જેવું બનાવી રહ્યા હતા, એક સોડા-શરબતની લારી હતી અને એવું બીજું ઘણું બધું. લોકો દર્શન કરીને આવ્યા એટલે તરત અમે પાર્કિંગ તરફ પાછા ફર્યા કારણ કે, અમને સોમનાથપુરામાં પૂરતો સમય જોઈતો હતો. બહાર નીકળતા મારું ધ્યાન બે બહેનો પર ગયું, જે મંદિરનાં પ્રવેશ પાસે એક નાની ટોપલીમાં જાત જાતનાં ફુલ વેંચી રહ્યા હતા. કેસરી રંગનાં ચંપાનાં બહુ સુંદર ફુલ હતાં અને તેમની પાસે છેલ્લા થોડાં જ વધ્યા હતાં. ત્રીસ રૂપિયાનું એક ફુલ સાંભળીને પહેલા તો મારી આંખ ચમકી અને મારું પહેલું રીએકશન ભાવ-તાલ કરાવવાનું હતું પણ, નસીબજોગે હું કોને, શું કહેવા જઈ રહી છું તેનાં પર મારું ધ્યાન હતું એટલે હું અટકી. મેં ત્રણ ફુલ માંગ્યા અને તેમણે સો રૂપિયા કહ્યા એ તરત તેમને આપ્યાં. તેમણે વધેલા આઠ-દસ ફુલમાંથી તાજામાં તાજાં ત્રણ શોધીને મને એક પ્લાસ્ટિકની થેલીમાં નાંખી આપ્યાં, જે મેં કારનાં ડેશબોર્ડ પર સજાવ્યાં. પાંચ મિનિટ હું બાકીનાં લોકોની રાહ જોતી, કાર પાસે બહાર ઊભી અને બધા આવ્યા પછી અંદર ગઈ તો સુગંધ જ સુગંધ!

સો રૂપિયાની આજનાં સમયમાં શું કિંમત રહી છે? એમનાં ગામડાંમાં પણ કદાચ સો રૂપિયામાં કદાચ બે વ્યકિતનાં એક ટંકનાં કરિયાણા સિવાય કંઈ નહીં આવતું હોય અને આ વાત તાર્કિક રીતે બરાબર સમજાતી હોવા છતાં મારું અને ઘણાં સમૃદ્ધ, ગોરાં પ્રવાસીઓનું પણ પહેલું રીએકશન ભાવ કરાવવાનું કેમ હોય છે?! કદાચ એટલા માટે કે, આપણને નાનપણથી સમજાવવામાં આવ્યું છે કે, વ્યાપારીઓથી ‘છેતરાવું’ નહીં અને કોઈ પણ વસ્તુ ઓછાંમાં ઓછી કિંમતે મળે તેવો પૂરો પ્રયત્ન કરવો? કે પછી એટલા માટે કે, આ ઓછામાં ઓછી કિંમતે કોઈ વસ્તુ ખરીદી લેવી એ આપણા માટે એક ગેઇમ બની ગઈ છે જે દરેક વખતે જીતવી જરુરી છે? અથવા આપણે માનીએ છીએ કે, પ્રવાસી તરીકે જો એ જ જગ્યાએ એ જ વસ્તુ માટે મારે એક લોકલ વ્યક્તિ કરતા વધારે પૈસા આપવા પડે તો એ અન્યાય છે, ભલે આપણી ખરીદશક્તિ લોકલ લોકો કરતા ઘણી વધારે હોય તો પણ?!

સામે બીજું સત્ય એ પણ છે કે, ફુલવાળા બહેન સાથે ભાવ કરવા બાબતે મને જેટલું અજુગતું લાગ્યું હતું તેટલી તકલીફ મને શ્રીરંગસ્વામી મંદિર સામે સ્ટ્રીટ માર્કેટમાં ખરીદી કરતી વખતે નહોતી થઈ. ત્યાં મને શણનું એક સુંદર પર્સ ગમ્યું હતું. એ વેપારીએ પહેલો ભાવ સાડા નવસો કહ્યો હતો અને અંતે અમે ત્યાંથી સાડા નવસોનાં બે પર્સ અમે લઈ ગયા હતા. હું વિચારતી રહી આવું કેમ? કદાચ એટલા માટે કે, ફુલની કિંમત નજીવી હતી અને પર્સની નહોતી? એવી કઈ રકમ છે જેનાંથી નીચેની કિંમતની વસ્તુ માટે લપ ન કરવી પણ તેની ઉપરની કિંમત પર સારામાં સારો ભાવ મેળવવાનો પ્રયત્ન કરવો વ્યાજબી કહી શકાય? આ સવાલોનાં કદાચ કોઈ જવાબ નથી.

નિમિષંબા મંદિરથી મૈસુર તરફ જતો રસ્તો નાનાં સુંદર ગામડાંઓમાંથી પસાર થતો હતો. રસ્તામાં અમે બહુ ક્યૂટ રંગબેરંગી ઘર જોયાં, તેમનાં આંગણામાં જાત-જાતનાં શાક અને ફળનાં ઝાડ જોયાં અને મને ત્યાં જ વસી જવાનું મન થઇ ગયું. અમુક ઘર જોઈને તો મને એકદમ ‘માલગુડી ડેઝ’ ટીવી શો યાદ આવી ગયો! થોડી વારમાં અમે ફરીથી મૈસુર શહેરની હદમાં એન્ટર થયા અને તેનાં આઉટસ્કર્ટમાંથી જ સોમનાથપુરાનો રસ્તો પકડ્યો. સોમનાથપુરા પણ એક ગામડું જ છે અને એ પણ શ્રીરંગપટના પાસેનાં ગામડાં જેટલું જ ક્યૂટ છે. ત્યાંનું ચેન્નકેશવા મંદિર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે.

અમે ગયા ત્યારે ત્યાં બહુ ભીડ નહોતી અને માહોલ એકદમ શાંત હતો. સહપ્રવાસીઓ વાતોમાં મશગુલ હતા એટલે તેમને આગળ જવા દઈને હું પાછળ ધીમે ચાલતી આવી. મંદિર સામે એક નાનું ગાર્ડન બનાવવામાં આવ્યું હતું અને તેનું મેઇન્ટેનન્સ પણ સરસ થતું હોય તેવું લાગતું હતું. અંદર દાખલ થતા મારું જ ધ્યાન ગયું, નાના છોડ નીચે એક કૂતરું શાંતિથી ઊંઘતું હતું.

