મજૂર

નિબંધ

क्‍या आपने कभी शहतूत देखा है,
जहाँ गिरता है, उतनी ज़मीन पर
उसके लाल रस का धब्‍बा पड़ जाता है।

गिरने से ज़्यादा
पीड़ादायी कुछ नहीं।

मैंने कितने मज़दूरों को देखा है
इमारतों से गिरते हुए,
गिरकर
शहतूत बन जाते हुए।

~ सबीर हका (ईरान के मज़दूर कवि)
अनुवादक: गीत चतुर्वेदी


કોરોના આવ્યું છે ત્યારથી નીરવની ભાષામાં કહીએ તો રખડવાવાળા રઝડી પડ્યા છે. એપ્રિલ-મેમાં આપણે રોજ છાપામાં વાંચતા, ટીવીમાં જોતા દેશનાં મજૂરોની હાલત. કોઈ દીકરી પોતાનાં પિતાને સાઇકલ પર છેક દિલ્હીથી બિહાર લઇ જતી, કોઈ માતા રેલવે સ્ટેશન પર ભૂખની મારી ગુજરી ગઈ અને આ તો બે મોટી, એક્સ્ટ્રીમ ઘટનાઓ છે એટલે છાપે ચડી છે, લોકોનાં મોઢે ચડી છે. બાકીનાંની રોજેરોજની નાની-મોટી મુશ્કેલીઓ અને તાણ તો જૂદાં. પાછાં નજર સામે રોજેરોજ એ જ સવાલો – હવે શું થશે? ક્યાં જશું? શું ખાશું?

કહે છે કે, કર્મભૂમિ બિલકુલ અલગ હોવા છતાં મજૂરો પોતાનાં ગામ, જમીન, સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે છે. એવું જ માનસિક મજૂરોનું પણ છે. માનસિક મજૂરો કોણ? વિદેશી મજૂરો. ભારતનો એ મધ્યમવર્ગ જે, સારું’ જીવન જીવવા માટે, પરિવારને એવું જીવન આપી શકવા માટે અને બીજાં અનેક કારણોસર દેશની બહાર કામ કરે છે અને રહે છે. આપણાં મહાનગરોની જેમ, અન્ય દેશોને પણ જરૂર છે કૌશલ્યની, કસબની. કર્મભૂમિઓમાં ફક્ત કસબ માટે જ સ્થાન હોય છે, કસબીનાં ઘરડા માતા-પિતા માટે નહીં. વર્ષમાં બેથી ત્રણ અઠવાડિયા મળે પરિવાર પાસે જવાનાં અને સક્ષમ હોય એ મા-બાપને અમુક મહિના બોલાવી શકતા હોય તો ભલે બોલાવે. મા-બાપ સિવાયનાં વ્હાલા સંબંધીઓ ગુજરે અને રજા ન મળે તો કામ છૂટી જવાની અને આવક બંધ થઇ જવાની બીકે કાણમાં પણ જઈ શકાતું નથી હોતું. નિમ્ન અને મધ્યમ વર્ગનાં જે યુવાનીમાં ગયા હોય એ આધેડ વય સુધી ઘર બનાવી શકે, સંબંધીઓને પોતાની સાથે રાખી શકે તેટલા સક્ષમ થઈ પણ નથી શકતા. એ અસક્ષમતા સાથે જોડાયેલી હીનભાવના પણ છોડતી નથી કારણ કે, સોમાંથી બે, જે કર્મબળે, નસીબજોગે સક્ષમ થઇ જાય છે, એમની સતત સામે આવતી દંતકથાઓનાં ભાર નીચે જીવન રોજ દબાતું રહે છે.

તેવામાં આવી મહામારી આવે, કે પછી આંગળીનાં વેઢે ગણાય તેટલા લોકોનાં લોભને કારણે લાખો લોકોએ ભોગવવા પડતી ઇકોનોમિક તબાહી આવે, ત્યારે તો મજૂરો માટે એક સાંધો ત્યાં તેર તૂટતા હોય છે. 2008માં અમેરિકા અને ઇંગ્લૅન્ડ તથા તેમની સાથે રાજકીય રીતે જોડાયેલાં દેશોની હાલત કફોડી થઇ હતી. ત્યાંનાં સામાન્ય કક્ષાનાં, મારા, તમારા જેવા લાખો લોકોએ પરસેવો પાડીને બચાવેલાં, પૅન્શન ફંડ્સમાં રોકેલાં, પૈસા અચાનક હવામાં ગાયબ થઇ ગયેલાં. ધંધાદારીઓએ કર્મચારીઓને જતા કરવા કરવા પડી ગયેલા, જીવનજરૂરી ચીજો સિવાયનું માર્કેટ ઠપ્પ થઇ ગયેલું અને આવા સમયે પણ નવા નવા વિદેશી મજૂરો આ દેશોમાં જઈને નોકરીઓ શોધતા હતા. રોજ, મહિનાઓ સુધી, અહીં પ્રયત્ન, ત્યાં ઍપ્લિકેશન. અઠવાડિયું ઘરમાં લોટ અને બ્રેડનાં અડધાં પૅક સિવાય ખાવાનો કૈં સામાન ન હોય અને ક્યારે બધું ભેગું થઇ રહેશે એ ખબર ન હોય તો પણ માનસિક મજૂરો ઘરે પાછા ન ફરી શકે. મિડલ કલાસ મા-બાપે રિટાયરમેન્ટ ફંડ તોડીને, જીવનભર ભેગી કરેલી મૂડી પર બૅન્કની લોન લઈને જેમ તેમ બે-પાંચ હજાર ડૉલર ભેગા કરીને મોકલ્યા હોય, એ મજૂરો પાસે વિદેશમાં પડ્યા રહીને, ગમે તેમ કરીને જીવનનિર્વાહ કરવા અને ઓછામાં ઓછું મા-બાપને કર્જમાંથી મુક્ત કરવા સિવાય કોઈ વિકલ્પ નથી હોતો.

