મુર્શિદાબાદ – ૪

પ્રવાસ, બંગાળ, ભારત

સવારે ફરીથી એ જ હુગલી નદી કિનારે અમારા માટે બ્રેફસ્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આગલી સાંજે કલ્ચરલ શો પહેલા મીતા નામની એક સ્ટાફ મેમ્બર સાથે થોડી વાતચીત અને દોસ્તી થઈ ગઈ હતી. બે દિવસમાં પહેલી વખત મેં મીતાને નેકલેસ પહેરીને તૈયાર થયેલી જોઈ. આટલા દિવસમાં પહેલી મીલ એવી હતી જ્યાં અમને સર્વિસ થોડી ધીમી લાગી. થોડી વાર રહીને આ બંને વાતોનું કનેક્શન સમજાયું. એક લાંબી, સુંદર બોટ તરતી આવી અને હવેલીનાં કિનારે આવીને ઊભી રહી. તેમાંથી લગભગ પંદર-વીસ ગોરા પેસેન્જર ઉતર્યા અને હવેલી તરફ ગયા. અમને પછી ખબર પડી કે, એ લોકો કલકત્તાથી હુગલી નદીની ક્રૂઝ પર નીકળ્યા હતા.

નેચરલી, મને પહેલો વિચાર એ આવ્યો કે, આ બધો તામજામ એ લોકો ગોરા હતા એટલે હતો? પછી થયું કદાચ એ લોકોની પ્રોપર્ટીનું ટાર્ગેટ ઓડિયન્સ કદાચ એ લોકો જ હશે કારણ કે, મોટા ભાગનાં ભારતીયો કદાચ બંગાળનાં આવા રિમોટ લોકેશન પર વેકેશન માટે નહીં આવતા હોય એટલે એ લોકો તેમને સારામાં સારો એક્સપીરિયન્સ આપવાનો પ્રયત્ન કરી રહ્યા હશે.

એ દિવસે અમારે કલકત્તા તરફ કદાચ વહેલું નીકળી જવું જોઈતું હતું પણ, મને ત્યાંનાં ઐતિહાસિક જૈન મંદિરો જોવાનું બહુ મન હતું. ખાસ એટલા માટે પણ કે, એક દેરાસર મને અમારાં રુમમાં આવતા-જતા સતત દેખાઈ રહ્યું હતું. એ દેરાસરોમાં રાખવામાં આવેલી કસોટી પથ્થરની પ્રતિમાઓ વિશે પણ મેં બહુ વાંચ્યું હતું જેનાં વિશે મને બહુ જિજ્ઞાસા હતી.

રિસેપ્શન સ્ટાફ અમારા માટે ટોટોની વ્યવસ્થા કરે તેટલી વારમાં એ લોકોએ અમને હવેલીની ટૂર કરાવી. અમને સૌથી પહેલા લઈ જવામાં આવ્યા રોજ જ્યાં કલ્ચરલ શો જ્યાં થતો હતો તેની પાછળનાં ભાગમાં અને તેમણે કહ્યું – “એ સમયે આ હવેલીનું મેઇન એન્ટ્રન્સ આ હતું”. જે ધર્મગુરુએ આ હવેલી રિસ્ટોર કરવાની પ્રેરણા આપી હતી તેમણે જ બીજી પણ એક આજ્ઞા આપી હતી કે, આ હવેલીમાં વાસ્તુ દોષ છે કારણ કે, મુખ્ય દરવાજો સાઉથ ફેસિંગ છે. મેં મનમાં એટલું જોરથી કપાળ કુટ્યું કે, વાત જવા દો! હવેલીનો આખો પ્લાન એ દરવાજા સાથે સંગત હતો! એ દરવાજો જે રસ્તા પર પડતો હતો એ રસ્તો એકદમ વ્યવસ્થિત, પહોળો, એ હવેલીને શોભે તેવો સરસ હતો. અમે પેલા દિવસે જે પાતળી ગલીમાંથી મહા-મહેનતે ત્યાં પહોંચ્યા હતા તેનાં કરતા તો ઓછામાં ઓછો ત્રણ ગણો પહોળો! અંદર પહોંચતા સાથે જ સૌથી પહેલા સામે પહોળો સુંદર ચોક, તેની ઉપર ઝરૂખો, લિવિંગ રૂમ વગેરે અને તેની પાછળ બધાં બેડરુમ! આખી પ્રોપર્ટીનો લે આઉટ મને અંતે બે દિવસ પછી સેન્સિબલ લાગ્યો! તેમણે જે પાછળનાં દરવાજાને હાલ મુખ્ય દરવાજો બનાવેલો છે, તેનાંથી આખો લે-આઉટ એકદમ અજીબ લાગે છે અને એ વાત જ્યાં સુધી અમે ઓરીજીનલ દરવાજો જોયો નહોતો ત્યાં મને સુધી મહેસૂસ થઈ રહી હતી પણ સમજાતી નહોતી. કોઈએ એક પ્લાન મગજમાં રાખીને એક ઘર બનાવ્યું હોય, એક દિવસ ઊઠીને તેનો દરવાજો બદલી નાંખે તો શું થાય? એ જ અહીં થયું હતું.