બગીચાનાં અંતે બરાબર સામે પત્થરનો વિશાળ દરવાજો હતો. તેમાંથી પસાર થતા જ હું જાણે એક અલગ દુનિયામાં પહોંચી ગઈ! ત્યાંથી પગથિયાં ઊતરીને એક નાનું પ્રાંગણ અને ફરી થોડાં પગથિયાં ચડીને બરાબર સામે મંદિરનું ગર્ભગૃહ. પ્રાંગણની ડાબી અને જમણી બાજુ હરોળબંધ એકસરખાં નાનાં નાનાં રુમ અને દરવાજા હતાં. પહેલી નજરે લાગ્યું કે, અહીં પ્રવાસીઓ માટે ધર્મશાળા બની હોવી જોઈએ.

ત્યાં પગથિયાં પાસે જ અમને એક ગાઈડ પણ મળી ગયા. ફક્ત એક તકલીફ હતી કે, એ બહેનને ફક્ત કન્નડ અથવા ઇંગ્લિશ જ આવડતું હતું અને અમારા અમુક સાથીઓની ઇંગ્લિશ પર બહુ પકડ નહોતી એટલે તેમનાં માટે અમે હિન્દીભાષી ગાઇડ શોધવાનો પ્રયત્ન કર્યો. તેમણે મંદિર તરફ ઈશારો કરીને કહ્યું કે, અહીં હું અને પેલા ભાઈ બે જ ગાઈડ છીએ અને તેમને પણ હિન્દી નથી આવડતું. અંતે અમે તેમની જ સર્વિસ હાયર કરી અને તેમણે મંદિરનાં નામ અને ગામનાં નામથી અમને માહિતી આપવાનું શરુ કર્યું.

હોયસાલા વંશનાં રાજા નરસિંહ ત્રીજાનાં દંડનાયક સોમનાથે આ મંદિર બનાવડાવ્યું હતું અને સન ૧૨૫૮માં તેનું બાંધકામ પૂરું થયું હતું. આ દંડનાયકનાં નામ પરથી જ આ ગામનું નામ સોમનાથપુરા પડ્યું. બીજી એક આશ્ચર્યની વાત એ હતી કે, સોમનાથ નામની વ્યક્તિએ એક વૈષ્ણવ મંદિર બનાવડાવ્યું! એ પણ આટલું સુંદર અને ભવ્ય! જેઓ દક્ષિણ ભારતની વિવિધ પરંપરાઓ સાથે પરિચિત છે તેમને ખ્યાલ હશે કે, દક્ષિણમાં શૈવ અને વૈષ્ણવ પરંપરાઓ વચ્ચે સારું એવું અંતર છે – એટલું અંતર કે રૂઢિચુસ્ત શૈવ કે વૈષ્ણવ બ્રાહ્મણો એકબીજાનાં પક્ષ સાથે જોડાયેલાં નામ પણ નથી રાખતા હોતા, તો એકબીજાનાં ભગવાનોનાં મંદિર બનાવવા તો બહુ દૂરની વાત છે. આ કારણે ઘણાં લોકો ગામનું નામ સાંભળીને પણ આ મંદિર શૈવ હોવાની ધારણા બાંધી લેતા હોય છે પણ, આ મંદિર સંપૂર્ણપણે વૈષ્ણવ છે.

અંદર એક નહીં, ત્રણ ગર્ભ ગૃહ છે અને ત્રણેમાં વિષ્ણુનાં અલગ અલગ અવતારોની મૂર્તિઓ રાખવામાં આવી છે. બરાબર વચ્ચે કેશવ – જેનાં નામથી મંદિરનું નામ પડ્યું ચેન્નાકેશવા (ચેન્ના એટલે સુંદર), ડાબી બાજુ જનાર્દન અને જમણી બાજુ વેણુગોપાલ. ત્રણે મૂર્તિઓ ખંડિત છે અને આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ તેનાં ઘણાં ખરાં ભાગ જોડીને તેને રિસ્ટોર કરી છે, છતાં એ અદ્ભુત સુંદર છે! વેણુગોપાલની મૂર્તિમાં સૌથી ઓછું ડેમેજ છે અને તેમાં ફક્ત વાંસળીનો એક નાનો ભાગ અને એક પગનો અંગુઠો જ તૂટેલાં છે અને તેમાં મગજ કામ ન કરે તેટલું ઝીણું ડીટેઇલિંગ છે. ફોર ધેટ મેટર, આખાં મંદિરમાં અંદર અને બહાર ઝીણું ઝીણું એટલું સુંદર કોતરણી કામ છે કે, બધી ડીટેઈલ ધ્યાનથી જુઓ તો મહિનાઓ લાગી જાય!

મંદિરમાં અંદર જતા જ છત પર નવ (કે દસ) ચોકઠાં બનેલાં છે અને દરેકમાં કમળની કળીથી માંડીને પૂરાં ખીલેલાં કમળ સુધીનાં અલગ અલગ સ્ટેજ દર્શાવતી સુપર્બ કોતરણી કરવામાં આવી છે. બધી ડીટેઇલ્સ વર્ણવવી તો અશક્ય છે અને ત્યાં ઊભા રહીને ફક્ત એ અનુભવ પર ધ્યાન આપવાની મારી ઈચ્છા એટલી સ્ટ્રોંગ હતી કે, મેં ત્યાં બહુ ફોટોઝ પણ નથી પાડ્યાં. આ આખી ટ્રિપમાં લગભગ બધે એવું જ રહ્યું. વર્ષનાં બસો દિવસ સ્ક્રીન પર નાછૂટકે સતત સમય વિતાવ્યાનું આ પરિણામ હતું કદાચ.

આ મંદિરનો મારો ફેવરિટ ભાગ જો કે, અંદર નહીં, બહાર હતો. મંદિરમાં ત્રણ ગર્ભ-ગૃહો હોવાનાં કારણે સ્વાભાવિક રીતે જ ત્રણ શિખર પણ છે. ત્રણે પરફેક્ટ ત્રિકોણમાં ગોઠવાયેલાં છે અને મંદિરનું પ્લૅટફૉર્મ અને બધી જ દીવાલો એકદમ સિમેટ્રીકલ સ્ટાર શેઇપમાં બનાવવામાં આવી છે. હવે આ સ્ટાર શેઇપ પણ એવો છે કે, ત્રણે શિખરોને પોતપોતાનાં અલગ સ્ટાર મળે. તળિયેથી શિખર સુધી આ શેઇપ મેઇન્ટેન કરવો તો અઘરો છે જ પણ, આખાં સ્ટ્રકચર પર તળિયેથી છત સુધી નાનામાં નાના ભાગમાં પણ મગજ કામ ન કરે તેટલી સુંદર કોતરણી પણ છે! નીચે ફોટોઝ જોઈને કદાચ વધુ સમજાશે.