અને કર્જમાંથી મુક્ત થઇ ગયા પછીયે શું? પછી પણ સાવ મુક્તિ મળી ગઈ તેવું તો હોતું નથી. તેટલાં સમયમાં દેશ સાથેનો નાતો ધીમે ધીમે તૂટવા લાગ્યો હોય છે. ભાષા સાથેનો સંબંધ પણ એકાદ દશકામાં તો તૂટવા લાગે છે. પોતાની ભાષા ભૂલાતી જાય છે અને કર્મભૂમિની ભાષા યાદ રહે તો પણ પોતાની નથી થતી. સામાજિક ઘડામાં તિરાડ પડવા લાગી હોય છે. વતન પાછા ફરવું પણ હોય તોયે પછી તિરાડવાળા ઘડામાં જીવન, નિર્વાહ બધું કેમ સામાડવાં તેની સુધ રહેતી નથી. કર્મભૂમિમાં મળેલ જીવનસાથી, બાળકો સાથે વતન પાછા ફરવું શક્ય નથી હોતું અને તનતોડ પ્રયત્ન કરવો પડતો હોય છે કર્મભૂમિમાં જીવનભર રહી શકવા માટે.

જ્યાં પરસેવો પાડીને યુવાનીનો અમૂલ્ય સમય વિતાવ્યો ત્યાં આયખું નીકળી શકશે તેની કોઈ ગૅરેંટી હોતી નથી.ક્યારેક ફક્ત એટલાં સમય માટે જ ત્યાં રહી શકાય છે, જેટલો સમય તમે કામ કરીને એ દેશને અને એ દેશનાં ધંધાર્થીઓને સમૃદ્ધ બનાવી શકો. ત્યાં દશકાઓ સુધી કામ કર્યા પછી પણ અર્થવ્યવસ્થા ગબડે ‘ને કામ મળવાનું બંધ થઇ જાય તો પણ બે-ત્રણ મહિના પગ વાળીને શાંતિથી બેસવા મળતું નથી. પાંચ પૈસા ખર્ચીને એ ગામમાં રહેવા માટે વધુ સમય ખરીદી શકતા હોય તો ઠીક, બાકી નસીબ. આવામાં દેશનાં મજૂર જઈ શકે તો ભલે પગપાળા પાછા ચાલ્યા જાય પોતાની માતૃભૂમિ, પોતાનાં પરિવાર પાસે અને વિદેશનાંને તેમની જન્મભૂમિ પાછા લે તો ભલે લે, બાકી એ જાણે.

દેશનો મજૂર જો પૈસા અને સમય ભેગા કરીને પોતાનો સ્વતંત્ર ધંધો શરુ કરવા ઈચ્છે તો એ કરી શકતો હોય છે, જન્મભૂમિમાં પણ અને કર્મભૂમિમાં પણ. વિદેશી મજૂર જો ફક્ત ‘વર્ક વીઝા’ પર હોય તો એ પણ શક્ય નથી હોતું. પછી મજૂરી ફરજીયાત બની જાય છે અને જીવન નીકળી જાય છે મજૂરમાંથી મોટો મજૂર અને મજૂરોનાં મૅનેજર બનવામાં. પોતાનીબુદ્ધિથી, અથાગ પ્રયત્ને જો કોઈ મજૂર માલિક બની પણ જાય પછીયે નથી એ રહેતો મજૂરવર્ગનો કે, નથી તેનો માલિકવર્ગમાં સમાવેશ થતો. માલિકી એ જ કરી શકે છે જે માલિક જન્મ્યો હોય. માલિક બન્યા હોય એ તો જીવનભર મજૂર જ રહેતા હોય છે.

આટ-આટલી ગધામજૂરી કરીને હંમેશા વિદેશમાં કે પર-પ્રાંતમાં કામ સાથે હંમેશા માટે રહેવાની સુવિધા કદાચ થઇ પણ જાય તો પણ છેલ્લે બાળકોને માતૃભૂમિનાં નામે મહેણાં સાંભળવા પડે – પાકી, ચિનકી, બિહારી, ભૈયા!

દેશનાં મજૂરો ગરીબાઈ અને ભૂખમારીમાં મરે છે અને વિદેશનાં મજૂરો રંગભેદથી, હિજરાઈને મરે છે.


The children in my dreams speak in Gujarati
turn their trusting faces to the sun
say to me
care for us nurture us

in my dreams I shudder and I run.

I am six
in a playground of white children
Darkie, sing us an Indian song!

Eight
in a roomful of elders
all mock my broken Gujarati
English girl!

Twelve, I tunnel into books
forge an armor of English words.

Eighteen, shaved head
combat boots –
shamed by masis
in white saris
neon judgments
singe my western head.

Mother tongue
Matrubhasha
Tongue of the mother
I murder in myself

~ Shailaja Patel
An excerpt from ‘Migritude’