હવેલીનો એક ભાગ જે મને બહુ ગજબ લાગ્યો એ હતો તેમનો તિજોરી રુમ. તેની પાંચ દીવાલો મજબુત લોખંડની બનેલી હતી, ફક્ત જમીન પર બાકીનાં ઘરની જેમ આરસ લગાવેલો હતો અને એ જ એમની કમજોરી સાબિત થયો. ડાકુઓ ત્યાંથી ગાબડું બનાવીને અંદર આવ્યા હતા અને ઘણી અમૂલ્ય વસ્તુઓ ચોરી ગયા હતા. મેં અંગત રીતે ક્યારેય આવી લોખંડની, એક આખા રુમનાં કદની તિજોરી પહેલા ક્યારેય નથી જોઈ એટલે એ મારા માટે મોટી અજાયબી હતી.

ટોટો આવી પહોંચી એટલે તરત અમે અમારા એજન્ડા પ્રમાણે દેરાસરો તરફ પ્રયાણ કર્યું. ત્યાં મુખ્ય દેરાસર એક ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર હતું પણ, તેય આવાં વાસ્તુનાં કારણોસર એ રેનોવેટ કરવામાં આવી રહ્યું હતું અને ત્યાંની પ્રતિમાઓ તેટલો સમય એક નેમિનાથ દેરાસરોમાં રાખવામાં આવી હતી. ઐતિહાસિક ઇમારતો ‘રેનોવેટ’ કરવાનો વિચાર લોકોને વ્યાજબી કઈ રીતે લાગતો હશે એ મને કદાચ ક્યારેય નહીં સમજાય. એની વે, એ નેમિનાથ દેરાસર પણ અદ્ભુત હતું! ત્યાં સુધી પહોંચવાની એક સાંકડી ગલી પણ મને બહુ ક્યૂટ લાગી.

આસપાસ બીજું એકાદ દેરાસર કદાચ અમે જોઈ શક્યા હોત પણ, મારે લોકોનો વધુ સમય નહોતો લેવો અને ત્યાંથી નીકળતા પહેલા અમારાં એજન્ડા માં એક ‘ટેરાકોટા ટેમ્પલ’ ઉમેરાયું હતું. અહીંથી અમે સીધા ત્યાં પહોંચ્યા અને અંદર પ્રવેશતા જ હું એકદમ અભિભૂત થઈ ગઈ! ટેરકોટા ઈંટો પર આટલી અદ્ભુત ઝીણી કોતરણી મેં પહેલા ક્યારેય નથી જોઈ.