મંદિરનો ફ્લોર પ્લાન

આ મંદિર પર થયેલી કોતરણી એટલી ઝીણી છે અને હજુ પણ એટલી ક્લીયરલી જોઈ શકાય છે કે, સ્વાભાવિક રીતે જ મનમાં સવાલ થાય કે, પત્થર પર આટલું ઝીણું કામ કરતાં તો કેટલાં વર્ષો લાગે અને આ આખું મંદિર તો ફક્ત એક વ્યકિતનાં જીવનકાળમાં જ બની ગયું હતું તો આ બન્યું કઈ રીતે હશે? અમારા ગાઈડે પૂછ્યા પહેલા જ તેનો જવાબ આપી દીધો – સેન્ડસ્ટોન! સેન્ડ સ્ટોન એક એવો પત્થર છે જે પાણીમાં પલળેલો રહે ત્યાં સુધી એકદમ નરમ રહે એટલે આસાનીથી તેનાં પર કોતરણી થઈ શકે પણ, જેવો હવાનાં સંપર્કમાં આવે તેમ આ પત્થર સખત થતો જાય! કુદરત પણ કમાલ છે ને?! બાય ધ વે, તેમણે અમને જણાવ્યું આ પ્રોજક્ટનાં આર્કિટેક્ટ્સનું નામ પણ ત્યાં અમુક મૂર્તિઓ નીચે જૂની કન્નડ લિપિમાં કોતરવામાં આવ્યું છે!

ગાઇડને અમે પૂછ્યું કે, મંદિરની બંને બાજુ જે લાઈનસર બંધ દરવાજા છે એ બધાં રુમ પહેલા ધર્મશાળા તરીકે વપરાતા કે કેમ? અમે જાણ્યું અમારી એક ધારણા ખોટી હતી. એ ધર્મશાળાનાં રુમ નહીં પણ નાના-નાના મંદિરો હતાં. એ દરેકમાં એક મૂર્તિ રાખવામાં આવી હતી અને એ બધી મૂર્તિઓ પણ મંદિર (અને ગામ) પર આક્રમણ થયું ત્યારે તોડી નાંખવામાં આવી હતી કે પછી ચોરી લેવાઈ હતી. બન્યા પછી આ મંદિર સાઠ વર્ષથી પણ ઓછો સમય એક્ટિવ રહી શક્યું હતું કારણ કે, તેરમી સદી નાં અંતમાં જ તેનાં પર આક્રમણ થઈને બધી મૂર્તિઓ ખંડિત થઈ ગઈ હતી અને હિન્દુ ધર્મનાં નિયમ પ્રમાણે ખંડિત મૂર્તિની પૂજા ન થઈ શકે. આ મંદિરની લગભગ બધી જ મૂર્તિઓ પૂજા ન થઈ શકે એ માટે તોડવામાં આવી હતી અને તેમને કદરૂપી બનાવવા માટે તેમનાં નાક તોડવામાં આવ્યાં હતાં.

મારાં એક સાથીએ કૉમેન્ટ કરી કે, ઘણાં વામપંથી (લેફ્ટિસ્ટ) ઇતિહાસકારો એવો દાવો કરતા આવ્યા છે કે, મંદિરો પર આક્રમણ ફક્ત તેની સમૃદ્ધિ લુંટવા માટે થયાં હતાં અને તેને ઇસ્લામિક ધર્મ-ઝનૂન સાથે કોઈ જ લેવા-દેવા નહોતા પણ, આ મંદિરોની તોડવામાં આવેલી મૂર્તિઓ તો કોઈ અલગ જ વાત કહે છે. વામપંથીઓ સાથે લોકોને આ જ તકલીફ છે. જે સત્ય સામે ચોખ્ખું દેખાઈ રહ્યું છે તેનાં વિશે ખોટું બોલીને પરાણે મુસ્લિમ-અપીઝમેન્ટ કરવાનો શું મતલબ છે? આ મંદિરોની કહાનીઓ જે સાંભળશે તેમને દક્ષિણપંથીઓ(રાઈટ વિંગ)નો ઇસ્લામ પ્રત્યેનો ધિક્કાર કદાચ યોગ્ય જ લાગશે.

તેની વાત બિલકુલ સાચી હતી પણ, મને અધૂરી લાગી. એવું પણ હોઈ શકે ને કે, વામપંથી ઇતિહાસકારો કદાચ એટલા માટે અર્ધ-સત્ય કહેવાનું પસંદ કરે છે કે, તેમને ડર છે કે પોતે પૂર્ણ સત્ય કહેશે તો કદાચ ઝનૂની નોન-મુસ્લિમ લોકો ઐતિહાસિક અન્યાયનાં નામે મુસ્લિમો પર હિંસા કરવા માટે પોરસાશે, પછી એ હિંસાને ઐતિહાસિક કારણ તરીકે વાપરીને સામેનો પક્ષ હિંસક થશે અને આમ હિંસાનું એક ચક્ર સતત ચાલતું જ રહેશે? ઉપરાંત, આવાં કેટલાંયે મંદિરો અને બીજાં કેટલાંયે બિલ્ડિંગ કુદરતનાં કોપથી પણ ધરાશાયી થયાં છે. આપણને બધાને ખબર છે કે, જેની શરુઆત છે તે દરેકે દરેક વસ્તુનો અંત છે – એ મનુષ્ય કરે કે કુદરત! તો પછી અમુક ધર્મ-ઝનૂની લોકોએ ધર્મનાં નામે પાંચસો વર્ષ પહેલાં કરેલાં વિનાશ બાબતે લોકોને હજુ પણ એક આખી કોમ પર આટલો ગુસ્સો કેમ છે? એટલા માટે કે, કુદરત વિનાશ કરે ત્યારે આપણે લડી નથી શકતા? કે, એટલા માટે કે, આપણાં જીવનમાં એટલાં બધાં અભાવો છે જેનાં માટે આપણે કોઈ પર ગુસ્સો નથી કરી શકતા એટલે આપણે ક્રોધ અને ધિક્કારને જ્યાં પણ જસ્ટિફાય કરી શકીયે ત્યાં કરી લઈએ છીએ? કે પછી આપણને અમુક લોકોને ધિક્કરવાનું શીખવવામાં આવ્યું છે અને આપણે ફક્ત આંખ બંધ કરીને એક સ્ક્રિપ્ટ ફોલો કરી રહ્યા છીએ?

