સવારે ફરીથી એ જ હુગલી નદી કિનારે અમારા માટે બ્રેફસ્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આગલી સાંજે કલ્ચરલ શો પહેલા મીતા નામની એક સ્ટાફ મેમ્બર સાથે થોડી વાતચીત અને દોસ્તી થઈ ગઈ હતી. બે દિવસમાં પહેલી વખત મેં મીતાને નેકલેસ પહેરીને તૈયાર થયેલી જોઈ. આટલા દિવસમાં પહેલી મીલ એવી હતી જ્યાં અમને સર્વિસ થોડી ધીમી લાગી. થોડી વાર રહીને આ બંને વાતોનું કનેક્શન સમજાયું. એક લાંબી, સુંદર બોટ તરતી આવી અને હવેલીનાં કિનારે આવીને ઊભી રહી. તેમાંથી લગભગ પંદર-વીસ ગોરા પેસેન્જર ઉતર્યા અને હવેલી તરફ ગયા. અમને પછી ખબર પડી કે, એ લોકો કલકત્તાથી હુગલી નદીની ક્રૂઝ પર નીકળ્યા હતા.
નેચરલી, મને પહેલો વિચાર એ આવ્યો કે, આ બધો તામજામ એ લોકો ગોરા હતા એટલે હતો? પછી થયું કદાચ એ લોકોની પ્રોપર્ટીનું ટાર્ગેટ ઓડિયન્સ કદાચ એ લોકો જ હશે કારણ કે, મોટા ભાગનાં ભારતીયો કદાચ બંગાળનાં આવા રિમોટ લોકેશન પર વેકેશન માટે નહીં આવતા હોય એટલે એ લોકો તેમને સારામાં સારો એક્સપીરિયન્સ આપવાનો પ્રયત્ન કરી રહ્યા હશે.
એ દિવસે અમારે કલકત્તા તરફ કદાચ વહેલું નીકળી જવું જોઈતું હતું પણ, મને ત્યાંનાં ઐતિહાસિક જૈન મંદિરો જોવાનું બહુ મન હતું. ખાસ એટલા માટે પણ કે, એક દેરાસર મને અમારાં રુમમાં આવતા-જતા સતત દેખાઈ રહ્યું હતું. એ દેરાસરોમાં રાખવામાં આવેલી કસોટી પથ્થરની પ્રતિમાઓ વિશે પણ મેં બહુ વાંચ્યું હતું જેનાં વિશે મને બહુ જિજ્ઞાસા હતી.

રિસેપ્શન સ્ટાફ અમારા માટે ટોટોની વ્યવસ્થા કરે તેટલી વારમાં એ લોકોએ અમને હવેલીની ટૂર કરાવી. અમને સૌથી પહેલા લઈ જવામાં આવ્યા રોજ જ્યાં કલ્ચરલ શો જ્યાં થતો હતો તેની પાછળનાં ભાગમાં અને તેમણે કહ્યું – “એ સમયે આ હવેલીનું મેઇન એન્ટ્રન્સ આ હતું”. જે ધર્મગુરુએ આ હવેલી રિસ્ટોર કરવાની પ્રેરણા આપી હતી તેમણે જ બીજી પણ એક આજ્ઞા આપી હતી કે, આ હવેલીમાં વાસ્તુ દોષ છે કારણ કે, મુખ્ય દરવાજો સાઉથ ફેસિંગ છે. મેં મનમાં એટલું જોરથી કપાળ કુટ્યું કે, વાત જવા દો! હવેલીનો આખો પ્લાન એ દરવાજા સાથે સંગત હતો! એ દરવાજો જે રસ્તા પર પડતો હતો એ રસ્તો એકદમ વ્યવસ્થિત, પહોળો, એ હવેલીને શોભે તેવો સરસ હતો. અમે પેલા દિવસે જે પાતળી ગલીમાંથી મહા-મહેનતે ત્યાં પહોંચ્યા હતા તેનાં કરતા તો ઓછામાં ઓછો ત્રણ ગણો પહોળો! અંદર પહોંચતા સાથે જ સૌથી પહેલા સામે પહોળો સુંદર ચોક, તેની ઉપર ઝરૂખો, લિવિંગ રૂમ વગેરે અને તેની પાછળ બધાં બેડરુમ! આખી પ્રોપર્ટીનો લે આઉટ મને અંતે બે દિવસ પછી સેન્સિબલ લાગ્યો! તેમણે જે પાછળનાં દરવાજાને હાલ મુખ્ય દરવાજો બનાવેલો છે, તેનાંથી આખો લે-આઉટ એકદમ અજીબ લાગે છે અને એ વાત જ્યાં સુધી અમે ઓરીજીનલ દરવાજો જોયો નહોતો ત્યાં મને સુધી મહેસૂસ થઈ રહી હતી પણ સમજાતી નહોતી. કોઈએ એક પ્લાન મગજમાં રાખીને એક ઘર બનાવ્યું હોય, એક દિવસ ઊઠીને તેનો દરવાજો બદલી નાંખે તો શું થાય? એ જ અહીં થયું હતું.
હવેલીનો એક ભાગ જે મને બહુ ગજબ લાગ્યો એ હતો તેમનો તિજોરી રુમ. તેની પાંચ દીવાલો મજબુત લોખંડની બનેલી હતી, ફક્ત જમીન પર બાકીનાં ઘરની જેમ આરસ લગાવેલો હતો અને એ જ એમની કમજોરી સાબિત થયો. ડાકુઓ ત્યાંથી ગાબડું બનાવીને અંદર આવ્યા હતા અને ઘણી અમૂલ્ય વસ્તુઓ ચોરી ગયા હતા. મેં અંગત રીતે ક્યારેય આવી લોખંડની, એક આખા રુમનાં કદની તિજોરી પહેલા ક્યારેય નથી જોઈ એટલે એ મારા માટે મોટી અજાયબી હતી.
ટોટો આવી પહોંચી એટલે તરત અમે અમારા એજન્ડા પ્રમાણે દેરાસરો તરફ પ્રયાણ કર્યું. ત્યાં મુખ્ય દેરાસર એક ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર હતું પણ, તેય આવાં વાસ્તુનાં કારણોસર એ રેનોવેટ કરવામાં આવી રહ્યું હતું અને ત્યાંની પ્રતિમાઓ તેટલો સમય એક નેમિનાથ દેરાસરોમાં રાખવામાં આવી હતી. ઐતિહાસિક ઇમારતો ‘રેનોવેટ’ કરવાનો વિચાર લોકોને વ્યાજબી કઈ રીતે લાગતો હશે એ મને કદાચ ક્યારેય નહીં સમજાય. એની વે, એ નેમિનાથ દેરાસર પણ અદ્ભુત હતું! ત્યાં સુધી પહોંચવાની એક સાંકડી ગલી પણ મને બહુ ક્યૂટ લાગી.