અઢારમી સદીનાં ઉત્તરાર્ધમાં રાણી ભબાની નામની એક જમીનદારે આ મંદિર બનાવડાવ્યું હતું. કહેવાય છે કે, તેઓ આ વિસ્તારને બીજું કાશી બનાવવા ઇચ્છતા હતા અને એટલે તેમણે અહીં ટેરકોટાનાં ૧૦૮ શિવ મંદિરો બનાવડાવ્યા હતાં. કમનસીબે અહીં ગંગાનાં સતત બદલાતા પ્રવાહમાં મોટા ભાગનાં મંદિરોનો નાશ થઈ ગયો અને બહુ થોડાં જ બચ્યા છે જેમાંનું એક આ ‘ચાર બંગલા’ છે. અહીં સામે-સામે એકસરખા કદ અને આકારનાં ચાર મંદિરો બનાવવામાં આવ્યાં છે, જેમાં દરેકમાં આસપાસ બે નાના અને વચ્ચે એક મુખ્ય એવાં ત્રણ (ચારે મંદિરનાં મળીને કુલ બાર) શિવલિંગ છે અને દરેક શિવલિંગનું મોં ઉત્તર દિશામાં રાખવામાં આવ્યું છે, કૈલાશ તરફ. એક રીતે વિચારો તો એમ પણ કહી શકાય કે, મંદિરમાં અંદર ગયા વિના તમે વચ્ચે ચોકમાં ઊભા રહીને જ ચારે બાજુ નજર કરો તો શિવલિંગની ચારે બાજુ જોઈ શકો! એ સિવાય મંદિરની એક ખાસીયત એ છે કે, ચારે મંદિરનાં આકાર અને નકશી હિન્દુ, મુસ્લિમ, સિખ અને ઈસાઈ ચારે ધર્મોથી ઇન્સ્પાયાર્ડ છે.

સામાન્ય રીતે મને સુંદર સ્થળોએ પોતાનો ફોટો લઈને જગ્યાની સુંદરતા બગાડવાનું મન નથી થતું હોતું પણ, એ જગ્યાએ મને શિવની એક બહુ જ સુંદર પ્રતિમા સાથે નટરાજનાં પોઝમાં ફોટો લેવાનું મન થઇ ગયું. હજુ પોઝ બને ત્યાં સુધીમાં તો ત્યાં એક સિક્યોરિટી ગાર્ડે અમને ખિજાવાનું શરુ કર્યું કે, અહીં રીલ બનાવવાની પરમિશન નથી. અમે કહ્યું ફોટો લઈએ છીએ તો કહ્યું ડાન્સ કરતા ફોટો લેવાની પણ છૂટ નથી. અમારી સાથે હોટેલથી એક સાથી આવ્યા હતા તેમણે બંગાળીમાં તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, હું કંઈ અભદ્ર નથી કરી રહી પણ, તેમને કશું ગળે ઉતરે તેમ નહોતું. અંતે હું જ ત્યાંથી દૂર ચાલી ગઈ. પછી ત્યાં જે થોડો સમય અમે ત્યાં રહ્યા, ત્યાંનાં બે ગાર્ડ અમને જ જોતા રહ્યા.

આ મંદિરની મુલાકાત સાથે જ અમારી મુર્શિદાબાદ મુલાકાતનો અંત આવ્યો. સામાન ગાડીમાં લોડ થઈ ગયો હતો અને અમે સારાં રસ્તાની આશામાં, આવ્યા હતા તેનાં કરતા અલગ હાઇવે પકડીને કલકત્તા તરફ રવાના થયા. રસ્તો તો સારો ન જ મળ્યો પણ, રસ્તામાં બંગાળનાં ગામડાં અને ખેતરોનો જે નજારો મેં માણ્યો એ હું કદાચ ક્યારેય નહીં ભૂલી શકું.

મુર્શિદાબાદ

પ્રવાસ, બંગાળ

લગભગ પાંચ વર્ષનાં અતિ લાંબા અંતરાલ પછી મને એક બિલકુલ નવી જગ્યાએ, વ્યવસ્થિત ટ્રાવેલ કરવાનો મોકો મળ્યો અને તેમાંયે પ્રસ્તાવ આવ્યો ‘બડી કોઠી’ નામની એક યુનીક જગ્યાનો એટલે આપણે તો તરત રાજી! આ જગ્યા ઉત્તર બંગાળમાં, કલકત્તાથી લગભગ ૨૨૦ કિલોમીટરનાં અંતરે આવેલી છે એટલે અમે નક્કી કર્યું કલકત્તાથી રોડ ટ્રિપ કરીએ. છ લોકો, બે કાર અને એક પ્રોફેશનલ ડ્રાઈવર.