મંદિરની બહાર નીકળતા મારું ધ્યાન એક બીજા ઈતિહાસ પર ગયું જેની વાત કરવાવાળું ત્યાં કોઈ જ નહોતું. વિશાળ વૃક્ષો! ત્યાં બગીચામાં બે – ત્રણ વૃક્ષો એટલાં ઘટાદાર હતાં કે, લગભગ પાંચસોથી હજાર લોકો તેની નીચે છાયો લઈ શકે! આ વૃક્ષોની ઘટા અને તેમનાં થડની જાડાઈ જોઈને લાગતું હતું કે આ વૃક્ષો પણ સદીઓ જૂનાં હશે. તેમનો ઈતિહાસ જણાવવાવાળું પણ ત્યાં કોઈ હોત તો કેટલી મજા આવત! આ વૃક્ષો પોતે માનવ-ભાષા બોલી શકતાં હોત તો તો તેનાંથીયે વધુ મજા આવત કારણ કે તેમણે કદાચ આ મંદિરનું સર્જન અને વિનાશ બંને જોયાં હશે! કલ્પવૃક્ષ કદાચ આવું જ દેખાતું હશે! કદાચ આ કારણે જ જ્યોર્જ આર આર માર્ટિને ગેમ ઑફ થ્રોન્સનાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય – ત્રણે જોઈ શકતા કેરેક્ટરને નામ આપ્યું ‘ગ્રીન સીયર’, જે ઝાડનો અને જંગલનો એક ભાગ છે :)

કર્ણાટક – 2

કર્ણાટક, પ્રવાસ, ભારત

સવારે ઉઠીને સૌથી પેહલા તો મારું ધ્યાન ગયું વાંસળીનાં સાઉન્ડ પર. સતત એક ધીમો અવાજૉ સંભળાઈ રહ્યો હતો. કોઈ કારણોસર મારે ફાર્મસી જવાની જરુર પડી એટલે ગૂગલ મેપ્સ પર એક ફાર્મસી શોધીને હું ડ્રાઈવર સાથે ચાલી. રુમથી કાર સુધી રસ્તામાં વાંસળીનો નાદ સતત સંભળાઈ રહ્યો હતો અને અવાજ વરાંડા તરફથી આવી રહ્યો હતો એટલે હું પહેલા તો સંગીતની દિશામાં ચાલી અને જોયું ત્યાં નીચે એક સ્ત્રી બહુ સુંદર વાંસળી વગાડી રહી હતી અને સરસ માહોલ જામી રહ્યો હતો. such a great way to start the day! વાદળછાયો દિવસ હતો અને સવારે નવેક વાગ્યા હશે પણ, બહુ ટ્રાફિક નહોતો. શહેરમાં લોકોનો દિવસ શરુ થતો જોવાનો એક અલગ આનંદ હતો. અમે જ્યાંથી પસાર થયા એ રસ્તો પણ પહોળો, સાફ અને બંને બાજુ વૃક્ષોથી છવાયેલો સુંદર હતો અને શહેરની ગતિ એકદમ ધીમી. અમારી ટૂરિસ્ટી ચહેલપહેલ શરુ થાય એ પહેલાની આ શાંતિ બહુ જ સુખદ હતી. અહીંનું લોકલ જીવન જોવા – જાણવાની આ નાની પણ સરસ તક મને બહુ ગમી.

આગલી રાતનાં અનુભવ પછી અમે નક્કી કર્યું હતું કે, હવે પછીની તમામ મીલ માટે અમે લોકલ રોસ્ટ્રોંઝ જ ટ્રાય કરશું એટલે તૈયાર થઈને અમે એક મિત્રનાં રેકમેન્ડેશનથી પહોંચ્યા ‘વિનાયક માયલારી’ – મૈસુરનાં પ્રખ્યાત માયલારી ડોસા ટ્રાય કરવા માટે. વિનાયકની ઓરીજીનલ દુકાન એટલી નાની છે કે, ત્યાં એકસાથે એક સમયે આઠ-દસ લોકોથી વધુ બેસી ન શકે પણ, તેમની પોપ્યુલારિટી ધ્યાનમાં રાખીને તેમણે બાજુમાં જ એક મોટી જગ્યામાં એકસ્પાંશન કર્યું છે. ઇચ્છા તો અમારી ઓરીજીનલ દુકાનમાં જ બેસવાની હતી પણ, સમયની કટોકટીનાં કારણે રાહ જોવાને બદલે નવી જગ્યામાં જ બેસી જવાનું અમને યોગ્ય લાગ્યું. તેમનું અતિ સરળ મેન્યુ મારું ફેવરિટ હતું – માયલારી ડોસા અથવા મસાલા માયલારી ડોસા. નિર્ણયો લેવાની કોઈ જ માથાકૂટ નહીં! આ નાની શોપ કેટલા જાત-જાતનાં લોકોને કેટર કરતી હતી એ જોવાની પણ મજા હતી. ત્યાં પંદર – વીસ મિનિટમાં મેં ટોટલ હિપસ્ટરથી માંડીને સાવ ગામઠી સુધીની આખી રેન્જ જોઈ.

મેં થોડું જલ્દી જમવાનું પતાવી દીધું હતું એટલે બાકીનો સમય ત્યાં બેસીને રાહ જોવાનાં બદલે મેં બહાર શેરીમાં ચાલીને આંટો મારવાનું પસંદ કર્યું. ત્યાંની નાની ગલીઓ અને તેની નાની દુકાનો મને બહુ જ ગમી. અહીં ચાલતા મને અહેસાસ થયો કે, ભારતનાં શહેરોમાં આ સરળતા ખૂટે છે. મોટાં શહેરો કે મેટ્રો સિટીઝમાં રહેતા, રોજબરોજનાં જીવનમાં સમજ નથી પડતી પણ મૈસુર જેવાં નાના શહેરો જોઈને સમજાય છે કે, જ્યાં રહેતા હોઈએ એ શહેરની બનાવટમાં એક વિઝ્યુઅલ સરળતા હોય તેનાથી પણ મનને કેટલી શાંતિ મળતી હોય છે. આપણાં શહેરોનાં દિવસે ને દિવસે વધતા જતા મહાકાય બિલ્ડિંગ્સ કદાચ આપણાં મનમાં પણ સતત એક અજંપાની ભાવના પેદા કરતા રહે છે. એ બિલ્ડિંગ્સની પહોંચી ન શકાય તેવી ઊંચાઈ જાણે આપણને આપણી આંબી ન શકાય તેવી મહત્ત્વાકાંક્ષાનું વિઝ્યુઅલ રિમાઇન્ડર સતત આપતી જ રહે છે અને મોટા ભાગનાં લોકો માટે મોટાં શહેરોમાં રહેવાની કોઈ વિકલ્પ પણ નથી. અહીં મૈસુરમાં એવું નહોતું. હાથ લંબાવીને છાપરું અડી શકો અને સીડી ચડીને આકાશ, શરત ફક્ત એટલી કે, રોજનું રહેવા-જમવાનું થઈ રહે તેટલા પૈસા અને સંતોષ હોવા જોઈએ અથવા શોખ સસ્તા હોવા જોઈએ.