આસપાસ બીજું એકાદ દેરાસર કદાચ અમે જોઈ શક્યા હોત પણ, મારે લોકોનો વધુ સમય નહોતો લેવો અને ત્યાંથી નીકળતા પહેલા અમારાં એજન્ડા માં એક ‘ટેરાકોટા ટેમ્પલ’ ઉમેરાયું હતું. અહીંથી અમે સીધા ત્યાં પહોંચ્યા અને અંદર પ્રવેશતા જ હું એકદમ અભિભૂત થઈ ગઈ! ટેરકોટા ઈંટો પર આટલી અદ્ભુત ઝીણી કોતરણી મેં પહેલા ક્યારેય નથી જોઈ.
અઢારમી સદીનાં ઉત્તરાર્ધમાં રાણી ભબાની નામની એક જમીનદારે આ મંદિર બનાવડાવ્યું હતું. કહેવાય છે કે, તેઓ આ વિસ્તારને બીજું કાશી બનાવવા ઇચ્છતા હતા અને એટલે તેમણે અહીં ટેરકોટાનાં ૧૦૮ શિવ મંદિરો બનાવડાવ્યા હતાં. કમનસીબે અહીં ગંગાનાં સતત બદલાતા પ્રવાહમાં મોટા ભાગનાં મંદિરોનો નાશ થઈ ગયો અને બહુ થોડાં જ બચ્યા છે જેમાંનું એક આ ‘ચાર બંગલા’ છે. અહીં સામે-સામે એકસરખા કદ અને આકારનાં ચાર મંદિરો બનાવવામાં આવ્યાં છે, જેમાં દરેકમાં આસપાસ બે નાના અને વચ્ચે એક મુખ્ય એવાં ત્રણ (ચારે મંદિરનાં મળીને કુલ બાર) શિવલિંગ છે અને દરેક શિવલિંગનું મોં ઉત્તર દિશામાં રાખવામાં આવ્યું છે, કૈલાશ તરફ. એક રીતે વિચારો તો એમ પણ કહી શકાય કે, મંદિરમાં અંદર ગયા વિના તમે વચ્ચે ચોકમાં ઊભા રહીને જ ચારે બાજુ નજર કરો તો શિવલિંગની ચારે બાજુ જોઈ શકો! એ સિવાય મંદિરની એક ખાસીયત એ છે કે, ચારે મંદિરનાં આકાર અને નકશી હિન્દુ, મુસ્લિમ, સિખ અને ઈસાઈ ચારે ધર્મોથી ઇન્સ્પાયાર્ડ છે.


સામાન્ય રીતે મને સુંદર સ્થળોએ પોતાનો ફોટો લઈને જગ્યાની સુંદરતા બગાડવાનું મન નથી થતું હોતું પણ, એ જગ્યાએ મને શિવની એક બહુ જ સુંદર પ્રતિમા સાથે નટરાજનાં પોઝમાં ફોટો લેવાનું મન થઇ ગયું. હજુ પોઝ બને ત્યાં સુધીમાં તો ત્યાં એક સિક્યોરિટી ગાર્ડે અમને ખિજાવાનું શરુ કર્યું કે, અહીં રીલ બનાવવાની પરમિશન નથી. અમે કહ્યું ફોટો લઈએ છીએ તો કહ્યું ડાન્સ કરતા ફોટો લેવાની પણ છૂટ નથી. અમારી સાથે હોટેલથી એક સાથી આવ્યા હતા તેમણે બંગાળીમાં તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, હું કંઈ અભદ્ર નથી કરી રહી પણ, તેમને કશું ગળે ઉતરે તેમ નહોતું. અંતે હું જ ત્યાંથી દૂર ચાલી ગઈ. પછી ત્યાં જે થોડો સમય અમે ત્યાં રહ્યા, ત્યાંનાં બે ગાર્ડ અમને જ જોતા રહ્યા.
આ મંદિરની મુલાકાત સાથે જ અમારી મુર્શિદાબાદ મુલાકાતનો અંત આવ્યો. સામાન ગાડીમાં લોડ થઈ ગયો હતો અને અમે સારાં રસ્તાની આશામાં, આવ્યા હતા તેનાં કરતા અલગ હાઇવે પકડીને કલકત્તા તરફ રવાના થયા. રસ્તો તો સારો ન જ મળ્યો પણ, રસ્તામાં બંગાળનાં ગામડાં અને ખેતરોનો જે નજારો મેં માણ્યો એ હું કદાચ ક્યારેય નહીં ભૂલી શકું.