તમે ૬૦ કિલોમીટરની એવરેજ પર ચાલો અને રસ્તામાં અડધી કલાક જેવો બ્રેક લો તો પણ વધુમાં વધુ સાડા ચારથી પાંચ કલાક લાગવા જોઈએ, બરાબર? મુર્શિદાબાદ માટે ખોટું. અમને લગભગ સાત કલાક લાગ્યાં! સમજો આખા રસ્તામાં લગભગ ક્યાંય વ્યવસ્થિત હાઈ વે છે જ નહીં. નેશનલ હાઈ વે પણ ગામડાંમાંથી પસાર થાય છે અને મોટાં ભાગનો રસ્તો એટલો ખરાબ, કે ખાડાં અને આડા અવળાં સ્પીડ બ્રેકરનો પાર નહીં! અમે આવતાં અને જતાં બે અલગ અલગ હાઈ વે ટ્રાય કર્યાં. જતી વખતે અમે NH12 પકડ્યો અને આવતી વખતે AH1. પણ, બંને લગભગ સરખા જ ખરાબ નીકળ્યાં. જો કે, મારા માટે તો ખરાબ રસ્તાની અગવડો હોવા છતાં રોડ ટ્રિપની મજા અલગ હતી. કલકત્તા સિવાયનું પશ્ચિમ બંગાળ અને ત્યાંનાં લોકો કેવા દેખાય છે, કઈ રીતે રહે છે તેની જિજ્ઞાસા સંતોષવાનો આ એક જ રસ્તો હતો.

અમે સવારે સાડા નવે ડ્રાઇવ કરવાનું શરુ કર્યું અને લગભગ સાડા ચારે બડી કોઠી પહોંચ્યાં. પશ્ચિમ બંગાળનાં હાઇ વે કે ગામડાંમાં મારા-તમારા જેવાં શહેરી લોકો માટે ખાસ સુવિધાઓ નથી પણ, માયાપુર પાસે અમને સારાં, વેજીટેરિયન-ફ્રેન્ડલી ઓપ્શન આરામથી મળી ગયાં. મને અહીં પહોંચીને ખબર પડી કે, માયાપુરમાં ઇસ્કોનનું હેડ ક્વાર્ટર છે એટલે સ્વાભાવિક રીતે તેની આસપાસ સારાં રેસ્ત્રોં હોવાનાં જ. અમે સ્ટોપ કર્યો હતો ‘હોટેલ સોનાર બાંગ્લા માયાપુર’. ત્યાં સુધી પહોંચવાનો રસ્તો થોડો ટ્રિકી છે પણ જગ્યા સારી છે. સરસ માહોલ, સારી ચા, પકોડા અને સાફ રેસ્ટરૂમ. આનાંથી વધુ શું જોઈએ! ત્યાં લગભગ ૪૫ મિનિટ સ્ટોપ કરીને અમે આગળ વધ્યાં. રસ્તામાં મેં બંગાળનાં ગામડાંનું જે સ્વરૂપ જોયું તેનું વર્ણન કરવું તો અશક્ય છે પણ એ હતું બહુ સુંદર અને અલગ. માનો તમે નવા દેશમાં પહોંચી ગયાં!

ભારતનાં સૌથી ફળદ્રુપ વિસ્તારોમાં જેનો સમાવેશ થાય છે એ બંગાળની ભૂમિ પર ખેતરોની કમી નથી. જ્યાં જુઓ ત્યાં હરિયાળી જ હરિયાળી! ચોખા અને રાઈનાં ખેતર મેં ત્યાં સૌથી વધુ જોયા. ત્યાંનાં ગામડાંમાં ગરીબી દેખાય છે. નાના કાચા-પાકા ઘર, અને લગભગ દરેક ઘર પાસે એક નાનું તળાવ. બાળપણમાં પુસ્તકોમાં વાંચ્યું હતું કે, બંગાળનાં લોકો પોતાનાં આંગણામાં એક નાનું તળાવ રાખતા હોય છે જેને પૂકૂર તરીકે ઓળખાય છે. આ પૂકુર મેં પહેલી વખત નજરે જોયાં. ગામડાંની ઘણી બધી સ્ત્રીઓ અને છોકરીઓ એક હાથમાં છત્રી પકડીને બીજા હાથથી સાઇકલ ચલાવતી જોવા મળી. હાઈ વે પર એક પશુપાલકનો જુગાડ જોવાની પણ મજા આવી. ભાઈએ પોતાની બકરી ડિવાઈડર પર બાંધી હતી અને બકરી આરામથી ડિવાઈડર પર ઉગાડેલાં છોડનાં પાન ખાતી હતી. બકરી ચરતી ચરતી રસ્તા પર ઉતરી જાય ત્યારે આ ભાઈ દોડીને તેને ડિવાઈડર પર મૂકી આવે!