થોડા દુકાનદારો સાથે મેં અમુક નાની-મોટી વસ્તુઓ લેવા માટે વાત કરવાનો પ્રયત્ન કર્યો અને જાણ્યું કે, ત્યાં મોટા ભાગનાં લોકોને સ્થાનિક ભાષા અને કન્નડ સિવાયની ભાષા કદાચ નથી આવડતી પણ, લોકો કામચલાઉ ઇંગ્લિશ અને જરૂર પૂરતું હિન્દી જરૂર બોલી લે છે અને તમે સવાલ પુછો તો મદદ કરવાનો પૂરો પ્રયત્ન કરે છે. અચાનક ફોનની રિંગ વાગી અને હું સહપ્રવાસીઓને મારું લોકેશન જણાવીને કારની દિશામાં પાછી ફરી. ત્યાંથી અમારું નેકસ્ટ સ્ટોપ હતું મિનિમલ કૉફી.

ફરી એ જ સુંદર રસ્તો, ખુશનુમા મોસમ. મિનિમલ કૉફીની નજીક જતા ગયા તેમ તેમ ઘર અને લેન્ડસ્કેપની સુંદરતા વધતી ચાલી. એક મિત્ર પાસેથી જાણ્યું હતું કે, ગોકુલમ નામનાં એ વિસ્તારમાં દેશ વિદેશથી લોકો આવીને વસે છે અને એ વિસ્તાર ‘યોગા કેપિટલ ઑફ ઇન્ડિયા’ તરીકે પણ ઓળખાય છે. ત્યાંનો માહોલ એકદમ કોસ્મોપોલિટન હતો પણ, મને અંગત રીતે બહુ દંભી પણ લાગ્યો. લોકો પોતાનાં રાગ, દ્વેષ સાથે લઈને ધ્યાન અને યોગ કરવા આવ્યા હોય તેવું લાગતું હતું. ત્યાં સૌથી ઝેન માણસ હતો ત્યાંનો બરિસ્ટા. આસપાસનું આખું સર્કસ અવગણીને એ માણસ જે ધ્યાનથી કૉફી બનાવતો હતો એ હું કલાકો બેસીને જોઈ શકું. તેને તેનાં કામ અને કૉફી પર મળતા ફીડબેક સિવાય દુનિયાની કોઈ વાતમાં રસ હોય તેવું લાગતું નહોતું. અમે પહોંચ્યા ત્યારે સારી એવી ભીડ હતી એટલે અમારી કૉફીઝ બનતા દસ-પંદર મિનિટ લાગે તેમ હતી તેટલાં સમયમાં અમે કૅફેની બરાબર બાજુમાં એક બેકરી જેવી સુંદર જગ્યામાં આંટો માર્યો. એ જગ્યાનું નામ તો હું હવે ભૂલી ગઈ છું પણ, એ હતી બહુ મસ્ત! ત્યાં એક સ્ટોર પણ હતો જ્યાંથી અમને અમુક ઝીણી-મોટી વસ્તુઓ પણ લેવાની ઇચ્છા થઈ ગઈ. કૉફી બની એટલે તે લઈને તરત શ્રીરંગપટ્ટના તરફ આગળ જવાનો પ્લાન હતો. મારું કૅફીન ટોલરન્સ બહુ ઓછું હોવાને કારણે મેં કંઈ જ ઓર્ડર નહોતું કર્યું પણ, એક સિપ ચાખીને જ મને એકદમ ફીલ આવી ગઈ! અત્યાર સુધીમાં પીધેલી બેસ્ટ કૉફીઝમાંની એક! છેલ્લી ઘડીએ લોકોને દસ મિનિટ રાહ જોવડાવી પડી તોયે મેં એક લાટે ઓર્ડર કરી અને એ લઈને જ અમે આગળ વધ્યા.

શ્રીરંગપટ્ટનામાં અમારો સૌથી પહેલો મુકામ હતો શ્રીરંગનાથસ્વામી મંદિર. દરેક મંદિરની હોય છે તેમ જ આ મંદિરની કથામાં પણ અમુક ચમત્કારિક તત્ત્વો ભળી ગયાં છે (કે ભેળવી દેવામાં આવ્યાં છે) પણ મારા માટે તો અહીં ની સૌથી મોટી અજાયબી હતી એ કે, આ મંદિરનાં ત્રણ અલગ અલગ ભાગ ત્રણ અલગ સદીમાં બનેલાં છે. સૌથી અંદરનો ગર્ભગૃહનો ભાગ નવમી સદીમાં, તેની બહારનો ભાગ બારમી સદીમાં અને સૌથી બહારનો પંદરમી સદીમાં! અંદરની મૂર્તિ તો નવમી સદી કરતા પણ જૂની છે! મારા માટે સૌથી પહેલી અજાયબી એ હતી કે, એક બિલ્ડિંગ હજાર વર્ષ ટકી શકે અને બીજી એ કે બસો – ત્રણસો વર્ષનાં અંતરે તેનું એક્સપાંશન થતું રહે અને છતાંયે આખું સ્ટ્રકચર કોઈ પણ રીતે વિચિત્ર નથી લાગતું!