થોડાં સમય પછી મારું ધ્યાન ગયું એક ગામનાં નામ પર. લખ્યું હતું ‘Plassey’. હું ચમકી અને મેં મારા સહપ્રવાસીઓને પૂછ્યું આ પેલું પ્લાસિનાં યુદ્ધ વાળું પ્લાસિ છે? એ લોકોએ કહ્યું હા બની શકે. બસ પાંચ જ મિનિટનાં સસ્પેન્સ પછી કન્ફર્મેશન મળી ગયું. મેં એક મોટો દરવાજો જોયો જેનાં પર લખેલું હતું ‘Plassey war memorial’ – પ્લાસિ યુદ્ધ સ્મારક! મને બિલકુલ ખ્યાલ નહોતો હું ઇતિહાસનાં કયા ભાગમાં જઈ રહી છું અને જ્યાં જઈ રહી છું તે લોકોનો ઈતિહાસ પણ આ યુદ્ધ સાથે કેટલો વણાયેલો છે. આ બધું જોઈને મને મુસાફરીની અગવડતા બાબતે કોઈ જ ફરિયાદ ન રહી. કલકત્તાથી અમે ટ્રેનમાં ગયાં હોત તો એ મુસાફરી પ્રમાણમાં ટૂંકી અને સરળ રહેત પણ તેમાં અમને કદાચ આ બધું જોવા ન જ મળત!

અથાણાંનાં ડબ્બામાં ભરેલાં લીંબુની જેમ હાલતા-ડોલતા અમે બડી કોઠી પહોંચ્યાં. પહોંચતા સાથે જ જોયું કે, આઠ દસ લોકો અમારું સ્વાગત કરવા માટે ઊભા હતાં. આટલી લાંબી, ખખડધજ મુસાફરી કર્યા પછી અજીબ વેશમાં બેથી વધારે લોકો મારી તરફ જુએ એ પણ મને વિચિત્ર લાગતું હોય છે તો આટલું બધું ધ્યાન આપે ત્યારે તો એમ જ થાય કે હેરિ પોટરનો ‘ઇન્વિઝિબિલિટી ક્લોક’ કોઈ મને આપી દે તો અત્યારે જ પહેરી લઉં. પ્રોપર્ટીમાં ખાનદાની, સમૃદ્ધ હવેલીને શોભે તેવું સરસ ફર્નિચર અને ડેકોર જોઈએ જ મારું મન ખુશ થઈ ગયું. અમે પહેલા અમારાં રુમ પર ગયાં અને તરત અમને અમારાં વેરી લેઇટ લંચ માટે લઈ જવામાં આવ્યાં.

અમને લંચ પીરસાયું એક વિશાળ ડાઇનિંગ રુમમાં! જાત જાતની કળા કારીગરી અને દેશ-વિદેશનાં મટીરિયલથી એ આખો રુમ સુશોભિત હતો! છત તો આપણાં આજનાં બે માળ બની જાય તેટલી ઊંચી એટલે અંદર પ્રવેશતાની સાથે જ તમને ભવ્યતા અનુભવાય. ત્યાં અમારી સાથે બેઠાં એ પ્રોપર્ટી નાં મેનેજર – અભિરૂપ. તેમણે અમને પીરસાયેલી વાનગીઓ, આ હવેલી અને આખાં વિસ્તારનાં ઈતિહાસ વિશે ખૂબ સરસ માહિતિ આપી.