આ મંદિરની બનાવટ બીજા પ્રખ્યાત મંદિરનાં પ્રમાણમાં સાદી કહી શકાય પણ, મને તેમાં બહુ જ કેરેક્ટર દેખાયું. રંગનાથસ્વામીની શેષનાગ પર સૂતેલી મૂર્તિ એટલી લાંબી છે કે, ગર્ભગૃહનાં વિશાળ દરવાજા સામે ફક્ત ઊભા રહીને આખી મૂર્તિ જોઈ ન શકાય. તમારે દરવાજાની ડાબે – જમણે ચાલીને ત્રણ ભાગમાં આખી મૂર્તિ જોવી પડે. એ મૂર્તિ શાલિગ્રામ પત્થરની બનેલી છે, જે મેં પહેલા કદાચ જોયો પણ હોય તોયે તેનાં પર મેં પહેલા ક્યારેય ધ્યાન નહોતું આપ્યું. Jet black and enigmatically shiny! No wonder people felt inspired to worship it! મારા માટે છેલ્લી નવી વાત એ હતી કે, અહીં વિષ્ણુ સાથે કાવેરી નદીની મૂર્તિ સ્વરૂપે પૂજા થાય છે. શિવ અને ગંગાનો પરફેક્ટ વૈષ્ણવ એન્ટિડોટ. દક્ષિણમાં કાવેરીનું મહત્ત્વ ધ્યાનમાં રાખતા કોઈ જ નવાઈ નહોતી કે, અહીં કાવેરીની પૂજા થતી જ હોય પણ ત્યારે બે સેકન્ડ માટે મને નવાઈ લાગી હતી. વિચિત્ર રીતે, ગમ્યું પણ ખરું. તેમાં ગમવા જેવું શું હતું તેનો ત્યારે મારી પાસે કોઈ જવાબ નહોતો પણ, એ મને પછીનાં દિવસોમાં અનાયાસે જ કુર્ગ અને હમ્પીમાં મળ્યો.

મંદિરથી નીકળતા સમયે પૂજા નિમિત્તે કોઈ દાન કરવામાં મને રસ નહોતો પણ એ બિલ્ડિંગનાં કન્ઝર્વેશમાં મને રસ હતો એટલે મેં ગાઇડને પૂછ્યું મારે ખાસ એ બાબત માટે ફાળો આપવો હોય તો એ શક્ય છે? સરપ્રાઇઝિંગલી, એવું શક્ય હતું! તેમણે મને ત્યાં એક સરકારી ઑફિસ દેખાડી. મંદિરનાં એન્ટ્રન્સ પાસે જ જમણી બાજુ આવેલી એ ઑફિસ પર મારું ધ્યાન જ નહોતું ગયું. કર્ણાટક સરકારનું કોઈ ડિપાર્ટમેન્ટ આ મંદિરનાં બિલ્ડિંગની જાળવણીનું કામ કરે છે અને ત્યાં હું આ નિમિત્તે દાન કરી શકી તેનો મને હજુ પણ બહુ આનંદ છે.

મંદિર સામે બહાર સુંદર નાનું બજાર છે, નીકળીને અમે નાળિયેર પીવા રોકાયા અને પછી આગળ વધ્યા ‘દરિયા દૌલત બાગ’ તરફ જ્યાં ટીપુ સુલતાનનો સમર પેલેસ આવેલો છે. એ મહેલ પણ મને ગજબ લાગ્યો. તેનું કદ આપણે જોવા ટેવાયેલા હોઈએ તેવાં મહેલોનાં પ્રમાણમાં ઘણું નાનું છે પણ, તેમાં કરેલી કારીગરી અદ્ભુત છે! મુઘલ શૈલીની પેટર્ન પણ દક્ષિણનાં બ્રાઇટ કલર્સ! ક્યાંયે કંઈ જ પેસ્ટલ નહીં! આ કોમ્બિનેશન મેં પહેલા ક્યાંય નથી જોયેલું પણ, એ બિલકુલ અનેક્સ્પેક્ટેડ પણ નહોતું. આ જોવા મળશે તેવું ધારીને હું અહીં નહોતી આવી પણ, જોઈને લાગ્યું કે, આ જ હોવું જોઈએ. દક્ષિણ ભારતમાં મુઘલ શાસક પોતાનો મહેલ બનાવે તો તેમાં મુસ્લિમ અને દક્ષિણ ભારતની શૈલીનો સમન્વય ન હોય તો બીજે ક્યાં હોય!

ત્યાં અમુક મંત્રીઓ અને બીજા ઘણાં લોકોનાં પેન્સિલ સ્કેચ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે એ મને બહુ ગમ્યા અને ત્યાં ફરવું પણ. ત્યાં ભીડ ન હોત અને હું એકલી આવી હોત તો કદાચ વધારે ગમ્યું હોત.

કર્ણાટક – 1

કર્ણાટક, પ્રવાસ, ભારત

મુર્શિદાબાદ ટ્રિપનાં થોડાં સમય પછી અમે નીકળ્યા કર્ણાટક તરફ. મારી સાન ફ્રાન્સિસ્કોની રિટર્ન ફલાઇટ બેંગલોરથી હતી એટલે નક્કી કર્યું બેંગલોરની આસપાસની જગ્યાઓ એક્સપ્લોર કરવાનું. બેંગલોર એરપોર્ટ લેન્ડ થતાં જ અમારો સૌથી પહેલો મુકામ હતો મૈસુર અને પછી ફૂર્ગ.

બેંગલોર એરપોર્ટ પર અમને અમારી રેન્ટલ કારનાં ડ્રાઈવર લેવા આવી ગયા. અહીં પણ અમે છ લોકો સાથે ટ્રાવેલ કરી રહ્યા હતા પણ, ઘણાં વિચાર વિમર્શ પછી બે કારને બદલે આ વખતે અમે એક સેવન સીટર કારની વ્યવસ્થા કરી હતી. કાર પર એક કેરીયર લગાવવામાં આવ્યું હતું જેનાં પર અમારો સામાન ગોઠવાઈ જશે તેની ધરપત અમને આપવામાં આવી હતી. છ લોકો વચ્ચે અમારી પાસે ટોટલ દસ બેગ હતી – છ ફુલ સાઈઝની ચેક-ઇન સૂટકેસ અને ચાર કેબિન બેગ તથા એક લેપટોપ બેગ. આમાંથી મોટા ભાગનો સામાન કેરિયર પર ચડાવીને દોરીથી બાંધતા ડ્રાઈવર ભાઈને લગભગ ચાલીસ મિનિટ લાગી હશે. સવારે આઠ વાગ્યાની ફ્લાઇટ લઈને અમે નીકળ્યા હતા એટલે એરપોર્ટથી નીકળતાની સાથે જ બધાંને સૌથી પહેલા કંઇક ખાવાની ઇચ્છા હતી. અમને આસપાસ કોઈ જગ્યા ખબર નહોતી પણ, ડ્રાઈવરે કોન્ફિડન્સ સાથે અડ્યાર આનંદ ભવન (એ ટુ બી) નામની એક ચેઇન પર કાર ઊભી રાખી. આ ‘એ ટુ બી’ની એક બ્રાન્ચનો લાભ અમે એક વખત લઈ ચૂક્યા હતા અને મને આમ પણ ચેઇન રેસ્ટોરાં પર ભરોસો ઓછો હોય છે એટલે મારી અપેક્ષા એકદમ તળિયે હતી પણ, ભૂખ એટલી લાગી હતી કે, વિચાર્યું અહીં એવરેજ ફૂડ હશે તો પણ ચાલશે. નસીબજોગે જમવાનું અને કૉફી બંને મારી અપેક્ષા કરતા ઘણાં સારા નીકળ્યાં!

જમીને અમે મૈસુર તરફ આગળ વધ્યા. રસ્તામાં ડ્રાઈવરે પેટ્રોલ પંપ પર ગાડી રોકી. ફ્યુલ ભરાવીને પેમેન્ટ કરવાની વાત આવી ત્યારે તેમણે અમારી પાસેથી પૈસા માંગ્યા. અમે ત્યારે તો પેમેન્ટ કરી દીધું પણ, આ ઘટના મારા માટે થોડી નવી હતી. ડ્રાઇવર સાથે કરેલાં કાર રેન્ટલમાં ક્યારેય ડ્રાઈવરે ફ્યુલનાં પૈસા અમારી પાસે માંગ્યાનું મને યાદ નથી એટલે અમારા જે સાથીએ કાર રેન્ટલ એજન્સી સાથે ડીલ કરી હતી તેમને અમે આ બાબતનું કન્ફર્મેશન લેવા માટે કહ્યું. બેંગલોર-મૈસુર એક્સપ્રેસવે જેટલો સરસ રસ્તો મેં ભારતમાં તો આજ સુધી કદાચ જોયો જ નથી! એટલો સપાટ અને સરળ રસ્તો કે, કારમાં જરા પણ થાક ન લાગે. રસ્તામાં એક ભાગ એવો આવ્યો જ્યાં ઘણાં બધાં મોટાં પત્થરોની ટેકરીઓ અને ખીણ હતી. ડ્રાઈવરે અમને જણાવ્યું એ વિસ્તાર હતો રામનગર – જ્યાં શોલે ફિલ્મ શૂટ થઈ હતી! અમારા અમુક સાથીઓને આ વાત ખબર હતી પણ, મારા માટે આ જાણકારી એકદમ નવી અને થોડી સરપ્રાઇઝિંગ હતી કારણ કે, મારાં મનમાં એવી ધારણા હતી કે, શોલે મધ્યપ્રદેશમાં ક્યાંક શૂટ થઈ છે.

રસ્તામાં અમારું સૌથી પહેલું ડેસ્ટીનેશન હતું ચેન્નપટના નામનું એક નાનકડું ગામ. આ ગામ પ્રખ્યાત છે ત્યાંનાં રમકડાંનાં ઉદ્યોગ માટે. અમને અહીં નાની-મોટી હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ જોવા માટે ખાસ ભલામણ કરવામાં આવી હતી. અમે ફક્ત એક દુકાનમાં ગયા અને બહુ બધી સુંદર રંગબેરંગી લાકડાંની ઝીણી – મોટી વસ્તુઓ લઈને બહાર નીકળ્યા. ભમરડા, રશિયન બાબુષ્કા ડોલ્સ (મોટી ઢીંગલીની અંદર નાની ઢીંગલી એમ પાંચનો સેટ) અને ઘણું બધું! ત્યાંથી અમને લાકડાંનું પણ બહુ સુંદર કામ દેખાવાનું શરુ થયું અને ‘હું અહીં રહેતી હોત તો કેટલી મજા આવત’ એવું પણ ફીલ થવું શરુ થયું. અહીંથી ફટાફટ અમે મૈસુર તરફ ભાગ્યા કારણ કે, મૈસુર પેલેસ સાડા પાંચ વાગ્યે બંધ થતો હતો અને લોકોને પેલેસ એ જ દિવસે જોઈ લેવાની લાલચ હતી.

અમે લગભગ પોણા પાંચ આસપાસ પેલેસનાં પાર્કિંગ લોટ પહોંચ્યા અને મને સામાનનો થોડો ડર હતો અને એ પણ ડર હતો કે આટલા ઓછા સમયમાં પેલેસ કદાચ જોઈ તો લેશું પણ કંઈ ફીલ નહીં કરી શકીએ. પ્રવેશ પાસે જ અમને એક ગાઇડ મળી ગયા જેમની સર્વિસ અમે હાયર કરી. ત્યાર સુધી મેં મૈસુર ફક્ત ટીપુ સુલતાન સાથે જ સંકળાયેલું જાણ્યું હતું. ત્યાંની વાડિયાર ડાઇનેસ્ટી વિશે હું લગભગ અજાણ હતી જેમણે આ મહેલ બનાવેલો છે. મને સ્વાભાવિક રીતે જ સવાલ થયો કે, રાજાઓ ભારત સ્વતંત્ર બન્યું ત્યાં સુધી મૈસુરનાં રાજા રહ્યા તો આપણાં પુસ્તકોમાં ટીપુ સુલતાન મૈસુરનો કેમ કહેવાયો?! તેનો જવાબ ગાઇડ પાસેથી અમને શરૂઆતમાં જ મળી ગયો કે, અઢારમી સદીમાં વાડિયાર રાજાઓનું શાસન નામમાત્ર રહ્યું હતું અને મૈસુર લગભગ તમામપણે તેમનાં સેનાપતિ હૈદર અલી તથા તેમનાં દીકરા ટીપુ સુલતાનનાં હાથમાં હતું. ઉપરાંત, વાડિયાર પરિવારે અંગ્રેજો સાથે બહુ આરામથી સંધિ કરી લીધી હતી જ્યારે ટીપુ સુલતાને તેમને લાંબી અને અઘરી લડત આપી હતી જે કારણે તેમને બ્રિટિશરોનાં લખેલા ભારતનાં ઇતિહાસમાં પણ વધારે તવજ્જો મળી હોવી જોઈએ અને એ જ વાત આપણાં પુસ્તકો સુધી પણ આવી. ફક્ત આ મહેલ નહીં, તેનાં પછી પણ ઘણી બધી જગ્યાઓ જોઈને મને સતત એમ જ લાગતું રહ્યું કે, દક્ષિણ ભારત વિશે અમને કંઈ ભણાવવામાં જ નથી આવ્યું! જે કંઈ થોડું ઘણું જાણ્યું છે એ ફક્ત શ્યામ બેનેગલનું ‘ભારત એક ખોજ’ જોઈને જાણ્યું છે. સાથે સાથે દેવદત્ત પટ્ટનાયકની એક કૉમેન્ટ પણ યાદ આવી – ‘ઉત્તર ભારતીયો દક્ષિણ ભારતનો ઇતહાસ જાણતા જ નથી’. આ વાત મને પોતાનાં માટે તો બિલકુલ સાચી લાગી.