બડી કોઠીનાં માલિક છે દુધોરિયા પરિવાર – મૂળ રાજસ્થાનનાં ઓસવાલ જૈન, આ પરિવારનાં વડવાઓ લગભગ ત્રણસો વર્ષ પહેલાં મુર્શિદાબાદ વ્યાપાર કરવા માટે આવ્યાં હતાં અને પછી અહીં જ રહી ગયાં. અઢારમી સદીનાં ઉત્તરાર્ધમાં રાય બહાદુર બુધ સિંઘ દુધોરિયાએ પોતાનાં મુખ્ય નિવાસ તરીકે આ હવેલીનું નિર્માણ કરાવ્યું. દુધોરિયા જેવાં અનેક રાજસ્થાની ઓસવાલ જૈન પરિવારોને અહીં લાવવાવાળાં ‘જગત સેઠ’. જે સમયે જગત સેઠનો પરિવાર બંગાળનાં નવાબનો મુનીમ હતો તે સમયે મુર્શિદાબાદ દુનિયાની પાંચ ટકા GDP કન્ટ્રોલ કરતું હતું. હા, લખવામાં ભૂલ નથી થતી. દેશની પાંચ ટકા નહીં, દુનિયાની પાંચ ટકા. પછી તો આ વિસ્તારનાં સૌથી મોટાં શેઠને ‘જગત સેઠ’ કહેવા જ પડે! એ સમયે આ વિસ્તાર દેશની આર્થિક રાજધાની હોવાનાં કારણે અહીં રહેતાં લોકો સેહેરવાલી એટલે કે, શહેરવાળાં કહેવાયાં. પોતાની પારંપારિક ઓસવાલ વાનગીઓમાં તેમણે બંગાળની લોકલ ફ્લેવર્સ ઉમેરીને જે જમણ બનાવ્યું તે સેહેરવાલી જમણ તરીકે ઓળખાયું. મૂળ જૈન એટલે શાકાહારી તો હતાં જ પણ, તેમની મોટાં ભાગની વાનગીઓમાં કંદમૂળનો ઉપયોગ પણ ભાગ્યે જ જોવા મળે છે. બધાં રહેતાં પણ એકસાથે, પાસે પાસે એટલે એ વિસ્તાર આજે પણ ‘જૈન પટ્ટી’ તરીકે ઓળખાય છે.

એ સમયે આ શેઠો એટલાં શકિતશાળી હતાં કે, આખાં સામ્રાજ્ય હલાવી શકે. તેઓ ઉત્તર ભારતનાં રાજાઓનાં યુદ્ધ અને બીજું ઘણું બધું ફાઇનાન્સ કરતાં હતાં! બંગાળનાં છેલ્લાં નવાબ સિરાજ ઉદ્ દૌલા પ્લાસિનું યુદ્ધ હાર્યો તેનાં ઘણાં કારણોમાંનું અગત્યનું એક કારણ છે જગત સેઠનો અસહકાર! પ્લાસિ યુદ્ધમાં સિરાજનાં આર્મી જનરલ અને જગત સેઠ બંનેએ અંગ્રેજોનો સાથ આપ્યો હતો. સિરાજની હાર પછી અંગ્રેજોને આર્મી જનરલને પણ મારી નાંખ્યો અને બંગાળ પર કબ્જો કર્યો, સમગ્ર હિન્દુસ્તાન પડ્યું અને અંગ્રેજોનાં હાથમાં ગયું. આ યુદ્ધ વખતે જગત સેઠ અને સેહેરવાલીઓને સ્વાભાવિક રીતે ખબર નહોતી કે, સિરાજનાં અંત સાથે તેમની સહ્યાબીનો અને દેશનો પણ સુર્યાસ્ત જોડાયેલો છે.

સમૃદ્ધિ ધીમે ધીમે ઘટવા લાગી અને આ વિસ્તારમાં લૂંટફાટ થવા લાગી પછી વ્યાપારી પરિવારો નવાં પાટનગર કલકત્તા શિફ્ટ થવા લાગ્યાં અને ધીમે ધીમે મુર્શિદાબાદ ભૂલાતું ગયું. બડી કોઠી પચાસ વર્ષથી પણ વધુ સમય બિલકુલ ખાલી રહી પછી ૨૦૦૮માં ભાઈ-બહેન દર્શન અને લિપિકાએ એક પ્રખ્યાત ધર્મગુરુની પ્રેરણાથી આ પ્રોપર્ટીને રિસ્ટોર અને રેનોવેટ કરવાનો બેડો ઉપાડ્યો. લગભગ દસ વર્ષની મહેનત પછી આ જગ્યા હેરિટેજ હોટેલ તરીકે ફરી શરુ થઇ અને અભિરૂપ તેમની સાથે લગભગ શરુઆતથી જોડાયેલાં છે.