વાડિયાર રાજાઓ કદાચ યુદ્ધક્ષેત્રે બહુ શક્તિશાળી નહીં રહ્યા હોય પણ, સંસ્કૃતિ અને ડિપ્લોમસી ક્ષેત્રે તેમનું કામ બહુ ઉત્તમ રહ્યું છે, ખાસ કૃષ્ણરાજ વાડિયારનું. ગાઈડે જણાવ્યું કે, ભારતમાં હાલનાં ફોર્મેટમાં ચાલતું ગણતંત્ર લાવવવાળા સૌથી પહેલા તેઓ હતા. અહીંનાં રાજ્યનાં તમામ મંત્રીઓની ચુંટણી લોકશાહી પદ્ધતિથી થતી હતી અને એ જ કારણે મતદાન કર્યાં પછી આપણી આંગળી પર લગાવાતી શાહી આજે પણ મૈસુરમાં બને છે! મને ખબર નથી પેલી ચુંટણીવાળી વાત કેટલી સાચી છે પણ, છતાં હું માની શકું છું એ સાચી હોઈ શકે કારણ કે, કૃષ્ણરાજ ચોથાનાં સામાજિક પ્રદાનનું વિકીપીડિયા પર બહુ લાંબું, પ્રશંસનીય લિસ્ટ છે.

મહેલની ઘણી બધી નાની-મોટી ડીટેલ અમને ગાઇડે બહુ સરસ રીતે બતાવી પણ, સમયનો અભાવ અમને નડ્યો જ. અમે લગભગ મધ્ય ભાગ સુધી પહોંચ્યા હોઈશું ત્યાં એક પછી એક સિક્યોરિટી ગાર્ડ્સ મહેલનાં દરવાજા બંધ કરીને લોકોને આગળ મોકલી રહ્યા હતા. મહેલની ફેમસ રંગીન કમાનો (arches) પાસે પહોંચ્યા ત્યારે તો એટલું અંધારું થઈ ગયું હતું કે, તેનાં રંગ તો લગભગ જોઈ જ ન શકાયાં. વિચાર્યું કે, આવતાં બે દિવસમાં અહીં ફરી આવીશું અને ત્યાંથી સીધા હોટેલ જવા નીકળ્યા. મહેલથી હોટેલનો રસ્તો એક બજારમાંથી પસાર થતો હતો, જે કદાચ ત્યાંની મુખ્ય બજાર હોય તેવું લાગ્યું. પહોળાં રસ્તા અને રસ્તાની બંને બાજુ લગભગ બધી જ દુકાનોનાં કદ અને આકાર એકસરખાં અને બે માળથી ઊંચી કોઈ ઈમારત નહીં. બસ, અહીંથી જ પ્રેમ થવો શરુ થયો હતો જે પછીનાં બે દિવસ સતત થોડો થોડો વધતો જ રહ્યો.

લાંબી મુસાફરી પછી એક વખત હોટેલ પહોંચો પછી બહાર નીકળવાનું તો બને જ નહીં એટલે ડિનર ત્યાંનાં રેસ્ટ્રોમાં જ કરવાનું રાખ્યું. હોટેલ રુમમાં મારા માટે સૌથી મોટી હાઇલાઇટ હતાં – રોજનું છાપું અને ત્રણ મેગેઝિન! મને યાદ નથી મેં કોઈ પણ હોટેલ રુમમાં ક્યારેય આ વસ્તુ જોઈ હોય. હોટેલનું સેટિંગ અને રુમ્સ જેટલાં સુંદર અને ચાર્મિંગ હતાં, એટલું જ અમને ત્યાંનું ફૂડ નિરાશાજનક લાગ્યું. સ્વાદ બદલવા માટે અમે એક મિત્રએ રેકમેન્ડ કરેલી મીઠાઈની દુકાન જવાનું નક્કી કર્યું. રાતનાં સાડા નવ વાગ્યા હતા અને ચાલતા લગભગ પંદર મિનિટનાં અંતરે જ એ દુકાન હતી એટલે અમે પાંચ લોકોએ નક્કી કર્યું કે, ચાલીને જઈએ અને ત્યાંથી પાછા ફરતા જેને ચાલવું ન હોય તે રિક્ષા પકડી લેશે.

રાતનાં અંધકારમાં શહેર એકદમ શાંત લાગ્યું. એક અજાણ્યા શહેરની એક સુમસામ ગલીમાં પહેલી વખત ચાલતા લાગે તેવો સામાન્ય ડર લાગ્યો, પણ મજા આવી. અંતે અમે એક મોટા ચબૂતરા જેવી જગ્યાએ આવી પહોંચ્યા જ્યાં ઘણાં બધાં શાકભાજી અને ફળ-ફૂલ વેંચવાવાળા પોતાનો સામાન સંકેલી રહ્યા હતા અને કોઈ કોઈ દુકાનોમાં સફાઈ કે પછીનાં દિવસની તૈયારી ચાલી રહી હતી. ગૂગલ મેપ્સ ની મદદથી જોઈતી દુકાન શોધી અને ત્યાંથી લીધો મૈસૂરનો ફેમસ મૈસુરપાક! મેં ધાર્યું હતું કે, સૌરાષ્ટ્રમાં મેં ‘મેસુબ’નાં નામથી પ્રચલિત એક મિઠાઈ જે મેં નાનપણમાં ચાખી છે તે જ કદાચ મૈસુરપાક હોવી જોઈએ પણ, સદ્નસીબે એ ધારણા ખોટી નીકળી! મૈસુરપાક મને એટલો ભાવ્યો કે, કર્ણાટકમાં મને જ્યારે પણ મિઠાઈ ખાવાનું મન થયું ત્યારે મેં મૈસુરપાક જ ખાધો.

મિઠાઈ લઈને અમે ત્રણ જણ ચાલીને અને બે જણ રિક્ષાથી ફરી હોટેલ પહોંચ્યા અને પછીનાં દિવસનું થોડું પ્લાનિંગ કર્યું.